Tv9 exclusive : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “સારું કામ કરનારા પોલીસ અધિકારીઓને યોગ્ય પદ, અડચણરૂપ અધિકારીને છોડવામાં નહી આવે”
MOS Home Harsh Sanghvi : તેમણે કહ્યું કે અમે પહેલા જ દિવસે એક વિષય પર મક્કમતા બનાવી હતી કે આ કોઈ રાજકીય કામ નથી, આ અમારા સૌની જવાબદારી છે.
AHMEDABAD : TV9 ગુજરાતીના વિશેષ સંવાદ કાર્યક્રમ “સતર્ક ગુજરાત”માં રાજ્યના સૌથી યુવાન પ્રધાન એટલે કે રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે સીધી વાત કરવામાં આવી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વિભાગ, રાજ્યમાં ડ્રગ્સ રેકેટના પર્દાફાશ સહીત અનેક વિષયો પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા. આવો જાણીએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વિવિધ પ્રશ્નોના આપેલા જવાબ અને રાજ્યના ગૃહવિભાગની કામગીરી અંગેની મહત્વની વાતો.
પ્રશ્ન : એવું શું બન્યું કે હર્ષ સંઘવી ગૃહ રાજ્યપ્રધાન બન્યા કે તરત જ રાજ્યમાંથી ડ્રગ્સ સપ્લાયરોને શોધી શોધીને પકડવામાં આવ્યાં ?
જવાબ : ગુજરાત પહેલેથી જ સતર્ક છે. શાંતિ સલામતી અને સુરક્ષા એ ગુજરાતની પરંપરા છે. વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ જયારે ગુજરાતમાં હતા, જયારે અમિતભાઈએ રાજ્યના ગૃહપ્રધાનની જવાબદારી હાથમાં લીધી હતી ત્યરે ગૃહ વિભાગમાં એક નવી ઉર્જા આવી હતી. તેમના દ્વારા કે કામ હાથ ધરવામાં આવ્યાં એ જ અત્યારે આગળ વધારવામાં આવી રહ્યાં છે. આ પરંપરાના ભાગ રૂપે આ જવાબદારી સાંભળવાનું આવ્યું ત્યારે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ કેન્દ્ર લેવેલે આ મૂવમેન્ટને આગળ વધારવાનું કામ કરી રહ્યાં છે, દેશભરને નશામુક્ત અને ડ્રગ્સનો ખાત્મો કરવા જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતની પણ એક જવાબદારી છે. અને ખાસ કરીને ગુજરાત પોલીસ ખુબ સારી કામગીરી કરી રહી છે.
અમે પહેલા જ દિવસે એક વિષય પર મક્કમતા બનાવી હતી કે આ કોઈ રાજકીય કામ નથી, આ અમારા સૌની જવાબદારી છે. ગુજરાતનું આવનારું ભવિષ્ય ઉજ્જવળ કરવાની જવાબદારી ગુજરાતના લોકોએ અમને આપી છે, એને ખુબ ઝડપથી આગળ કઈ રીતે વધારવામાં આવે અને ગુજરાતનું ભવિષ્ય કોઈપણ પ્રકારના દુષણમાં ડૂબે નહી, આ જબદારી ગુજરાત પોલીસે હાથમાં લીધી છે.
પ્રશ્ન : આ કેમ્પેન પહેલા વિપક્ષે ઘેરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એવું લાગ્યું હતું કે આમાં બદનામી વધારે છે, આને છોડી દેવું જોઈએ? ડ્રગ્સ સિવાયના વિષયોમાં પણ એવું થતું હશે કે નાની ઉમરના HM છે તો વાત માનવી લઈશું, આવું થાય છે?
જવાબ : મારી ઉમર જોઇને એવું લાગતું હશે કે દબાણ કરશે તો કોઈ વિષયને હું છોડી દઈશ. તમામ લોકોના અલગ અલગ વિચાર હોય છે, એમના વિચારો એમણે મુબારક. અને એ એવું વિચારીને મારી સમક્ષ આવતા હોય તો એ સારી વાત છે. પણ નિર્ણય તો મારે લેવાનો છે. તમે સૌએ મારા નિર્ણય ભૂતકાળમાં પણ જોયા છે અને હવે પણ જોશો.
હું એવું માનું છું કે પોલીસની જવાબદારી ખુબ મોટી હોય છે. મેં અનેક પોલીસ અધિકારીઓને જોયા છે, જે રાજ્ય માટે અને રાજ્યના સામાજિક વિષયો માટે એ તમામ અધિકારીના ભલે અલગ અલગ દૃષ્ટિકોણ હોઈ શકે છે. પરંતુ આવા સામાજિક વિષયોમાં તમામ લોકોના દૃષ્ટિકોણ એક સરખા હોય છે.
મેં હંમેશા કહ્યું છે કે જે સરકારના વિચારો સાથે, સમાજના સારા કામો માટે અને ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષા માટે જે કોઈ લોકો સારું કામ કરે છે, એ અધિકારીએ કોઈ પણ ભલામણ નહિ કરાવવી પડે. એમને હું શોધી શોધીને ગુજરાતની અલગ અલગ વ્યવસ્થાઓમાં ગોઠવીશ, એ રાજ્યના ગૃહમંત્રી તરીકે મેં જવાબદારી લીધી છે.
એ પણ હું વિશ્વાસ અપાવું છે કે જે લોકો (અધિકારીઓ)સમાજના દુઃખને પોતાનું દુઃખ નથી માનતા, જે લોકો પોલીસ વિભાગ એટલે કે વિભાગ દ્વારા સરકાર દ્વારા જે વિચારો છે, લોકોને મદદરૂપ થવા માટે અમે જે વિચાર કરેલો છે એને નીચે સુધી લઇ જવામાં અડચણ ઉભી કરે છે, એવા લોકોને છોડવામાં પણ નહિ આવે. એ પણ હું આજે તમને ખાતરી આપું છું.
આ પણ વાંચો : સહકાર મંત્રી અમિત શાહે સજીવ ખેતીનું મહત્વ સમજાવ્યું, ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે ભલામણ પણ કરી
આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર : ગુજરાત સરકારે 9 જિલ્લાના ખેડૂતો માટે 531 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી