સમગ્ર ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની મહેર ઉતરવાનું શરુ થઇ ગયુ છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારમાં સારો વરસાદ (Rain) નોંધાયો છે. જો કે મેઘરાજાના વધામણા સાથે હવે મુશ્કેલીઓના પણ મંડાણ થયા છે. નવસારીમાં (Navsari) પ્રથમ વરસાદમાં જ પ્રજાજનોની પરેશાની વધવા લાગી છે. નવસારીમાં રેલવે ગરનાળામાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ચોમાસાની ધીમી ગતિએ શરૂઆત થઇ ચૂકી છે. નજીવા વરસાદમાં નવસારી નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડાડતા હોય તેવી સ્થિતિ નવસારી શહેરમાં જોવા મળી રહી છે. નવસારી શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલું ગરનાળુ ભરાઈ જતા લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. પૂર્વ અને પશ્ચિમ નવસારીને જોડતા નવસારી રેલવે સ્ટેશનના ગરનાળામાં ગાડીઓ પણ ન નીકળી શકે એટલું પાણી ભરાઇ ગયુ છે. જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાથે જ રેલવે ફાટક પર ટ્રાફિક વધી જતા લોકોની સ્થિતિ વધુ વણસી રહી છે.
પ્રિમોન્સુન કામગીરીની મોટી મોટી વાતો કરતા નગરપાલિકાના શાસકોની પોલ ખૂલી ગઈ હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. નવસારીના વહીવટી તંત્રએ માત્ર કાગળ પર પ્રિ-મોન્સૂન કામગીરી કરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
પહેલા જ વરસાદના પગલે ક્યાંક રસ્તા પર ખાડા પડી ગયા, તો ક્યાંક પાણી ભરાવાના કારણે વાહનચાલકો પ્રભાવિત થયા છે. જોકે દૂર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે વરસાદે વિરામ લીધો પરંતુ સમસ્યા ઉભીને ઉભી છે. તંત્રએ ગરનાળામાં ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે.