
ગુજરાત વિધાનસભામાં આજે શુક્રવારે પ્રાકૃતિક ખેતીના વિષયે ચર્ચા-પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે, આ પરિસંવાદમાં પોતાના સ્વાનુભવને ટાંકિને ગુજરાતના ભૂગર્ભજળ પ્રદુષિત થઈ રહ્યાં હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિધાનસભામાં પ્રાકૃતિક ખેતી વિષયે બોલતા રાજ્યપાલે કહ્યું કે, ખેડાના એક- બે નહીં પરંતુ 25 ગામના ભૂગર્ભ જળ પ્રદુષિત થઈ ગયા છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે, તેમનો અનુભવ ટાંકતા કહ્યું કે, ખેડામાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સમયે ખેડા જિલ્લાના કલેકટર સાથે વાત થઈ. તેમણે મને ચિંતાજનક વિગતો આપતા કહ્યું કે, ખેડાના એક ગામના લોકોએ પાણી (નલ સે જલ) માટે ઓવરહેડ ટાંકીની માંગણી કરી હતી. અમે કહ્યું કે આપણી પાસે યોજના માટે પૂરતા રૂપિયા છે જ. આથી અમે ઓવરહેડ ટાંકીમાં પાણી પહોંચાડવા માટે ભૂગર્ભ જળના નમૂના લેવાના શરૂ કર્યા. એ ગામની આસપાસના 1 કે 2 નહીં પરતું આસપાસના 25 ગામમાં નમુના લીધા, જેના તપાસ રિપોર્ટ ખૂબ જ ચિંતાજનક આવ્યા. ભૂગર્ભ જળમાં નાઈટ્રોજનની એટલી માત્રા મળી આવી કે તે પીવા લાયક ના હતું. આ દર્શાવે છે કે, હવે ગુજરાતના ભૂગર્ભજળ પ્રદુષિત થઈ રહ્યાં છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વાતોમાં સુર પુરાવતા હોય તેવો એક દાખલો ભાજપના જ ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ રજૂ કર્યો હતો. મહેશ કસવાલાએ કહ્યું કે, તેમના મતવિસ્તારમાં એક આખું ગામ કેન્સરગ્રસ્ત છે. ગામમાં આંબા પર રાસાયણિક પ્રક્રિયાને કારણે કેરી ખાવાથી રોગમાં વધારો થતો હોવાનો પ્રાથમિક તારણ સામે આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ કરી હતી.
ગુજરાત વિધાનસભામાં યોજાયેલ પ્રાકૃતિક ખેતીના વિષયે ચર્ચા-પરિસંવાદમાં, સરકારના પ્રવકત્તા પ્રધાન અને કૃષિ પ્રધાન જીતુ વાધાણીએ, ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા લેવાતા અને લેવાનારા પગલાંઓની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં રોજના 700 દર્દીઓ કેન્સરના નોંધાઈ રહ્યાં છે તે ચિંતાજનક છે. ગઈકાલે જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 7 કરોડ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે. ગુજરાતમાં પ્રાકૃતિક મોડલ ફાર્મ પણ વિકસાવવામાં આવી રહ્યા છે. આપણા ગુજરાતમાં હાલમાં 8 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ગુજરાતના કુલ 500 ગામ પ્રાકૃતિક ખેતીવાળા થાય તેવો લક્ષ્યાંક સરકારે સેવ્યો છે.
Published On - 2:43 pm, Fri, 27 February 26