અમરનાથ યાત્રા (Amarnath yatra) દરમિાન વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં મોરબી (Morbi) જિલ્લાના હળવદ(Halvad)ના ચાર યુવકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ 4 પૈકી એક યુવક હાલમાં આર્મી કેમ્પમાં પહોંચ્યો છે અને બાકીના ત્રણ યુવકો પણ આર્મી કેમ્પમાં પહોંચવાની તૈયારીમાં હોવાની માહિતી મોરબી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી હતી. આ ચાર યુવકોના નામ શામજીભાઈ વશરામભાઈ ભરવાડ, પ્રવીણ સિંધાભાઈ ભદ્રેશિયા, પ્રવીણભાઈ રમેશભાઈ કુરિયા અને નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા જણાવવામાં આવ્યા છે. યુવાનો પૈકી નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા ભારતીય સેનાના કેમ્પમાં પહોંચ્યા હતા અને અન્ય ત્રણ યુવાનો પણ ટૂંક સમયમાં સેનાના કેમ્પમાં પહોંચશે. આ ચારેય જણા સુરક્ષિત હોવાની માહિતી પ્રાપ્ત થતા તંત્ર તેમજ પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
વડોદર શહેરના વકીલો પણ યાત્રા દરમિયાન 12 હજારસ્કવેર ફિટ પર ફસાયા હતા. વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ ભટ્ટ, જનરલ સેક્રેટરી રિતેશભાઈ પી. ઠક્કર, જોઇન્ટ સેક્રેટરી નેહલભાઈ કે. સુતરીયા, પૂર્વ લાઇબ્રેરી સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ, સિનિયર વકિલશ જગદીશભાઈ રામાણી, પ્રણવભાઈ જોશી, મગનભાઈ ઠાકરાની, જયેશભાઈ ઠક્કર, જયેશભાઈ રામાણી સહિતના વકીલો અમરનાથ યાત્રાએ પહોંચ્યા હતા. જોકે વર્તમાન વાતાવરણ અને હવામાનની પરિસ્થિતિને કારણે ૧૨,૦૦૦ સ્ક્વેર ફીટ ઉપર ફસાયા.
તેઓને હાલ રેસક્યૂ કરીને કરીને સલામત સ્થળે ટેન્ટમાં ખસેડવામાં આવ્યા હતા.
જામનગરના અમરનાથ યાત્રા ગયેલા દંપતિ ફસાયા હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા હતા. જોકે આ દંપતિએ પણ સલામત સ્થળે આશ્રય મેળવ્યો છે. દંપતિ અમરનાથના દર્શન કરે તે પહેલા વરસાદ વિઘ્ન બન્યો હતો. જામનગરના દિપક વિઠ્ઠલાણી અને જાગૃતિ વિઠ્ઠલાણી અમરનાથથી 3 કિમીના અંતરે સલામત સ્થળે આશ્રય મેળવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના આરોગ્ય કર્મચારીઓ પણ અમરનાથમાં ફસાયા હતા. 10 આરોગ્ય કર્મચારીઓની ટીમ અમરનાથ યાત્રામાં ગઈ હતી અને વાદળ ફાટવાની ઘટના બાદ પાલનપુરના આ યાત્રાળુઓ અટવાઇ પડયા હતા. જોકે બાદમાં અહેવાલ સાપંડ્યા હતા કે તમામ આરોગ્ય કર્મચારીઓ સુરક્ષિત હતા.
અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટ્યું હતું. મળતી જાણકારી મુજબ આ અકસ્માતમાં લગભગ પાંચ લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક મળેલી જાણકારી મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે લગભગ 12 હજાર યાત્રીઓ સ્થળ પર હાજર હતા. અમરનાથ ગુફાથી લગભગ બે કિલોમીટર દૂર આ ઘટના બની હતી.
ન્યૂઝ એજન્સી ANI તરફથી મળેલી જાણકારી પ્રમાણે સાંજે લગભગ 5.30 વાગ્યે અમરનાથની ગુફાની નીચે વાદળ ફાટ્યું. સ્થળ પર NDRF, SDRF અને તમામ સંબંધિત એજન્સીઓએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. આ ઘટના બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. અને યુદ્ધના ધોરણે રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે.