Narmada: ભાજપની ચિંતન શિબિરમાં મહત્વના પાંચ મુદ્દાઓ પર થયુ મંથન, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ પર થઈ ચર્ચા
Narmada: કેવડિયા કોલોની ખાતે આયોજિત ભાજપની 10મી ચિંતન શિબિર-2023માં અનેક મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યુ. જેમાં વિવિધ વિષયો પર રચાયેલા પાંચ જૂથોએ મનોમંથન બાદ પોતાના નિષ્કર્ષ રજૂ કર્યા હતા. જેમાં સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ મુદ્દે ચર્ચા થઈ હતી.
ભાજપની ચિંતન શિબિરમાં સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ પર થઈ ચર્ચા થઈ. જેમાં સરકારી અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ અંગે થયેલી ચર્ચાઓ બાદ તેમાંથી સામે આવેલા વિવિધ મુદ્દાઓ અંગે અધિક મુખ્ય સચિવ કમલ દયાની, વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ મોહંમદ શાહિદ અને ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત-ગાંધીનગર (D-SAG)ના સી.ઈ.ઓ. સુપ્રિત સિંઘ ગુલાટીએ જૂથ વતી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં તેમણે કર્મયોગીઓના કામની ગુણવત્તા વધારવા જરૂરી તાલીમના એજન્ડા નક્કી કરી તબક્કાવાર તાલીમનું આયોજન કરવા સૂચન કર્યું હતું. તેમણે તાલીમનો સમયગાળો અને તેના માટેના સુચિત માપદંડો પણ દર્શાવ્યા હતા.
આ ઉપરાંત તેમણે સરકારી સેવામાં જોડાતા કર્મયોગીઓને પ્રથમ વર્ષમાં જ તાલીમ આપવા ઉપરાંત પ્રમોશન વખતે પણ તાલીમ આપવાનું સૂચન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કર્મયોગીઓમાં લીડરશીપની ભાવના પેદા થાય તે માટે રાષ્ટ્રીય કક્ષાની કે આંતરરાષ્ટ્રીય કક્ષાની માન્યતા પ્રાપ્ત સંસ્થામાં તાલીમ આપવા પ્રયાસો કરવા જોઈએ.
આ ઉપરાંત, કર્મયોગીના ક્ષમતા નિર્માણ માટે તાલીમી સંસ્થાઓના માળખાકીય સુવિધાઓમાં પણ ફેરફાર કરી આંતરરાષ્ટ્રીય કક્ષાનું કેમ્પસ બનાવવા માટેના વિચારો રજૂ કરાયા હતા. ડિજિટલ લાઈબ્રેરીના નિર્માણ થકી કર્મયોગીઓને તાલીમી સાહિત્ય અને વાંચન સામગ્રી પૂરી પાડી શકાય જેથી કર્મયોગી પોતાની ફરજો દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા માટેની નિપૂણતા કેળવી શકે.
પ્રેઝન્ટેશન બાદના અર્ક સ્વરૂપે વિવિધ વરિષ્ઠ અધિકારીઓએ સરકારી કામગીરી પ્રક્રિયાને રિસ્પોન્સીવ, ડિસીસીવ, ટ્રાન્સપરન્ટ અને વિજીલન્ટ બનાવવા માટે તેમજ અધિકારી-કર્મચારીઓના ક્ષમતા નિર્માણ પર ભાર મૂક્યો હતો. સાથોસાથ કર્મયોગ અને કૌશલ્યવર્ધન દ્વારા સુશાસનનો માર્ગ કંડારવાના પ્રગતિકારક સૂચનો પણ આપ્યા હતા.
આ પણ વાંચો : Narmada : મંત્રીઓ અને અધિકારીઓએ વહેલી સવારે નર્મદા ડેમની મુલાકાત લીધી, જુઓ Video
મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ તમામ પ્રેઝન્ટેશન ધ્યાનપૂર્વક નિહાળ્યા હતા તેમજ પ્રેઝન્ટેશનના અંતે પોતાના પ્રતિભાવો આપીને ચર્ચાને વધુ સમૃદ્ધ બનાવી હતી. તમામ પ્રશ્નોના સકારાત્મક અભિગમ સાથે પરિણામલક્ષી નિરાકરણ લાવવાની ટીમ ગુજરાતે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.