ગોંડલના સામાજિક યુદ્ધથી કોનું કલ્યાણ થશે? શા માટે સુરત બન્યું ગોંડલ વિવાદનું એપી સેન્ટર? વાંચો પડદા પાછળની કહાની
ગોંડલમાં રવિવારે જે કંઈ થયુ તે સમગ્ર ગુજરાતે જોયુ. પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ ગોંડલમાં ગુંડારાજ અને મિર્ઝાપુર બની રહ્યુ હોવાના આક્ષેપ કરતા ગણેશ જાડેજાએ અલ્પેશને પડકાર ફેંક્યો હતો. એ પડકારનો સ્વીકાર કરતા અલ્પેશ કથિરિયા રવિવારે ગોંડલ પહોંચ્યા અને એ દરમિયાન કારના કાચ પણ ફુટ્યા અને ગણેશના સમર્થકોએ અલ્પેશને કાળા વાવટા પણ બતાવ્યા.
ગોંડલમાં રવિવારે હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો, ગણેશ ગોંડલના પડકારને ઝીલવા માટે અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલ તેના સમર્થકો સાથે ગોંડલ પહોંચીને આ વિવાદને વેગ આપ્યો પરંતુ સોશિયલ મિડીયા પર જે રીતે બંન્ને નેતાઓ ગર્જયા હતા તે રીતે ગોંડલમાં વરસ્યા નહિ. અલ્પેશ કથિરીએ ગોંડલને સ્વાગત કરવાનો પડકાર ફેંક્યો અને ગોંડલે અલ્પેશ કથિરીયાનું બરાબર સ્વાગત કર્યું. જો કે આ વિવાદ વચ્ચે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે શા માટે ગોંડલ વિવાદમાં જ રહે છે. ચૂંટણી ન હોવા છતાં અત્યારથી ચૂંટણીની વાતો શરૂ થઇ ગઇ છે? શું ગોંડલમાં ખરેખર પાટીદારો ભયભીત છે? કે પછી ગોંડલને વિવાદનું એપી સેન્ટર બનાવવામાં જૂની અદાવત જવાબદાર છે?
જી હા ગોંડલ શહેર સર ભગવતસિંહજીની પવિત્ર ભુમી છે. સૌરાષ્ટ્રમાં પાટીદારો અને ક્ષત્રિય સમાજ વચ્ચે વેરનું એપી સેન્ટર આ જ વિસ્તાર રહ્યો હતો, પરંતુ સમય વિતતા આ પરિસ્થિતિઓ બદલાઇ છે. હવે એ દુશ્મનાવટ નથી જેથી બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય પરંતુ ગોંડલમાં તાજેતરમાં ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજના કેટલાક લોકો વચ્ચે થયેલી બબાલે આ વિવાદને ફરી જન્મ આપ્યો. મહત્વની વાત એ પણ છે કે આ વિવાદ ગોંડલના કોઇ વ્યક્તિ નહિ પરંતુ ગોંડલની બહાર રહેતી વ્યક્તિએ વિનુ શિંગાળા હત્યા કેસને યાદ કરીને વિવાદને જન્મ આપ્યો. આ વિવાદને સમજવા માટે કેટલાક જુના કિસ્સાઓને યાદ કરવા જરૂરી છે.
નિખિલ દોંગા સાથે વિવાદ શું?
ગુજસીટોકના આરોપી અને ભુમાફિયા તરીકે કુખ્યાત બનેલા નિખિલ દોંગા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે છેલ્લા ઘણાં વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. નિખિલ દોંગાએ ગોંડલમાં યુદ્ધ એ જ કલ્યાણ નામના સામાજિક સંગઠનની સ્થાપના કરી છે. જો કે નિખિલ દોંગા અને તેની સાથે ફરતાં પાટીદાર સમાજના કેટલાક યુવાનો સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને ધરપકડ પણ થઇ હતી. આ સમયે આ કાર્યવાહી પાછળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ભુમિકા હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. જેથી થોડા સમય પહેલા ગોંડલમાં જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ એક સંમેલન થયું હતું જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ ટેકો આપ્યો હતો. ગોંડલમાં વિવાદનો પાયો નાખ્યો હતો.
ગોંડલમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી સમયથી ટિકીટ માટે રીબડાના અનિરુદ્ઘસિંહ જાડેજા સાથેનો વિવાદ, રાજુ સોલંકી સાથે ઝઘડો અને ત્યારબાદ થયેલો વિવાદ, રાજકુમાર જાટ શંકાસ્પદ મોતનો વિવાદ અને પાટીદાર યુવકોને માર મારવાના વિવાદમાં આ વિવાદ જ કેન્દ્ર સ્થાને હોય તેવું ચર્ચાઇ છે.
શા માટે સુરત એપી સેન્ટર ?
આખો સૌરાષ્ટ્ર પંથકમાં સારી રીતે જાણે છે જયરાજસિંહ જાડેજા અને નિખિલ દોંગા વચ્ચે દુશ્મની છે. જેથી જયરાજસિંહ જાડેજાને નુકસાન કરવામાં નિખિલ દોંગા કોઇ મોકો છોડતો નથી. જ્યારે રાજકુમાર જાટ મોત કેસનો વિવાદ ઉગ્ર બન્યો હતો ત્યારે પણ ગોંડલ પંથકમાં જાટના વકીલ અને નિખિલ દોંગાના ફોટો વાયરલ થયાં હતા. જાટ પરિવાર આ મુદ્દે હાઇકોર્ટમાં ગયો છે અને સીબીઆઇ તપાસની માંગ કરી છે જેમાં કાયદો કાયદાનું કામ કરશે પરંતુ આ વિવાદને વેગ આપવામાં પણ નિખીલ દોંગાનું નામ ચર્ચાઇ રહ્યું હતું
નિખીલ દોંગા હાલ સુરતમાં રહે છે. અલ્પેશ કથિરીયા અને નિખિલ દોંગા બંન્ને સાથે ફરતાં હોય તેવા અનેક વિડીયો સામે આવી રહ્યા છે ત્યારે શું અલ્પેશ કથિરીયા નિખિલ દોંગાના ઇશારે આ વિસ્તારમાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યો છે ? તે મોટો સવાલ છે.
પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે વિવાદથી શું થાય ?
ગોંડલ વિધાનસભા વિસ્તાર પાટીદારોનો ગઢ છે જો કે આ ગઢ પર ક્ષત્રિય સમાજના જયરાજસિંહ જાડેજાનું રાજ છે. વળી જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ આ સીટ પર ભાવિ ધારાસભ્ય તરીકે ગણેશ જાડેજાનું નામ જાહેર કરી દીધું છે. જેથી પાટીદારોની બહુમતી ધરાવતી સીટ હોવા છતાં ક્ષત્રિય ધારાસભ્ય છે. વિધાનસભાની ચૂંટણીને હજુ સમય છે પરંતુ જો જાડેજા પરિવાર વિવાદોની વચ્ચે રહે તો આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી તેને વિકલ્પ વિચારી શકે અને નિશ્વિતપણે આ વિકલ્પ પાટીદાર જ હોય જેથી જયરાજસિંહના સામ્રાજ્યનો અંત આવે.
અનેક વિવાદોની વચ્ચે જયરાજસિંહ પરિવાર લોકોનો વિશ્વાસ જીતવામાં અકબંધ રહ્યો છે. પરંતુ આવા વિવાદોને કારણે ગોંડલ શહેર અને સરકારનું નામ ખરાબ થઇ રહ્યું છે. વિવાદનો જલ્દી અંત આવે તે માટે સરકારે પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરવો જરૂરી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો