રાજકોટમાં રેસકોર્સ ખાતે દિવાળી કાર્નિવલનું રંગેચંગે આયોજન, આતશબાજી, રોશની, રંગોળી સ્પર્ધા સહિતના રહેશે કાર્યક્રમોની વણજાર
દિવાળી કાર્નિવલ માટે થઈ જાઉ તૈયાર... રાજકોટના રેસકોર્સ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી કાર્નિવલનું રંગેચંગે આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્નિવલમાં આતશબાજી, રોશની અને રંગોળી સ્પર્ધા સહિતના અનેક કાર્યક્રમોની વણજાર છે. હાલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
દિવાળી એટલે પ્રકાશનું પર્વ છે અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રકાશના પર્વની તારીખ 8થી 12 નવેમ્બર સુધી રંગેચંગે ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે. દિપાવલી પર્વ પર રાજકોટના હાર્દ સમાન રેસકોર્સ ખાતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. જેમાં ભવ્ય રોશની,આતશબાજી અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટવાસીઓ દિવાળીનું પર્વ રોશનીના જગમગાટથી ઉજવી શકે તે માટે મહાનગરપાલિકા દ્રારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ધનતેરસે ભવ્ય આતશબાજી, રોશનીથી ઝગમગી ઉઠશે રેસકોર્સ
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે રાજકોટના રેસકોર્સ ખાતે 8 તારીખથી 12 તારીખ સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 8 તારીખના દિવસે સાંજના 6 વાગ્યે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્રારા રેસકોર્સ ખાતે ભવ્ય ગેઇટ અને રેસકોર્સ ખાતે લાઇટીંગ શોનું ઉદ્દઘાટન કરવામાં આવશે.
10 નવેમ્બરે ભવ્ય આતશબાજી અને 11 નવેમ્બરે રંગોળી સ્પર્ધાનું આયોજન
10 નવેમ્બરના રોજ રાજકોટના માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંજે 7 કલાકે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવશે. જેમાં એક કલાક સુધી રંગબેરંગી ફટાકડાઓ ફોડવામાં આવશે. આ દિવસે હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓ આ નજારાના સાક્ષી બનશે. ભાજપના પ્રદેશ ઉપાધ્યાક્ષ ભરત બોઘરા દ્રારા આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત 11 તારીખના રોજ રાજકોટમાં રંગબેરંગી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 8 થી 12 થીમ બેઝ લાઇટ ડેકોરેશન કરવામાં આવશે. આ ઉપરાંત સેલ્ફી પોઇન્ટ પણ રાખવામાં આવશે. ચાર દિવસ સુધી રાજકોટ ઝગમગી ઉઠશે.
રંગોળી સ્પર્ધાની વિશેષ તૈયારીઓ
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે 11 તારીખે બપોરે 3 વાગ્યાથી રંગોળી સ્પર્ધા શરૂ કરવામાં આવશે અને રાત્રીના 11-30 કલાક દરમિયાન રેસકોર્ષ ના 2.7 કિલોમીટરના વિસ્તારમાં આ રંગોળી તૈયાર કરવામાં આવશે. ચિત્રનગરી ટીમના સહયોગથી આ કામગીરી કરવામાં આવશે. જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને 15 હજાર, 10 હજાર અને 5 હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે. જ્યારે 20 રંગોળીઓને 1 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગલેવા ઇચ્છુક ઉમેદવારોએ મોબાઇલ નંબર 9228090895 અને ચિત્રનગરીની ઓફિસ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રંગોળી સ્પર્ધા માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. જેમાં
- સ્થળ પર ચિરોડી કલરની વ્યવસ્થા
- ટેબલ,ખુરશી પાણીની વ્યવસ્થા
- ઉમેદવારો માટે નાસ્તાની વ્યવસ્થા
- દરેક કલાકારની રંગોળી માટે ખાસ બોક્સની વ્યવસ્થા
- રેસકોર્સ ફરતે કલર માટે 15 જેટલા ટેબલની વ્યવસ્થા
- કલર માટેના બાઉલની વ્યવસ્થા પણ કરવામાં આવશે
- દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ અને ઇનામ વિતરણ સુધીની તમામ વ્યવસ્થાઓ હાથ ધરાઇ
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો