રાજકોટમાં બિસ્માર રસ્તાઓ મુદ્દે કોંગ્રેસનો વિરોધ, ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે થઇ ઝપાઝપી
વિરોધ એટલે હદે થયો હતો કે ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. અને કોંગ્રેસના કોર્પોરેટરોએ બાંધેલી પટ્ટીઓને કાંઢી નાંખી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા ભારે વરસાદને કારણે ધોવાયેલા રસ્તા અને ગંદકીના મામલે તોફાની બની હતી.કોંગ્રેસના કોર્પોરેટરો આજે પાટાપીંડી બાંધીને જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા. અને શહેરમાં વરસાદ બાદ રસ્તાની હાલત બિસ્માર થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ બિસ્માર રસ્તાના બેનરો પણ દેખાડીને વિરોધ કર્યો હતો.
વિરોધ એટલે હદે થયો હતો કે ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. અને કોંગ્રેસના કોર્પોરેટરોએ બાંધેલી પટ્ટીઓને કાંઢી નાંખી હતી. બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મેયરે તમામ કોંગ્રેસના કોર્પોરેટરને માર્સલની મદદથી બહાર કાઢવાનો આદેશ કર્યો હતો. મેયરે કોંગ્રેસના કોર્પોરેટરોને બહાર કાઢવાનો આદેશ આપતા પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ અપશબ્દો બોલ્યા હતા.
દર વર્ષે વરસાદ પડેને રસ્તાઓ ખરાબ થાય, ભષ્ટાચારનો આક્ષેપ-સાગઠિયા
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે દર વર્ષે વરસાદ થતાની સાથે જ શહેરના રસ્તાઓ બિસ્માર થઇ જાય છે. અને ભષ્ટ્રાચાર ઉડીને આંખે વળગે છે, જ્યારે વાસ્તવિકતા દર્શાવી ત્યારે શાસકોએ સત્તાનો દુરપયોગ કરીને બહાર કાઢ્યાં. શહેરના રામનાથ મહાદેવ મંદિર નજીક આજે પણ વરસાદી પુરના કારણે ગંદકીના ઢગલા થયા છે. એટલું જ નહિ ખુદ મેયર પ્રદિપ ડવના વિસ્તારમાં ખાડાઓનું સામ્રાજ્ય છે ત્યારે ભાજપ લાજવાને બદલે ગાજી રહી છે.
કોંગ્રેસ માત્ર નાટક કરે છે-મેયર
આ અંગે મેયર પ્રદિપ ડવે કોંગ્રેસના વિરોધને નાટક ગણાવ્યું હતું. મેયરે કહ્યું હતુ કે ખાડા અને રસ્તા અંગેની રજૂઆત ગ્રાહ્ય છે. અને તે અંગે રજૂઆત સાંભળવામાં આવી અને અઘ્યક્ષસ્થાનેથી જવાબ પણ આપવામાં આવ્યો. પરંતુ કોંગ્રેસ માત્ર નાટક કરવા માટે આ પ્રકારનો વિરોધ કરતા જોવા મળ્યા છે. જ્યારે શહેરમાં વરસાદ આવ્યો ત્યારે શહેરમાં કોંગ્રેસના કોર્પોરેટરો પ્રજા વચ્ચે દેખાયા પણ નથી.
વરસાદમાં સાડ ત્રણ કરોડની નુકસાનીનો અંદાજ
મેયર પ્રદિપ ડવે કહ્યું હતુ કે શહેરમાં ભારે વરસાદને કારણે જે નુકસાન થયું છે તેનો અંદાજ લગાડવામાં આવ્યો છે અને શહેરમાં સાડા ત્રણ કરોડનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે મોટાભાગનું નુકસાન રસ્તાઓમાં ઘોવાણ થવાને કારણે થયું છે.આ અંગે જે રસ્તાઓ ગેરેન્ટીમાં છે તેના કોન્ટ્રાક્ટરને વરસાદ બંધ થતાની સાથે જ રિપેર કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે હાલમાં તમામ ખાડાઓ બુરવાની શરૂઆત કરવામાં આવી છે..નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં આ રસ્તાઓ ફરી સારા થઇ જશે તેવો દાવો કર્યો હતો.