રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના મોઢુકા ગામમાં માધ્યમિક શાળામાં નવમાં ધોરણના 50 વિદ્યાર્થી પુસ્તક વગરનો અભ્યાસ કરી રહ્યા છે. 103 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે.
શાળામાં શિક્ષકોનો અભાવ
વીંછીયા તાલુકાના મોઢુકા ગામમાં પ્રાથમિક શાળામાં માધ્યમિક શાળાનો કામચલાઉ સમાવેશ કરવામાં આવ્યો છે. મોઢુકા ગામમાં સરકાર તરફથી માધ્યમિક શાળાનું બિલ્ડીંગ નથી બનાવવામાં આવ્યું. મોઢુકા ગામના સરપંચના પ્રીતિનિધિ વાલજીભાઈ મેર દ્વારા શિક્ષણવિભાગમાં અનેકવાર લેખિતમાં રજૂઆત કરી છતાં કોઈ યોગ્ય પગલા લેવામાં નથી આવ્યા. વિદ્યાર્થીના વાલી સરકારી સ્કૂલમાં સારૂ શિક્ષણની અપેક્ષાઓને લઈને બાળકોને અભ્યાસ કરવા માટે મોકલે છે.
શાળાના 103 વિદ્યાર્થી વચ્ચે એક જ શિક્ષક
પરંતુ મોઢુકા માધ્યમિક શાળામાં 103 વિદ્યાર્થી વચ્ચે એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે. એ પણ ઈંગ્લીશ ભાષાના શિક્ષક છે, ત્યારે વિદ્યાર્થીઓને બીજા વિષયનો અભ્યાસ કોણ કરાવશે એ સૌથી મોટો સવાલ ઉઠ્યો છે. અને નવમાં ધોરણના 50 જેટલા વિદ્યાર્થીઓ પાસે પુસ્તક જ નથી, આ વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે.
વિધાર્થીઓ સરકાર પાસે તમામ વિષય ના શિક્ષક મુકવાની માંગ કરી રહ્યાં છે.
શાળાના વિદ્યાર્થીઓ પાસે નથી જરૂરી પુસ્તકો
મોઢુકા ગામના વિદ્યાર્થીના વાલીઓ સરકાર પાસે વિંનંતી કરી રહ્યા છે. બાળકોને પુસ્તક આપો અને અભ્યાસ કરાવવા માટે શિક્ષક આપો અમારા બાળકોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. પરંતુ શિક્ષણના નામે મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ, આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. આ વિસ્તારના અનેક રાજનેતાઓ સત્તા ભોગવી ગયા પણ લોકોના પ્રશ્નનો કોઈ ઉકેલ નથી.શિક્ષણના નામે અનેક ધાંધીયા છે. ત્યારે શિક્ષણના પ્રશ્ન હલ થશે કે નહીં તે જોવું રહ્યું.
હાલ તો આ શાળાની સ્થિતિ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ છે. અને, તેમની સમસ્યા સામે શિક્ષણ વિભાગ ધ્યાન આપે તે ઇચ્છી રહ્યાં છે. કોરોનાકાળમાં અનેક વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડયો છે. ત્યારે પુસ્તકો અને શિક્ષકોના અભાવે આ વિદ્યાર્થીનું શિક્ષણ બગડી રહ્યું છે.
આ પણ વાંચો : SBI Clerk Mains Admit Card 2021 : SBI ક્લાર્ક મેઈન્સ પરીક્ષાનું એડમિટ કાર્ડ થયુ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
આ પણ વાંચો : Surendranagar: જિલ્લા પાલિકા તંત્ર એક્શન મોડમાં, NOC ન હોવાના કારણે 7 શાળા પર કરી આ કાર્યવાહી
Published On - 5:22 pm, Wed, 22 September 21