Morbi: હળવદ દુર્ઘટના મામલે કારખાનેદાર સહીત 8 વિરૂદ્ધ ગુનો નોંધાયો, 12 લોકોનો લેવાયો હતો ભોગ
દીવાલ નબળી હોવાનું જાણતા હોય છતાં દીવાલના લગોલગ મીઠું ભરેલ પ્લાસ્ટિકની બોરી રાખી દીવાલની ઉંચાઈ કરતા વધુ ઉંચાઇ સુધી ગોઠવી હતી. મીઠાની બોરીઓનું દબાણ આવતા દીવાલ પડી હતી. બાળક, તરુણ સહિત 12 લોકોના મૃત્યુ થયા હતા.
મોરબી (Morbi Latest News) જીલ્લાના હળવદ GIDCમાં દીવાલ પડતા 12 શ્રમિકોના મોત મામલે આખરે ફરિયાદ નોંધવામાં આવી છે. હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પિતા અને બેન ગુમાવાનાર રાજેશભાઈ ઉર્ફે લખુ પીરાણાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કારખાનાના માલિક, સંચાલક અને સુપરવાઈઝર સહિત 8 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદમાં બાળ મજુરી કરાવવામાં આવતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મીઠાની ગુણીનું દબાણ આવતા દીવાલ પડી
સાગર સોલ્ટ કારખાનામાં સિમેન્ટના બેલાની દીવાલ ચણેલ હોય જેમાં એક પણ બીમ, કોલમ કે પાયા ઉભા કરવામાં આવ્યા ન હતા. દીવાલ નબળી હોવાનું જાણતા હોય છતાં દીવાલના લગોલગ મીઠું ભરેલ પ્લાસ્ટિકની બોરી રાખી દીવાલની ઉંચાઈ કરતા વધુ ઉંચાઇ સુધી ગોઠવી હતી. મીઠાની બોરીઓનું દબાણ આવતા દીવાલ પડી હતી. બાળક, તરુણ સહિત 12 લોકોના મૃત્યુ થયા હતા
આરોપીઓમાં – અફઝલભાઇ અલારખાભાઇ ઘોણીયા, રાજેશકુમાર મહેંદ્રકુમાર જૈન, કિશનરામ લાલારામ ચૌધરી, દેવો ઉર્ફે વારીસ અલારખાભાઇ ઘોણીયા, આત્મારામ કિશનરામ ચૌધરી, સંજયભાઇ ચુનીલાલ ખત્રી, મનોજભાઇ રેવાભાઇ, આસીફભાઇ નુરાભાઇના નામ સામે આવ્યા છે. તેમજ તપાસમાં પણ જે વ્યક્તિઓના નામ સામે આવશે તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ગંભીર બનાવ મામલે પોલીસે રાજેશ રમેશભાઈ પીરાણાની ફરિયાદને આધારે કારખાનાના માલિક, સંચાલકો, સુપરવાઇઝર તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ જાણી જોઈને માનવ જીંદગી જોખમાઇ તે રીતે બેદરકારી, નિષ્કાળજી રાખવા ઉપરાંત બાળ શ્રમિકોને કામે રાખવા મામલે આઈપીસી કલમ 304, 308, 114 તથા બાળ અને તરુણ કામદાર પ્રતિબંધની કલમ 33 તેમજ 14 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના
18 મેના રોજ હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. ત્યારે બારેક વાગ્યાની આસપાસ અચાનક કારખાનાની દીવાલ ધસી પડતાં અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા હતા. ઘટના બાદ તાત્કાલીક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ મીઠાના કારખાનામાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. જેમાં 12 શ્રમિકોનો ભોગ લેવાયો હતો.