
રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં કાળઝાળ ગરમીના પ્રકોપથી પશુપાલકો અને તેમના અબોલ પશુઓ માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આકાશમાંથી વરસતા અંગારાઓ અને પાણીના સ્ત્રોતોના સુકાવાથી અબોલ જીવો પાણી અને ખોરાક વગર વલખા મારી રહ્યા છે. રાજકોટના ધોરાજીના દ્રશ્યો દર્શાવે છે કે ચેકડેમ, તળાવો અને નદીઓ પાણીવિહોણા બની ગયા છે.
પાણી પીવાથી પશુઓ બીમાર પડી શકે છે
સ્થાનિક પશુપાલકોના જણાવ્યા અનુસાર નદીના પટમાં જ્યાં થોડુંઘણું પાણી જોવા મળે છે, તે પણ અત્યંત દૂષિત છે. આ પાણી પીવાથી પશુઓ બીમાર પડી શકે છે અથવા તો તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. આ પરિસ્થિતિમાં પશુપાલકોને પોતાના પશુઓ માટે કલાકો સુધી પીવાના પાણીની શોધમાં ભટકવું પડે છે. કેટલાક પશુપાલકોને અન્યની વાડીઓમાં આવેલા કૂવાઓ કે ટાંકીઓમાંથી પાણી મેળવવાની ફરજ પડી રહી છે. એક પશુપાલકે જણાવ્યું કે જો પશુઓ ગંદુ પાણી પીને બીમાર પડે તો ડોક્ટરને બોલાવવાનો અને દવા કરાવવાનો ખર્ચ પણ ઘણો વધારે આવે છે.
ઘાસચારાના ભાવમાં થયેલા અભૂતપૂર્વ વધારો
પાણીની અછત ઉપરાંત ઘાસચારાના ભાવમાં થયેલા અભૂતપૂર્વ વધારાને કારણે પશુપાલકોના માથે આર્થિક બોજ વધ્યો છે. ગરમી અને પોષણક્ષમ આહારના અભાવે પશુઓના દૂધ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે પશુપાલકોની આવકનો મુખ્ય સ્ત્રોત છે. દૂધ ઉત્પાદન ઘટવાથી તેમની આર્થિક ચિંતામાં વધુ વધારો થયો છે.
જળાશયોમાં પૂરતું પાણી હોવા છતાં તેને છોડવામાં આવતું નથી
પાદર ડેમ અને લીલાખાવાળા ડેમ જેવા જળાશયોમાં પૂરતું પાણી હોવા છતાં તેને છોડવામાં આવતું નથી તેવી ફરિયાદ પશુપાલકો કરી રહ્યા છે. તેઓ સરકાર સમક્ષ જોરદાર માંગણી કરી રહ્યા છે કે ડેમમાંથી પાણી નહેરો મારફતે તળાવો કે અન્ય જળાશયોમાં છોડવામાં આવે. પશુપાલકોનો દાવો છે કે ડેમમાં પાણી હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી, જેના કારણે હજારો પશુઓ પાણી માટે તરસ્યા છે. હાલની સ્થિતિમાં માલધારીઓ તેમના પશુઓને પાણી ક્યાંથી પિવડાવે તેવી ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, અને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સરકારને અપીલ કરી રહ્યા છે.
Health Tips : છાસમાં પાણી ઉમેરીને પીવાના ગજબના ફાયદા, ગરમીમાં તો એકદમ બેસ્ટ! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
Published On - 12:37 pm, Fri, 1 May 26