ગુજરાતવાસીઓએ વરસાદ (Rain) માટે હજી ઘણી લાંબી રાહ જોવાની છે ત્યારે સૌરાષ્ટ્રમાં પાણી માટે ખેંચ (Water crisis) પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલની પરિસ્થિતિમાં ડેમ (Dam) સૂકાભઠ જોવા મળી રહ્યા છે તેવામાં વરસાદ આવતા હજી એક થી સવા મહિનાનો સમય પસાર થઈ જાય તેવી સ્થિતિ છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમ ધીરે ધીરે તળિયાઝાટક થઈ રહ્યા છે. ત્યારે જળસંકટ ઘેરું બને તેવી તમામ શકયતાઓ ઉભી થઈ છે.
સૌરાષ્ટ્રના કુલ 141 ડેમમાં હાલમાં કુલ 27 થી 30 ટકા જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. હાલમાં રાજકોટ જિલ્લાના 25 જળાશયોમાં (Dam)માત્ર 29 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. હાલમાં મોટા ભાગના ડેમ તળિયા ઝાટક પરસ્થિતિમાં છે.રાજકોટ જિલ્લાના સૌથી મોટા ભાદર ડેમમાં માત્ર 34 ટકા પાણી જ બચ્યું છે જેમાંથી ખેડૂતો માટે સિંચાઈ તેમજ નગરજનોને પીવાના પાણી માટેનો જથ્થો કેવી રીતે વહેચાશે તે પ્રશ્ન છે. તો આજી 1 અને ન્યારી 1 ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવતા આ ડેમમાં પાણીનો જથ્થો 45 ટકા જેટલો છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના 12 ડેમમાં માત્ર 2.14 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. જ્યારે જામનગરના 22 ડેમમાં 14 ટકા જપાણીનો જથ્થો બચ્યો છે. જો ચોમાસુ નિયમિત રીતે શરૂ થાય તો પણ પંદર દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થશે ત્યારે આ જળસકંટ વધારે ઘેરું બને તેવી શક્યતાઓ છે.
આ પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામોમાં વસવાટ કરતા લોકો તેમજ ખેડૂતોની સ્થિતિ કફોડી થાય તેમ છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, ઝાલાવાડ, અમરેલી સહિત વિવિધ જિલ્લાઓ માટે સૌની યોજના દ્વારા પાણી પહોંચાડવા માટે માંગણી થઈ રહી છે. ગત વર્ષે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં વરસાદનું પ્રમાણ ઓછું થયું હતું તેથી ભરઉનાળજ અહીં પાણીની ખેંચ વર્તાતી હતી. તો હવે વરસાદ ખેંચાશે તો આ જળસંકટ વધું ધેરું બનશે.
પાણીની તંગીને પરિણામે ખેડૂતોને ખેતીના પાક નિષ્ફળ જવાનો ભય છે ત્યારે થોડા સમય પહેલા ધોરાજીમાં ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું હતું જેથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ખેતીના પાણી માટે જરૂરિયાત ઉભી થઈ હતી. દક્ષિણ ગુજરાતના નવસારીમાં ઔરંગા નદીનું જળસ્તર ઘટવાના કારણે નદી કિનારે આવેલા ચીમનપાડા ગામમાં પાણી માટે માંગણી થઈ હતી. ગત ચોમાસામાં ખેરગામ અને ધરમપુર તાલુકામાં અને ઉપરવાસમાં સારો વરસાદ થતાં લોકોમાં પાણીની જરૂરિતાતને લઈ વર્ષ સારું જવાની આશા બંધાઈ હતી. તાલુકામાંથી પસાર થતી તાન, માન અને ઔરંગા નદીમાં હવે પાણીના સ્તર ઘટવા માંડતા આસપાસના કિનારા વિસ્તારમાં કૂવા અને બોરના તળ પણ નીચા ગયા છે.
Published On - 12:00 pm, Thu, 2 June 22