અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદથી ખેતીમાં નુકશાન, ડાંગર અને મગફળીનુ ઉત્પાદન કરનારા ખેડૂતો મુશ્કેલીમાં
ઓક્ટોબર માસમાં વરસાદ (Rainfall)ને લઈ ખેડૂતો માટે સમસ્યા નોતરાઈ છે. ખેત ઉત્પાદન લણવાના સમયે જ વરસાદી માહોલ સર્જાતા મગફળી, કપાસ અને ડાંગરના પાકમાં વ્યાપક નુક્શાનની સ્થિતી
ઓક્ટોબર માસની શરુઆત થયા બાદ ખેડૂતોને જાણે કે મુશ્કેલીઓ આકાશમાંથી ઉતરી હોય એવી સ્થિતી સર્જાઈ છે. સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Aravalli) જિલ્લામાં વરસાદી માહોલ છેલ્લા ત્રણેક દીવસથી જોવા મળી રહ્યો છે. બંને જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસવાને લઈ મુશ્કેલીઓ સર્જાઈ છે. ખાસ કરીને મગફળી અને ડાંગરનુ ઉત્પાદન કરતા ખેડૂતોને સમસ્યા સર્જાઈ છે. ખેડૂતો માટે હાલમાં પાકને લણવાનો સમય છે. જે મુજબ અનેક ખેડૂતોને મગફળીનો પાક ખુલ્લો ખેતરમાં છે, એવા સમયે જ વરસાદ વરસ્યો (Rain fall) છે. તો પવન સાથે વરસાદને લઈ ડાંગરના પાકનો પણ સોથ વળી ગયો છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ તાલુકાનો વિસ્તાર ડાંગરના પાકનુ મબલક ઉત્પાદન કરે છે. અહીંની સલાલની ડાંગર જાણિતી છે, ખેડૂતો સારી ગુણવત્તાની ડાંગરનુ ઉત્પાદન કરતા હોય છે. સલાલથી જાણીતી ડાંગરનુ ઉત્પાદન પ્રાંતિજ આસપાસના સોનાસણ, રસુલપુર, પોગલુ, પલ્લાચર, અમિનપુર અને વદરાડ સહિતના પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ખેતી કરતા હોય છે. અંદાજે 6400 હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે.
પવન અને વરસાદને લઈ ડાંગરમાં નુકશાન
હાલમાં પાછોતરા વરસાદને લઈ ડાંગરનુ ઉત્પાદન કરતા ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. વરસાદ અને પવન આવવાને લઈ ડાંગરના પાકનો સોથ વળી ગયેલા દૃશ્યો છેલ્લા બે દિવસથી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ડાંગરનો પાક ખેતરમાં જ નમી પડ્યો છે અને જેને લઈ ડાંગરના પાકની ગુણવત્તાને અસર પહોંચશે, તો કેટલોક પાક નિષ્ફળ જવાની ભીતી પણ સેવાઈ રહી છે. જેને લઈ ખેડૂતોને તૈયાર ઉત્પાદનને લણવાને સમયે તહેવારો ટાણે જ ફટકો વાગ્યા જેવી સ્થિતી છે.
ટીવી9 સાથેની વાતચીતમાં ખેડૂતોએ કહ્યુ હુ કે, હવે વરસાદને લઈ નમી પડવાને લઈ ડાંગરના દાણા પોચા પડી જશે અને કાળા પડી જશે, જેને લઈ ઉત્પાદનને અસર પહોંચશે. ઉતારો પણ ડાંગરનો ઓછો થવાની ચિંતા સતાવી રહી છે.
મગફળી પકવતા ખેડૂતો ચિંતામાં
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાનુ ઉત્પાદન કરતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. ઘણાખરા ખેડૂતોએ મગફળીનો પાક લણવાની શરુઆત કરી દીધી હતી. અનેક ખેડૂતોએ મગફળીને ઉપાડી લીધી હતી. ખેતરમાં ખુલ્લો પાક હોવા દરમિયાન જ વાતાવરણ પલટાયુ છે. આમ અનેક ખેડૂતોને ખુલ્લી મગફળી પલળી જવાને લઈ પાકની ગુણવત્તાને અસર પહોંચી હોવાની ચિંતા સતાવી રહી છે. વળી, મગફળી કાળી પડી જવાને લઈ ભાવ પણ ઓછા મળવાની ભીતી સેવાઈ રહી છે.
મગફળીની વાત કરવામાં આવેતો 2 લાખ હેક્ટર વિસ્તારના કુલ વાવેતરમાં સૌથી વધુ વાવેતર મગફળીનુ અરવલ્લી જિલ્લામાં થયુ હતુ. એટલે કે 54 હજાર હેક્ટર વિસ્તારમાં મગફળીના પાકનુ વાવેતર થયુ હતુ. સાબરકાંઠા જિલ્લામાં 2.30 લાખ હેક્ટર વિસ્તારમાં કુલ વાવેતર થયુ છે. જેમાં પણ મગફળીનુ વાવેતર મોટા પ્રમાણમાં નોંધાયુ હતુ.