Navsari : જિલ્લામાં દુધાળા પશુઓમાં લમ્પી સ્કીન રોગચાળો વકર્યો, પશુપાલકોમાં ચિંતાનો માહોલ
આ રોગમાં પશુને તાવ આવે છે અને શરીરે ગુમડા જોવા મળે છે.સાથે જ પશુ દૂધ ઓછું આપતું થઈ જાય છે. જેથી આવા લક્ષણો જો પશુમાં દેખાય તો પશુપાલકે ગભરાવાની જગ્યાએ નજીકના પશુચિકિત્સકની સલાહ લઈ રોગથી પશુઓને બચાવી શકાય.
નવસારી જીલ્લામાં દુધાળા પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનો આંકડો વધી રહ્યો છે. જીલ્લામાં 2 લાખ પશુઓમાંથી 15 હજાર જેટલા પશુમાં આ રોગ ફેલાયો છે. ડીસીઝ વાળા પશુઓનું દૂધ ડેરીમાં ભરવામાં આવતું નથી. જેના કારણે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પહેલા આ રોગ એક જ તાલુકામાં હતો. પરંતુ હવે 3 તાલુકામાં ફેલાઈ ચુક્યો છે. જેને લઇ પશુપાલન વિભાગ ચિંતામાં મુકાયો છે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ ઘણા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય ઉપર નિર્ભર છે.પશુપાલનના પૂરક વ્યવસાય થકી આર્થિક રીતે ઘણા પરિવારો પગભર થયા છે.પરંતુ હાલમાં નવસારી જિલ્લાના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસીસ નામના રોગે હાહાકાર મચાવ્યો છે.
સમગ્ર જીલ્લામાં આ રોગે ભરડો લીધો છે, ત્યારે ખેરગામ વિસ્તારોમાં છેલ્લા બે માસથી લમ્પી સ્કીન ડિસીસ નામના રોગના પેસારાથી પશુપાલકો ભયથી ફફડી રહ્યા છે. ખેરગામ તાલુકામાં આ રોગ પહેલીવાર જોવા મળ્યો છે.ખાસ કરીને ગાયમાં આ રોગ વધુ ફેલાય છે.જેમાં પહેલા તાવ આવે છે.અને પછી શરીર પર ગુમડા નીકળીને ચાંદાં પડે છે.
છેલ્લા 2 મહિનાથી આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા વધુ ફેલાયેલી હોય છે ત્યારે લોકો પશુઓને બચાવવા માટે અંધશ્રદ્ધાના રવાડે પણ ચડ્યા છે. જોકે સરકારી પશુ દવાખાનાના ડોક્ટરે ઘણા લોકોને સમજાવી પશુઓનું ઈલાજ કરતા ઘણા પશુઓ સારા પણ થયા છે.
આ રોગમાં પશુને તાવ આવે છે અને શરીરે ગુમડા જોવા મળે છે.સાથે જ પશુ દૂધ ઓછું આપતું થઈ જાય છે. જેથી આવા લક્ષણો જો પશુમાં દેખાય તો પશુપાલકે ગભરાવાની જગ્યાએ નજીકના પશુચિકિત્સકની સલાહ લઈ રોગથી પશુઓને બચાવી શકાય. સામાન્ય રીતે આ રોગમાં અસરગ્રસ્ત પશુઓને અન્ય પશુઓથી અલગ બાંધવું જોઈએ. પશુની બાંધવાની જગ્યા માખી મચ્છર રહીત રાખવી, રોગથી સંક્રમિત પશુને ખોરાક અને પાણી અલગ આપવું, અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓને ચરવા લઈ જવાનું ટાળવું.
મહત્વનું છે કે પશુપાલન સાથે સંકળાયેલા લોકો એ અંધશ્રદ્ધાથી ભરમાવું યોગ્ય નથી. પોતાના પશુમાં જો આવા લક્ષણ દેખાય તો તાત્કાલિક નજીકના પશુ ચિકિત્સાલયનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન લેવાથી પશુની આ સામાન્ય બીમારીને ગંભીર થતા અટકાવી શકાય.