ચોમાસાની (Monsoon 2022) શરુઆતમાં જ સારા વરસાદથી (Rain) ગુજરાતમાં (Gujarat) નદી-નાળાઓ છલકાવા લાગ્યા છે. જો કે આ સાથે જ તળાવ અને નદીમાં ડુબીને મોત થતા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી રહી છે. પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા તાલુકાના હમીરપુર ગામમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. હમીરપુર ગામમાંના ઢોર ચરાવવા ગયેલી એક મહિલાનું તળાવમાં ડુબી જવાથી મોત થયુ છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લામાં પશુ ચરાવવા ગયેલી મહિલાનું તળાવમાં ડૂબી જવાથી મોત થયુ છે. ગોધરા તાલુકાના હમીરપુર ગામે 40 વર્ષીય કૈલાશબેન બારીયા પશુપાલન કરે છે. તે પોતાના પશુઓને ચરાવવા માટે નીકળ્યા હતા. જે પછી તેમના પશુઓ તળાવના પાણીમાં ઉતર્યા હતા. તળાવના પાણીમાંથી પશુઓને બહાર કાઢતા સમયે કૈલાશબેનનો પગ લપસી ગયો હતો. જે પછી કૈલાશબેન તળાવના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તળાવના પાણીમાં ડુબી જવાથી મહિલાનું મોત થયુ છે.
મહિલાના ડુબવાની ઘટનાની જાણ થતા જ સરપંચ સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં ઝંપલાવ્યુ હતુ. જે પછી સ્થાનિક તરવૈયાઓએ મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે પછી પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.