
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે રવિવારને 10મી મેથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ આજે 10મી મેની રાત્રે જામનગર ખાતે આવી પહોચશે. જામનગરમા તેઓનો રોડ શો યોજાશે. જ્યારે બીજા દિવસે એટલે કે, 11મી મેના રોજ સવારે સોમનાથ મંદિુરે યોજાનાર અમૃત મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ સાંજે વડોદરા ખાતે મધ્ય ગુજરાતના સરદાર ધામનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે જામનગર આવ્યા બાદ, આવતીકાલે સોમવારે સોમનાથ મંદિર ખાતે યોજાનારા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે. પીએમ મોદીના આગમનને લઈ સમગ્ર સોમનાથમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરથી લઈને રોડ શો રૂટ સુધી વિશેષ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
પીએમ મોદી હેલિપેડથી સોમનાથ મંદિર સુધી ભવ્ય રોડ શો કરશે. રોડ શોના રૂટની વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા હોવાથી સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
રોડ શો પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરશે. સોમનાથ મંદિર ખાતે ચાલી રહેલા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને મંદિરને આકર્ષક રીતે સજાવવામાં આવ્યું છે. મંદિરની બહાર ખાસ સેલ્ફી પોઇન્ટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે જેથી યાત્રાળુઓ અને ભક્તો આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવી શકે.
કાર્યક્રમ દરમિયાન ખાસ એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત પીએમ મોદી સોમનાથ ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. જનસભા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે SP, DSP સહિત 2000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. NSG અને SOGની ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પીએમના રોડ શોને ધ્યાનમાં રાખીને SOG દ્વારા હેલિપેડથી સોમનાથ મંદિર સુધી રિહર્સલ પણ કરવામાં આવી હતી.
આવતીકાલે રોડ શો પહેલાં NSG દ્વારા કોનવે પસાર કરવામાં આવ્યો હતો. કોનવે પસાર થાય ત્યાં સુધી યાત્રાળુઓને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યા હતા. જોકે સામાન્ય લોકોને હાલાકી ન પડે તે માટે પોલીસ અને પ્રશાસન દ્વારા અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
પીએમ મોદીના આગમનને લઈ સમગ્ર સોમનાથમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે અને તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
With input Dilip Mori, Veraval-Somnath