RAJKOT : દેશની સૌથી મોટી ઇમિટેશન માર્કેટમાં કોરોનાનું ગ્રહણ, ત્રણ લાખ લોકોની રોજગારીને અસર
રાજકોટમાં 15 હજાર જેટલા ઇમિટેશનના નાના મોટા યુનિટ હતા. જેમાંથી હાલમાં 50 ટકા એટલે કે 7500 જેટલા યુનિટ બંધ કરવાની ફરજ પડી છે . જ્યારે કારખાનામાં કામ કરતા કારીગર અને ઘરે બેસીને કામ કરતા 6 લાખ જેટલા કારીગરોને આ ઉઘોગમાં રોજગારી મળતી હતી.

RAJKOT : શહેરની ઇમિટેશન માર્કેટ દેશની સૌથી મોટી માર્કેટ છે.અહીંની ઇમિટેશનની જવેલરી વિશ્વના 56 જેટલા દેશોમાં એક્સપર્ટ થાય છે. જોકે કોરોનાની બીજી લહેર બાદ આ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગી ગયું છે. ધાર્મિક સ્થાનો, ધાર્મિક મેળાવડા, લગ્ન પ્રસંગ અને વિદેશ સાથેનો વ્યવહાર બંધ હોવાથી ઇમિટેશન માર્કેટમાં મંદી ફરી વળી છે.
વેપાર ધંધો ઓછો હોવાને કારણે માલની નિકાસ થઇ રહી નથી. પરીણામે ઉત્પાદન કરેલી જ્વેલરી પડી રહી હોવાથી નવું ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી છે. રીટેઇલ વેપારી નરેન્દ્રભાઇ મહેતાના કહેવા પ્રમાણે હાલમાં બજારમાં લોકોની માંગ ખુબ જ ઓછી છે. જેથી હોલસેલ ખરીદી બંધ કરવી પડી છે.
ભાવવધારો,ઓછી ડિમાન્ડ વેપારીઓ પર ડબલ માર
બીજી તરફ હોલસેલ માર્કેટ અને પ્રોડક્શન યુનિટ ધરાવતા વેપારીઓને બમણો માર પડ્યો છે.એક તરફ બજારમાં ડિમાન્ડ ઓછી હોવાને કારણે મંદી છે અને બીજી તરફ કેટલીક ઘાતુઓના ભાવમાં વધારો થયો છે જેથી ઇમિટેશન જ્વેલરીના ભાવમાં ઘરખમ વધારો થયો છે.
ઇમિટેશનમાં વપરાતી લોખંડ,ઝીંક,કોપર,મોતી ડાયમંડ,મીણ,બ્રાસ અને પ્લાસ્ટિકના ડબ્બાના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે જેના કારણે ઇમિટેશનના ભાવમાં પણ તેજી આવી છે. જેની સામે લોકોમાં ખરીદી ન હોવાથી વેપારીઓએ કારખાના બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
અત્યાર સુધી રાજકોટમાં 15 હજાર જેટલા ઇમિટેશનના નાના મોટા યુનિટ હતા. જેમાંથી હાલમાં 50 ટકા એટલે કે 7500 જેટલા યુનિટ બંધ કરવાની ફરજ પડી છે . જ્યારે કારખાનામાં કામ કરતા કારીગર અને ઘરે બેસીને કામ કરતા 6 લાખ જેટલા કારીગરોને આ ઉઘોગમાં રોજગારી મળતી હતી. જેમાં પણ 50 ટકાનો ઘટાડો થયો છે.મજુરી ન મળતા આ વ્યવસાય સાથે જોડાયેલા રોજમદાર કારીગરોને ઇમિટેશનની દુકાનમાં અથવા અન્ય જગ્યાએ નોકરીએ લાગવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ત્રણ લાખ કારીગરોની રોજગારી પર અસર આ તરફ ઇમિટેશન માર્કેટ એસોસિએશનના પ્રમુખ જીગ્નેશ શાહે સરકાર પાસે રાહતની માંગ કરી છે.તેમના કહેવા પ્રમાણે આ ઉધોગને સરકાર ઓધૌગિક દરજજો આપે તો ઉઘોગને પ્રોત્સાહન મળી શકે છે હાલની સ્થિતિ ખૂબ જ વિકટ છે અને ઇમિટેશનના કારીગરોને આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.પહેલી લહેરમાં સ્થિતિ સારી હતી પરંતુ બીજી લહેર બાદ ડિમાન્ડ ખૂબ જ ઓછી હોવાથી આ ઉઘોગ મરણ પથારીએ પહોંચી ગયો છે..
રાજકોટની ઇમિટેશન માર્કેટમાં તૈયાર થતા ઘરેણાં સાચા ઘરેણાંઓને પણ ટક્કર મારે તેવા તૈયાર થાય છે,આફ્રિકન દેશો સહિત 56 જેટલા દેશોમાં આ ઇમિટેશન માર્કેટની બોલબાલા છે.ચીનને ઇમિટેશન માર્કેટમાં સીધી રીતે ટક્કર આપી શકે તેવી રાજકોટની માર્કેટ છે પરંતુ કોરોનાનું ગ્રહણ આ ઉઘોગને લાગ્યું છે ત્યારે સરકારે આ ઉઘોગની મદદે આવે તે એટલું જ જરૂરી છે.