ગુજરાતમાં (Gujarat rain ) આ વર્ષે સાર્વત્રિક વરસાદથી રવિ પાકનું સારું વાવેતર થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનું (Ground nut) વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે. તે અંગે પોરબંદર (Porbandar) જિલ્લામાંથી સારા સમચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જિલ્લામાં 77035 હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને હવે વધારે વરસાદ નહીં વરસે તો વિપુલ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થઈ શકે છે. હાલમાં થયેલા વાવેતરથી જગતનો તાત ખુશખુશાલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ મોટી માત્રામાં મગફળી વાવી છે ત્યારે આંકડાની રીતે જોઈએ તો જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન 107235 હેકટર જમીનમાં ચોમાસુ પાક વાવમાં આવ્યા છે જેમાં સૌથી વધુ એટલે કે 77035 હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું છે. જે ખેડૂતોએ જૂન મહિનાની શરૂઆત કે અંતમાં મગફળી વાવી છે તેઓનો પાક ઓક્ટોબર માસમાં તૈયાર થઈ જશે. જોકે ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વખતે દર વર્ષ જેટલી ઉપજ મળવાની શક્યતા નથી.
પોરબંદરમાં ખેડૂતોએ મોટી માત્રામાં મગફળીના પાકનું વાવેતર કર્યું છે. પરંતુ હાલ મગફળીના પાકમાં મુંડાનો રોગચાળો આવ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લા સહિત પોરબંદર જિલ્લાના રાણાવાવ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મુંડાનો રોગચાળો કાબૂમાં આવ્યો નથી. આથી ખેડૂતોનું માનવું છે કે જ્યાં મુંડાનો રોગ છે ત્યાં ધારણાથી ઓછું ઉત્પાદન થશે. કારણકે મુંડાનો રોગ જમીનમાં હોય અને તેની પર દવા અસર કરતી નથી. મુંડા જીવાતે મગફળીની વૃદ્ધિ અટકાવી દીધી છે. વીઘા દીઠ દસથી બાર હજાર રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતો માટે હાલ પોતાનો મગફળીનો પાક બચાવવો મુશ્કેલ બન્યો છે. એક વીઘાએ દર વર્ષે જેટલો ઉતારો આવો જોઈએ એટલો ઉતારો મુંડા જીવાતના કારણે આ વખતે આવશે નહીં. જેને કારણે ખેડૂતોને મગફળીના પાકમા ભારે નુકસાની વેઠવાનો વારો આવશે.
મગફળીમાં પડતી જીવાતને સ્થાનિક ભાષામાં આ જીવાતને મુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ધૈણની ઇયળો (Caterpillar) પહેલા પાકના તંતુમૂળ અને ત્યારબાદ મુખ્ય મૂળને કાપીને પાકને નુકસાન કરે છે. તેનું નુકસાન ચાસમાં આગળ વધતા મગફળીના છોડ સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે. આમ, મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. વિવિધ જિલ્લાના ખેતીવાડી અધિકારી મુંડાનો નાશ કરવા માટે ઉપાય પણ સૂચવી રહ્યા છે હવે તેની કેટલીક અસર થાય છે તે જોવું રહ્યું.