Navsari: પારસી સમાજ દ્વારા નવરોઝની ઉત્સાહપૂર્વક ઉજવણી, અગિયારીમાં એકઠા થઇને કરી પ્રાર્થના
વસારીમાં (Navsari) પારસી સમાજ દ્વારા ધામધૂમથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારીમાં આવેલા 134 વર્ષથી પણ જુના આતસ બહેરામ એટલે કે પારસી અગિયારીમાં કોરોના નિયમનું પાલન કરી પારસી લોકોએ ઉજવણી કરી રહ્યા છે.
આજે પારસીઓનું નવું વર્ષ છે. પારસી સમુદાય (Parsi Community) પોતાની પરંપરાઓ સાથે જોડાયેલા છે. પારસી સમુદાય માટે નવરોઝ (Navroz) ખૂબ આસ્થાનો વિષય છે. પારસી નવું વર્ષ જમશેદી નવરોઝ, નવરોઝ, પતેતી અને ખોરદાદ સાલ તરીકે પણ ઓળખાય છે. પારસીઓ માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે. ત્યારે પારસી સમાજમાં પતેતી એટલે પ્રાયશ્ચિત કરવાનો દિવસ ગણવામાં આવે છે. ત્યારે નવસારીમાં પારસી સમાજ દ્વારા આજે એકબીજાને મોં મીઠુ કરાવી શુભેચ્છા પાઠવીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. દાદાભાઈ નવરોજી અને જમશેદજી ટાટાની નગરી ગણાતી નવસારીમાં (Navsari) પારસી સમાજ દ્વારા ધામધૂમથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારીમાં આવેલા 134 વર્ષથી પણ જુના આતસ બહેરામ એટલે કે પારસી અગિયારીમાં કોરોના નિયમનું પાલન કરી પારસી લોકોએ ઉજવણી કરી રહ્યા છે.
ઈરાનથી આવ્યા પછી ભારતમાં દુધમાં સાકળ ભળે તેમ પારસી સમાજ ભારતના લોકોમાં ભળી ગયા છે. પારસી સમાજ ઈરાનથી આવી સંજાણ બંદરે ઉતર્યા હતા અને નવસારી ,સુરત ,ઉદવાડા અને મુબઈમાં વસવાટ કરી દરેક શહેરમાં પોતાનું યોગદાન આપ્યુ હતુ. એટલે અત્યારે પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં પારસી સમુદાય વસવાટ કરે છે. ત્યારે નવરોઝનો ઉત્સવ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસે પારસી લોકો એકબીજાને ભેટ અને શુભેચ્છાઓ આપે છે. તેઓ આ દિવસે ઘરની સફાઈ કરી સજાવટ કરે છે. પારસી સમાજ દ્વારા અગ્નિ દેવની પૂજા કરીને નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવે છે. પારસી સમાજ દ્વારા અગિયારીમાં 24 કલાક અગ્નિ પ્રજવલિત રાખવામાં આવે છે અને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.
નવસારીમાં પારસી સમુદાય દ્વારા આજે ધામધૂમથી નવરોઝની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે પારસીઓ અગિયારીમાં જઇને રાષ્ટ્ર તેમજ પોતાની કોમની ઉન્નતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
શું છે નવરોજનો ઇતિહાસ?
નવરોઝ (Navroz) ફારસી શબ્દ છે. જે નવ અને રોજ શબ્દને ભેગા કરીને બનાવાયો છે. નવનો અર્થ થાય છે નવું અને રોજનો અર્થ થાય છે દિવસ. જેથી નવરોઝને એક નવા દિવસના પ્રતિકના રૂપમાં ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. ત્રણ હજાર વર્ષ પહેલાં ઈરાનમાં શાહ જમદેશ દ્વારા સિંહાસન ગ્રહણ કરવામાં આવ્યું હતું. જેને પારસી સમુદાયમાં નવરોઝ કહેવાય છે. સમય જતાં જરથુસ્ત્ર વંશીયોએ આ દિવસને નવા વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. ઈરાન, પાકિસ્તાન, ભારત, તાજીકિસ્તાન, ઈરાક, લેબનોન, બહેરીનમાં પારસીઓ નવા વર્ષ નવરોજ ઉજવે છે.
પારસી સમુદાયમાં લાંબા સમયથી નવરોઝનો તહેવાર ઉજવવાની પરંપરા ચાલી રહી છે. આ દિવસે જરથુસ્ત્રની તસવીર, મીણબત્તી, કાચ, સુગંધિત ધૂપ લાકડીઓ, ખાંડ, સિક્કા જેવી પવિત્ર વસ્તુઓ એક જગ્યાએ રાખવામાં આવે છે. પારસી સમુદાયમાં માન્યતા છે કે આવું કરવાથી પરિવારમાં સુખ -સમૃદ્ધિ વધે છે. નવરોજના દિવસે પરિવારના તમામ સભ્યો સાથે મળીને પ્રાર્થના સ્થળોએ જાય છે.
(વીથ ઇનપુટ- નિલેશ ગામીત, નવસારી)