Gujarat Election 2022: ચૂંટણી અગાઉ PM Modi નો અંતિમ ગુજરાત પ્રવાસ, માનગઢથી લઈ કેવડિયાની એકતા પરેડ સુધીના ભરચક કાર્યક્રમોમાં આપશે હાજરી
આ વખતના પ્રવાસમાં તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર ફોકસ કરશે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ તુરંત જ ગુજરાતમાં ચૂંટણી જાહેર થાય તેવી તમામ શકયતા છે. એવી શકયતા છે કે ગુજરાતમાં 2 નવેમ્બરના રોજ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.
વિધાનસભાની ચૂંટણી જાહેર થતા અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ફરીથી ગુજરાતને ઘમરોળશે, 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન પીએમ મોદી વિવિધ વિકાસકાર્યો અને પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. 3 દિવસ દરમિયાન તેઓ સભાઓ ગજવીને ઝંઝાવાતી પ્રચાર કરશે. સાથે સાથે કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપશે. આ વખતના પ્રવાસમાં તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર ફોકસ કરશે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ તુરંત જ ગુજરાતમાં ચૂંટણી જાહેર થાય તેવી તમામ શકયતા છે. એવી શકયતા છે કે ગુજરાતમાં 2 નવેમ્બરના રોજ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.
30 ઓક્ટોબરના રોજ વડોદરામાં અનેકવિધ કાર્યક્રમો
30 ઓક્ટોબરે બપોરે PM મોદી વડોદરા પહોંચશે. 30મી ઓક્ટોબરે વડાપ્રધાન દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવશે. જ્યાં રોડ શૉ સહિતના કાર્યક્રમો યોજાશે. વડોદરામાં રોડ શૉ બાદ લેપ્રસી ગ્રાઉન્ડમાં PM મોદી ખાનગી ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં સંવાદ કરશે. આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાત મુહૂર્ત કરશે તેમજ વડોદરાના કાર્યક્રમ સંપન્ન થયા બાદ વડાપ્રધાન હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જવા માટે રવાના થશે. તેમજ કેવડિયા ખાતે સર્કિટ હાઉસમાં જ રાત્રિ રોકાણ કરશે.
31 ઓક્ટોબરે એકતા દિવસના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
જ્યાં 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ PM મોદી કેવડિયાથી અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે. અમદાવાદ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી થરાદની મુલાકાતે જશે.આ દરમિયાન થરાદમાં કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલા વિકાસ કાર્યોની ભેટ આપશે અને જંગી જનસભા સંબોધશે. ત્યારબાદ અમદાવાદ પરત ફરી રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે.
1 નવેમ્બરે માનગઢમાં શહીદોને આપશે શ્રદ્ધાંજલિ
આ ઉપરાંત 1 નવેમ્બરના રોજ રાજભવનથી સચિવાલય હેલિપેડ ગાંધીનગર ખાતે સવારના સમયે પહોંચશે . જ્યાંથી તેઓ હેલિકોપ્ટરમાં રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલી માનગઢ હિલ ખાતે જવા રવાના થશે. માનગઢમાં શહિદ આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપશે અને બપોરે જાંબુઘોડામાં જનસભા સંબોધશે. બાદમાં ગાંધીનગર મહાત્મા મંદિરથી 182 બેઠકો પર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધન કરશે અને સમગ્ર કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે દિલ્લી જવા રવાના થશે.