Gujarat Election 2022: અશોક ગેહલોતે ખેડબ્રહ્મામાં પોતાની ખુરશી હલી જવાની યાદ તાજી કરાવી, બકરામંડીની સ્થિતી ગણાવી
સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને અરવલ્લીના ભિલોડામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સભા સંબોધી હતી. આ દરમિયાન પક્ષ પલટતા ધારાસભ્યોને લઈને પણ બળાપો નિકાળ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સભા સંબોધી હતી. અશોક ગેહલોતે ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર વખતે પોતાની જ સરકાર મુસીબતમાં મૂકાઈ ગઈ હોવાની વાતો કરીને કોંગ્રેસીઓને સ્તબ્ધ કરી દીધા હતા. ગેહલોતે એમ પણ કહ્યુ કે ધારાસભ્યો બકરા મંડીની માફક વેચાય છે. તેમની કિંમત કરવામાં આવે છે અને ખરીદવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સભા સંબોધી હતી. સભા દરમિયાન તેઓએ સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલને કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાને લઈને પણ નિશાન તાક્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે, તેમને એજન્સીઓની ધાક બતાવાઈ હશે. જેથી તેઓ કોંગ્રેસ છોડી જોડાઈ ગયા હશે. ગેહલોતે જોકે આ દરમિયાન ધારાસભ્યોને બકરા મંડીની માફક લે વેચ કરવામાં આવતા હોવાની વાત કહી હતી. તેઓ કહ્યુ કે ધારાસભ્યો કરોડોમાં વેચાય છે અને એક બાદ એક રાજ્યોની સરકાર તૂટી છે.
રાજસ્થાનની પરિસ્થિતીની યાદ તાજી કરાવી
રાજસ્થાનની તાજેતરમાં સર્જાયેલી સ્થિતીની યાદ તાજી કરવાતા ગેહલોતે કહ્યુ હું પણ અહીં તમારી સામે ના ઉભો હોત. આમ કહી તેઓએ સરકાર તેમની તૂટવાના અને બદલાવની સ્થિતીને યાદ કરાવી લીધી હતી. આમ ગુજરાતમાં સરકાર બનાવવાની આશાએ પ્રચાર કરી રહેલા અશોક ગેહલોતે પોતાની જ આપવીતી રજૂ કરી દીધી હતી.
ભિલોડામાં પણ યોજી સભા
અશોક ગેહલોત સાથે ખેડબ્રહ્મામાં પૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગેહલોતે ખેડબ્રહ્મા બાદ ભિલોડા જવા રવાના થયા હતા. જ્યાં પણ ભિલોડામાં સભાનુ સંબોધન કર્યુ હતુ. બંને બેઠકો પર આદીવાસી પ્રભુત્વ છે અને ગેહલોતે બંને વિસ્તારોમાં સંમેલનો યોજ્યા હતા. આ દરમિયાન તેઓએ આદીવાસી અધિકારની વાતો પણ કરવામાં આવી હતી. સાથે જ આદીવાસીઓની શહિદીને યાદ કરાવી હતી.
ભિલોડામાં સભા પહેલા બાયડના વર્તમાન ધારાસભ્યને લઈ અનેક તર્ક વિતર્ક વર્તાઈ રહ્યા હતા. તેઓ ગેરહાજર રહેવાની સંભાવનાઓ વર્તાઈ રહી હતી. જોકે બીજી તરફ તેઓ સભાની શરુઆત પહેલા જ ઉપસ્થિત રહ્યા હતા અને જેને લઈ તે ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગ્યુ હતુ. બાયડની બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર બદલવાની સંભાવનાઓને લઈ વર્તમાન ધારાસભ્યને ટિકિટ કપાઈ જવાના ભયે નારાજગી વર્તાઈ હોવાની ચર્ચા જાગી હતી.
