Rajkot: આસ્થા સાથે રમત, તહેવારો ટાણે ફરાળી વાનગીઓ આરોગતા પહેલા ચેતજો, પેટીસમાં મકાઈનો લોટ મિક્સ કરે છે વેપારીઓ
Rajkot: તહેવાર સમયે જો તમે ઉપવાસ કર્યો હોય અને બહારથી ફરાળી વાનગી આરોગવાનું આયોજન કરી રહ્યા હોય તો ચેતજો. રાજકોટમાં કેટલાક વેપારીઓ ફરસાણમાં બિનઆરોગ્યપ્રદ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો ધોવાનો સોડા નાખે છે. આટલુ ઓછુ હોય તેમ વેપારીઓ લોકોની આસ્થા સાથે પણ રમત રમીને ફરાળી પેટીસમાં મકાઈના લોટ ધાબડતા હોવાનુ ધ્યાને આવ્યુ છે.
Rajkot: શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. શ્રાવણ માસમાં જન્માષ્ટમી સહિત અનેક તહેવારો પણ આવતા હોય છે. આ મહિનામાં મોટા પ્રમાણમાં ફરાળી વાનગીઓ અને ફરસાણ લોકો આરોગતા હોય છે. જેને લઇને રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગના ચેકીંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન ચોંકાવનારી દૃશ્યો સામે આવ્યા.
અનેક ફરસાણની દુકાનોમાં ફરાળી પેટીસમાં તપકીર અને પોટેટો સ્ટાર્ચની જગ્યાએ મકાઈનો સ્ટાર્ચ આ વેપારીઓ ઉપયોગમાં લેતા હોવાનું સામે આવ્યું છે. આવું કરીને આ વેપારીઓ લોકોની આસ્થા સાથે રમત રમી રહ્યા છે. બીજી તરફ ફૂડ વિભાગના ચેકીંગમાં અન્ય ગંભીર બાબત એ સામે આવી કે ભગવતી ફરસાણ નામની દુકાનમાં ફરસાણને ફુલાવવા માટે કપડાં ધોવાના સોડાનો ઉપયોગ થતો હતો.
લોકોની આસ્થા અને આરોગ્ય બંને સાથે ચેડાં
ફૂડ વિભાગના દરોડામાં લોકોની આસ્થા અને આરોગ્ય બંને સાથે વેપારીઓ ચેડાં કરતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટની 25 જેટલી દુકાનોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી 5 જેટલી દુકાનોમાં ફરાળી પેટીસમાં મકાઈનો લોટ વપરાતો હોવાનું સામે આવ્યું. જે ફરાળી નથી. જેમાં 110 કિલો જેટલો પેટીસ અને મકાઈના લોટનો મોટો જથ્થો માત્ર મહાદેવ વાડીમાં આવેલી જય સીતારામ ડેરીમાંથી મળી આવ્યો.
આના પરથી અંદાજ લગાડી શકાય છે કે આ ડેરી પરથી કેટલી મોટી સંખ્યામાં લોકો પેટીસ ખરીદતા હશે અને આ વેપારી મામૂલી રકમ જેટલો વધુ નફો કમાવવા માટે લોકોની આસ્થા સાથે ચેડાં કરી રહ્યા છે.તો બીજી તરફ ગુરુપ્રસાદ ચોકમાં આવેલા ભગવતી ફરસાણમાંથી વાસી ફરસાણ અને કપડાં ધોવાનો સોડા મળી આવ્યો.
ફરસાણને ફુલાવવા માટે ખાવાના સોડાના બદલે કપડાં ધોવાના સોડાનો ઉપયોગ થતો હતો.જેનું કારણ એ છે કે આ સોડા ખાવાના સોડા કરતા થોડો સસ્તો પડે છે.આ વેપારીને સસ્તા સોડા વાપરીને લોકોની જિંદગીને સસ્તી બનાવી દીધી.કારણ કે આ સોડાથી બનાવેલું ફરસાણ ખાવાથી લોકોને ગંભીર પ્રકારની બીમારીઓ થઈ શકે છે.
આંતરડામાં ચાંદા અને કેન્સર જેવી બીમારીઓ થઈ શકે
મનપાના ફૂડ વિભાગના અધિકારી હાર્દિક મેતાએ ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું કે કપડાં ધોવાનો સોડાનો કોઈપણ ખાદ્યચીજમાં બિલકુલ ઉપયોગ ન કરી શકાય.આ ફરસાણ ખાવાથી આંતરડામાં ચાંદા પડી જવા અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે. આ ઉપરાંત તેમણે લોકોને પણ કોઈ પણ દુકાનમાંથી ફરસાણ અને ફરાળી વાનગીઓની ખરીદી ન કરવાની અપીલ કરી હતી.
કડક કાર્યવાહીની જરૂર,માત્ર નોટિસથી નહિ ચાલે
આ તમામ દુકાનોમાંથી મળી આવેલી અખાદ્ય ચીજોનું ફૂડ વિભાગ દ્વારા સ્થળ પર જ નાશ કરીને જે તે વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. પરંતુ સવાલ એ થાય છે કે શું લોકોના આરોગ્ય સાથે ચેડાંની સજા માત્ર નોટિસ છે, માત્ર નોટિસો મળવાથી અને અખાદ્ય વસ્તુઓનો નાશ કરી નાખવાથી આવા વેપારીઓને કોઈ ખાસ ફરક પડતો નથી અને અન્ય વેપારીઓમાં પણ કોઈ દાખલો બેસતો નથી. જેથી ફૂડ એક્ટમાં ફેરફાર કરીને આવા લોકો વિરૂદ્ધ કાયદો કડક કરવો જરૂરી બન્યુ છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો