Rajkot: આફ્રિકાના અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત થઇને હેમખેમ આવેલા યુવકે જણાવી સમગ્ર કેફિયત, જાણો કેવી રીતે ઘડાયો સમગ્ર કારસો?
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, ઝડપાયેલા ચારેય શખ્સો પાકિસ્તાની હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અને તે લોકો પાસેથી 15 લાખ જેટલી રકમ જ્હોનીસબર્ગ પોલીસે કબજે કર્યાની માહિતી પ્રાપ્ત મળી હતી.
આફ્રિકામાં બંધક બનાવાયેલો રાજકોટનો યુવક ઘરે પરત ફર્યો છે. રાજકોટ પોલીસે આફ્રિકા પોલીસનો સંપર્ક સાધી યુવકને હેમખેમ છોડાવ્યો છે. આફ્રિકાના જહોનિસબર્ગમાં યુવકનું અપહરણ થયું હતું. યુવકના પિતાને ફોન કરી અપહરણકારોએ દોઢ કરોડ રૂપિયાની ખંડણીની માગ કરી હતી. જેમાં છેલ્લે 30 લાખ આપી યુવકને છોડવા અપહરણકારો સંમત થયા હતા.
આ કેસમાં યુવકના પિતાએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી તેમજ સ્થાનિક માહિતીને આધારે આફ્રિકન પોલીસે કીડનેપર્સને શોધી કાઢયા હતા અને યુવકને છોડાવ્યો હતો.
આ છે સમગ્ર ઘટના
કેયુર પ્રફુલભાઇ મલ્લી સ્ક્રેપની ખરીદી માટે આફ્રિકાના જ્હોનિસબર્ગ જવા ગત તા.19ની રાત્રીના રાજકોટથી ટ્રેનથી મુંબઇ પહોંચ્યા હતા અને ત્યાંથી ફ્લાઇટમાં તા.20ના રાત્રે જ્હોનિસબર્ગ એરપોર્ટ પર પહોંચ્યા હતા, એરપોર્ટ પર અગાઉથી જ ત્રણ શખ્સો હાજર હતા અને તે રાજકોટના વેપારીને કારમાં બેસાડી 20 કિલોમીટર દૂર અવાવરૂ સ્થળે લઈ ગયા હતા.
અપહરણકારોએ કેયૂર પાસે તેના પિતા પ્રફુલભાઇને ખંડણીના નાણા મોકલવા ફોન કરાવ્યો હતો. તેમજ રૂપિ.યા 1.50 કરોડની ખંડણી માગી હતી, વેપાર માટે વિદેશ ગયેલા પુત્રના અપહરણ અને ખંડણીની વાત જાણી મલ્લી પરિવાર ચિંતિત થઇ ગયો હતો અને પિતા પ્રફુલભાઇએ પુત્રની સુરક્ષા માટે જરાય વિલંબ કર્યા વગર સ્થાનિક પોલીસ તેમજ રાજકોટ ક્રાઇમબ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલનો સંપર્ક કર્યો હતો.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, ઝડપાયેલા ચારેય શખ્સો પાકિસ્તાની હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અને તે લોકો પાસેથી 15 લાખ જેટલી રકમ જ્હોનીસબર્ગ પોલીસે કબજે કર્યાની માહિતી પ્રાપ્ત મળી હતી. કેયુર મલ્લીએ માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ સાથે જોડાયેલા હોવાથી જ્હોનિસબર્ગમાં રહેતા અબ્દુલ નામના શખ્સનો પરિચય થયો હતો અને તેની સાથે વાતચીત બાદ પોતે જ્હોનિસબર્ગ ગયા હતા પરંતુ ત્યાં અબ્દુલ અને તેના મળતીયાઓ આ રીતે વેપારીઓને બોલાવીને ખંડણી ઉઘરાવવાનો કારસો રચ્યો હતો.
પંચમહાલના ઘોઘંબાના શ્રમજીવીનું આફ્રિકામાં મોત
પંચમહાલના ઘોઘંબાના નિકોલા ગામના શ્રમજીવીનું સાઉથ આફ્રિકામાં મોત નિપજ્યું છે. પરંતુ તેમના સ્વજનો છેલ્લા એક સપ્તાહથી તેના મૃતદેહની રાહ જોઇ રહ્યા છે. ગત શુક્રવારે નિકોલાના બાબુ બારીયા નામના શ્રમજીવીનું મોત થયું હતું પરંતુ હજુ સુધી તેમનો મૃતદેહ વતન નથી પહોંચ્યો. આથી સ્વજનોએ રડતી આંખે તેમના મૃતદેહને ઘરે લાવવા માટે સરકારને ગુહાર લગાવી છે. સ્વજનોનું કહેવું છે કે સાઉથ આફ્રિકાની કંપની મૃતદેહને પરત મોકલવા અંગે યોગ્ય પ્રત્યુતર નથી આપી રહી. સ્વજનોએ આ મામલે ધારાસભ્ય અને સાંસદને પણ રજૂઆત કરી છે. તો મામલતદાર દ્વારા પણ બનાવ અંગે પંચનામું કરવામાં આવ્યું છે. મૃતક બાબુ દોઢ વર્ષ પહેલા સેન્ટિંગ કામની મજૂરી માટે ભુજની કંપની મારફતે સાઉથ આફ્રિકા ગયા હતા