રાજકોટ: લેઉવા પાટીદાર મહાસંમેલનમાં જયરાજસિંહે સાધ્યુ નિશાન કહ્યુ રીબડામાં વિના સંકોચે જમીન ખરીદો, પછી કંઈ થશે તો હું બેઠો છુ
રાજકોટ: વિધાસભા ચૂંટણી 2022થી શરૂ થયેલો રીબડા vs ગોંડલનો વિવાદ યથાવત છે. જયરાજસિંહની આગેવાનીમાં યોજાયેલા લેઉવા પાટીદાર મહાસંમેલનમાં પણ જયરાજસિંહે અનિરુદ્ધ સિંહ તરફ નામ લીધા વિના નિશાન સાધ્યુ અને ખુલ્લો પડકાર ફેંક્યો કે જેને પણ રીબડામાં જમીન ખરીદવી હોય તે ખરીદે, ડરવાની જરૂર નથી, હું બેઠો છુ.
વિધાનસભાની ચૂંટણીનું એક વર્ષ પૂરા થયા બાદ પણ રીબડા અને ગોંડલ વચ્ચેનો વિવાદ યથાવત રહ્યો છે.આજે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં લેઉવા પાટીદાર સમાજનું સંમેલન મળ્યું. જયરાજસિંહ જાડેજાએ રીબડાના ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું.
જયરાજસિંહે દાવો કર્યો હતો કે રીબડામાં છેલ્લા એક વર્ષથી શાંતિ સ્થાપાય રહી છે. જમીનોના ભાવ વધ્યા છે. જયરાજસિંહે દાવો કર્યો હતો કે કોઇ વ્યક્તિએ રીબડામાં જમીન ખરીદી કરવી હોય તો વિના સંકોચે ખરીદી કરે પછી કોઇ મુશ્કેલી આવશે તો હું આ જમીન સંભાળીને વેપારીને રૂપિયા આપી દઇશ. જયરાજસિંહે દાવો કર્યો હતો કે રીબડાના અનિરુદ્ધસિંહનું નામ લીધા વિના અહીં ખેડૂતો પાસેથી ઓછા ભાવે જમીન ખરીદી કરીને વેપારીઓને અનિરુદ્ધસિંહ જુથ કહે તે ભાવે જમીન ખરીદી કરવી પડતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જો કે હવે કોઇપણ વ્યક્તિ બજાર કિંમત પર જમીની ખરીદ-વેચાણ કરી શકે છે. આ કાર્યક્રમમાં ગોંડલ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ગોંડલ તાલુકાના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તમારે સોનિયા દેવીની પુજા કરવી જોઇએ-જયરાજસિંહ જાડેજા
આ ઉપરાંત જયરાજસિંહે રીબડામાં મહિલા અનામત અંગે અનિરુદ્ધસિંહ જાડેજા પરિવાર દ્રારા લગાડવામાં આવેલા બોર્ડ પર પણ કટાક્ષ કર્યો હતો. જયરાજસિંહે કહ્યું હતું કે રીબડાના અનિરુદ્ધસિંહ પરિવાર દ્રારા વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું ત્યારે મોદીના ફોટો નહિ પરંતુ સોનિયા ગાંધીનો ફોટો મુકીને તેની ધુપેલીયાથી આરતી કરવી જોઇએ. ગોંડલ તાલુકામાં બચવા માટે ભાજપના હોર્ડિંગ મારી રહ્યા હોવાનો કટાક્ષ કર્યો હતો.
રીબડામાં વેપારીઓ ડર વગર આવી શકે તેવા અમારા પ્રયત્નો-ગણેશભાઇ
જયરાજસિંહના પુત્ર અને યુવા આગેવાન ગણેશસિંહે જાડેજાએ પણ રીબડા પર નિશાન સાધ્યુ હતું. ગણેશસિંહે કહ્યું હતું કે રીબડામાં ખેડૂતો, ઉધોગકારો શાંતિથી રહી શકે તેવા અમારા પ્રયત્ન છે. રીબડાની આસપાસ ઉધોગોનો વિકાસ થયો છે ત્યારે બહારના વેપારીઓ શાંતિથી ધંધો કરી શકે તેવા પ્રયત્નો રહેશે.
મહત્વનું છે કે ગત વિધાનસભાની ચૂંટણી પહેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને ગોંડલના જયરાજસિંહ જાડેજા વચ્ચે વિવાદ સર્જાયો હતો. ગોંડલ વિધાનસભાની ટિકીટને લઇને શરૂ થયેલો વિવાદ વર્ચસ્વની લડાઇ બની ગયો છે. ચૂંટણી પુરી થઇ ગઇ હોવા છતા હજુ આ વિવાદ ચાલુ છે અને આજે ફરી રીબડામાં સંમેલન કરવામાં આવતા શાંત પડેલો વિવાદ ફરી શરૂ થયો છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો