Rajkot: 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ફરી થઇ ધમધમતી, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી
ઉનાળું વેકેશન (Summer vacation) પૂર્ણ થતાં જ રાજકોટની (Rajkot) શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે. 35 દિવસથી બંધ શાળાઓના ઓરડા બાળકોની ચિચિયારીઓથી ધમધમી ઉઠ્યા છે.
ગુજરાતમાં (Gujarat) આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. 35 દિવસના ઉનાળુ વેકેશન (Summer vacation) બાદ આજથી શાળાઓ ફરીથી શરુ થઇ છે. એક તરફ ફરીથી રાજ્યમાં કોરોનાના કેસ (Corona case) વધી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા સાથે ફરી શાળાઓ ખોલવી એક પડકારજનક છે. આમ છતા શાળાઓ દ્વારા તકેદારીના પગલા લઇને શાળાઓ શરુ કરવામાં આવી છે. રાજકોટમાં (Rajkot) પણ શાળાઓ આજથી વિદ્યાર્થીઓની ચહેલ પહેલથી ફરી જીવનવંતી બનેલી જોવા મળી રહી છે.
બીમાર બાળકોને શાળાએ ન જવા અપીલ
ઉનાળું વેકેશન પૂર્ણ થતાં જ રાજકોટની શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે. 35 દિવસથી બંધ શાળાઓના ઓરડા બાળકોની ચિચિયારીઓથી ધમધમી ઉઠ્યા છે. રાજકોટમાં 1 હજાર ખાગની શાળાઓમાં આજથી શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી શાળાઓમાં તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. જે બાળકોને શરદી, ઉધરસ કે તાવ આવતો હોય તેમને શાળાએ ન આવવા અપીલ કરવામાં આવી છે.
શાળામાં શિક્ષણ લેવા વિદ્યાર્થીઓમાં આતુરતા
રાજકોટમાં ઘણા લાંબા સમયથી ઘરે રહેલા બાળકો શાળાએ આવવા માટે આતુર જોવા મળ્યા. પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી જોવા મળી. વધતા કોરોનાના કેસને પગલે કોરોનાની તમામ ગાઇડલાઇના પાલન સાથે શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવી છે. શિક્ષકોને પણ ગાઇડલાઇનનું પાલન થાય તે અંગે સૂચના આપી દેવામાં આવી છે.
વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ વધુ પસંદ
રાજકોટની શાળાઓના વિદ્યાર્થીઓએ જ્યારે TV9 ગુજરાતીની ટીમ સાથે વાતચીત કરી ત્યારે વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે ઓનલાઇન શાળા કરતા ઓફલાઇન શાળામાં શિક્ષણ લેવુ તેમને વધુ પસંદ છે. શિક્ષકો સાથે પ્રત્યક્ષ સંવાદ થતો હોવાથી અભ્યાસમાં વધુ મજા આવતી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યુ.
રાજકોટમાં શાળાનું તંત્ર બાળકોને આવકારવા તૈયાર જોવા મળ્યુ. તો સાથે સાથે કોરોના અંગે સાવચેતી રાખવાની શાળાના સ્ટાફ તેમજ વાલીઓને પણ સૂચના આપવામાં આવી છે. શાળા તંત્ર દ્વારા વાલીઓને સૂચના આપવામાં આવી છે કે નાના બાળકો શરદી ખાંસી કે વાઇરલ ઇન્ફેક્શન ધરાવે છે તે ઘરે જ રહે. બદલાતી સિઝનમાં બાળકો શરદી ખાંસી કે તાવથી અસરગ્રસ્ત છે તેઓને ઘરે જ રહેવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.