Gujarat Election 2022: ગુજરાત મુલાકાતે આવેલા રાહુલ ગાંધીની મોટી જાહેરાત, અમારી સરકાર આવશે તો ખેડૂતોનું 3 લાખ રુપિયાનું દેવુ માફ કરીશું
રાહુલ ગાંધી અમદાવાદના (Ahmedabad) રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજર રહ્યા. આ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત(CM Ashok Gehlot) સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા.
જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ વધ્યા છે. હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદના (Ahmedabad) રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજર રહ્યા. આ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત(CM Ashok Gehlot) સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા. આ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી. તેમણે કહ્યુ કે, ‘જો અમારી સરકાર આવશે તો ખેડૂતોનું 3 લાખ રુપિયાનું દેવુ માફ કરીશું’
ડ્રગ્સ પકડાવાને લઇને સરકાર પર પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમ દરમિયાન ગુજરાતની જનતાને અનેક વચન આપ્યા. રાહુલ ગાંધીએ GST, ગુજરાતમાં પકડાતો ડ્રગ્સનો જથ્થો, ખેડૂતોનું દેવુ, કન્યા શિક્ષણ, નોટબંધી જેવા અલગ અલગ મુદ્દાઓને લઇને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાત ડ્રગ્સનું કેન્દ્ર બની ગયુ છે. દર બે-ત્રણ મહિને ગુજરાતના બંદરો પર ડ્રગ્સ ઝડપાય છે. ગુજરાતની ભાજપ સરકાર ડ્રગ્સ મામલે મૌન બેઠી છે. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે એક તરફ ગુજરાતમાં વિરોધ કરનારાઓ પર દંડા વરસાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ડ્રગ્સ લાવનારા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
GST અને નોટબંધીને લઇને આક્ષેપ
GST મામલે રાહુલ ગાંધીએ કહ્યુ કે, GSTથી વેપારી વર્ગને માત્ર અને માત્ર નુકસાન છે. માત્ર બે-ત્રણ ઉદ્યોગપતિઓેને જ ફાયદો જ કરાવવામાં આવી રહ્યો છે. ગુજરાત માત્ર બે-ત્રણ ઉદ્યોગપતિઓના જ હવાલે કરી દીધુ હોવાનો આક્ષેપ કર્યો. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ગુજરાતમાં એરપોર્ટ સહિતની મિલકતો ઉદ્યોગપતિના હવાલે કરી દેવામાં આવી છે. તો બીજી તરફ નોટબંધી પણ નાના વેપારીઓને ખતમ કરી દીધા હોવાનું નિવેદન રાહુલ ગાંધીએ આપ્યુ હતુ.
ખેડૂતોનું દેવુ માફ કરવાનું આપ્યુ વચન
રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં કહ્યુ કે, અમારી સરકાર આવશે તો ખેડૂતોનું 3 લાખ રુપિયાનું દેવુ માફ કરીશું, સરદાર પટેલે જે પણ સંસ્થા બનાવી તેના પર ભાજપે કબ્જો જમાવી લીધો છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યુ કે, ગુજરાતની જનતા પરેશાન થઇ ગઇ છે. આંદોલન કરવા માટે પણ ગુજરાત સરકારની પરવાનગી લેવાની વાત કરે છે.
કોંગ્રેસના ચૂંટણીલક્ષી વાયદા
- પ્રત્યેક ગુજરાતીઓને રુ. 10 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે, દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે.
- ખેડૂતોનું રુ. 3 લાખ સુધીનું દેવુ માફ કરીશું,ખેડૂતોનું વીજળીનું બિલ માફ કરવામાં આવશે.
- સામાન્ય વીજ વપરાશકારોને 300 યુનિટ સુધી વીજળી મફત અપાશે.
- ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરવામાં આવશે. જેમાં 50 ટકા નોકરીઓ પર મહિલાઓનો અધિકાર રહેશે.
- સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પધ્ધતિ સંપૂર્ણ નાબુદ થશે. બેરોજગાર યુવાનોને પ્રતિમાસ ત્રણ હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે.
- દુધ ઉત્પાદકોને દરેક લીટર દીઠ 5 રૂપિયાની સબસિડી આપવામાં આવશે, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે.
- ગુજરાતમાં ત્રણ હજાર સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરુ કરવામાં આવશે.દીકરીઓ માટે KGથી PG સુધીની શિક્ષા સંપૂર્ણ મફત આપવામાં આવશે.
- ગુજરાતના જે ત્રણ લાખ પરિવારોએ પોતાના સ્વજનોને કોરોના મહામારીમાં ગુમાવ્યા છે. તેમને 4 લાખ રૂપિયાનું કોવિડ વળતર આપવામાં આવશે.
- છેલ્લા 27 વર્ષમાં જેજે ભ્રષ્ટાચારો થયા છે તેની સ્ક્રુટિની થશે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો લાવવામાં આવશે અને ગુનેગારોને જેલમાં નાખવામાં આવશે.