Rajkot : કમોસમી વરસાદથી પાકને બચાવવો છે ? તો ખેતીવાડી વિભાગે આપેલી આ સલાહને અનુસરો
Rajkot News : સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી છે. જે બાબતે ખેડૂતોને કૃષિ પેદાશોને સંભવિત નુકસાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે નીચે મુજબના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી આપી છે. આગાહીના પગલે આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું પડી શકે છે. આજે ગીર સોમનાથ અને દાહોદમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના 17 જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં 19 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરેલી છે. જે અનુસાર આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી છે. જે બાબતે ખેડૂતોને કૃષિ પેદાશોને સંભવિત નુકસાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે નીચે મુજબના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
ખેતીવાડી વિભાગે કરી અપીલ
રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવા અપીલ કરી છે. પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવા માટે ખેતીવાડી વિભાગે અપીલ કરી છે.
શું સાવચેતી રાખવી ?
- જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો
- એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા
- એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા
- એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે લઇ જવાતી પેદાશો શક્યતઃ આ દિવસો દરમિયાન વાતાવરણનું નિરીક્ષણ કરી ટાળવી અથવા સુરક્ષતિ રાખવા અને બિયારણ, ખાતર, વગેરે જેવી ખેત સામગ્રીના ઇનપુટસ ડીલરોએ ગોડાઉન સુરક્ષિત રાખવા પગલાં લેવા સંયુક્ત બાગાયત નિયામક, રાજકોટની યાદીમાં જણાવાયું છે.
સૌરાષ્ટ્રમાં આજે હવામાનમાં પલટો
હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે ત્યારે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.આજે સવારથી વાદયછાયું વાતાવરણ હોવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો કે હવામાન વિભાગે આગોતરી આગાહી કરતા ખેડૂતોએ પણ સાવચેતી રાખી છે.
ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જ્યારે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરી છે..16 અને 17 માર્ચે વધુ વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ રહેશે.