મોરૈયાની ખેતીથી ભરાશે ખીસ્સા, 50 રૂપિયાના છંટકાવથી થશે રૂ 25 હજારની આવક
નળ સરોવર આસપાસના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના અંતરિયાળ ગામો કે જ્યાં પાણીની સુવિધા ઓછી છે અથવા આ વિસ્તારના ગામો કે જે માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે તેવા ગામોના ખેડૂતો આજે મિલેટ પાક તરફ વળ્યા છે, અને ઓછા ખર્ચે વધુ આવક મેળવે છે.

ખેડૂતની સમસ્યા હોય છે દર વર્ષે ક્યો પાક લેવો તથા ક્યુ બિયારણ એવું હશે જે ઓછા રોકાણમાં વધારે ઊપજ આપશે.આવું જ એક ઉદાહરણ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખીચા ગામનું છે, અહિં ખીચા ગામના ખેડૂત મોરૈયાની ખેતીમાં ભરાયેલા ખીસ્સા સાંભળીને અચરજ જેવું લાગે, પણ સત્ય છે. માનો કે ના માનો આ ચમત્કારથી પણ વિશેષ છે.
ખીચા તો માત્ર ઉદાહરણ છે, પરંતુ નળ સરોવર આસપાસના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના અંતરિયાળ ગામો કે જ્યાં પાણીની સુવિધા ઓછી છે અથવા આ વિસ્તારના ગામો કે જે માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે તેવા ગામોના ખેડૂતો આજે મિલેટ પાક તરફ વળ્યા છે, અને ઓછા ખર્ચે વધુ આવક મેળવે છે. આ ખેડૂતો મિલેટ પાકને મહત્વ આપી તેમના ખેતરમાં મોરૈયો કે બંટી વાવીને માતબર નફો મેળવતા થયા છે. માત્ર એક વિઘા જમીનમાં 500 ગ્રામ એટલે કે માત્ર 50 રૂપિયાંનો મોરૈયો નાંખી ને 90 દિવસમાં અંદાજે રૂપિયા 25 હજારની આવક મેળવે છે.
સાણંદ તાલુકાના ખીચા ગામના વતની કાશીરામભાઈ સુરાભાઈ વાઘેલા વર્ષ 2013 થી પ્રાકૃતિક ખેતી કરે છે, પરંતુ સાથે મિલેટ પાકો પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કાશીરામભાઈ કહે છે કે, નળ સરોવર વિસ્તારના સાણંદ, બાવળા અને વિરમગામના અંતરિયાળ ગામોના ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે, ત્યારે તેમના માટે મિલેટ પાક ખુબ ઉપયોગી છે. આ વિસ્તારના ખેડૂતો મિલેટ તરફ વળ્યા છે.
કાશીરામભાઈએ આ ખેડૂતોને તાલીમ આપી અને તેમાંથી પ્રેરણા લઈ આ ખેડૂતો મિલેટ પાક તરફ વળ્યા છે. આ વિસ્તારના ખેડૂતો ચોમાસું શરૂ થાય એટલે જમીનમાં બે ખેડ કરી 500 ગ્રામ મોરૈયો કે બંટી ની છાંટણી (વાવણી) કરી દે છે. રાસાયણિક ખાતર કે દવાની જરૂર નહી અને પાણીની પણ જરૂર નહી,વર્ષ સારું હોય કે ના હોય તો પણ ટુંકી મુદ્તમાં પાકી જાય, સરેરાશ એક વિઘા દીઠ ઉત્પાદન 15 થી 20 મણ નું રહે છે અને વહેલાં ખેતર ખાલી થાય એટલે સમયસર ઘઉ કરવાથી ઘઉનું ઉત્પાદન પણ વધે છે. આમ બેવડો નફો માત્ર મિલેટ પાકને મહત્વ આપવાથી મળે છે.
આત્મા પ્રોજેક્ટ્ના ડાયરેક્ટર કે કે પટેલ કહે છે કે, ઓછા પાણી અથવા માત્ર વરસાદ અધારિત ખેતી કરતા ખેડૂતો મિલેટ પાક તરફ વળ્યા છે તે ખુબ આવકારદાયક છે. આ ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે.
કાશીરામભાઈ વધુમાં કહે છે કે, ‘અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની પ્રથમ શરુઆત મેં કરી, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016 માં પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ હાથ ધરાઈ, ત્યારે 2016 માં પ્રાકૃતિક ખેતીનો તાલુકા કક્ષાએ આત્મા પ્રોજેકટ અંતર્ગત મને એવોર્ડ મળ્યો, અને ત્યારપછી હું ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયો, જેમાં ટાટા નેનો મોટર્સ વ્હીકલ કંપની લિમિટેડ અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સાણંદ, વિરમગામ, અને બાવળા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનું શરું કર્યું.
તેમણે વધુમાં જણાવ્યુ કે , આ ત્રણ તાલુકામાં 50 ગામોમાં તાલીમ આપવાનું શરું કર્યું.. દરેક ગામમાં સરેરાશ 10 થી 15 ખેડુતો મારી તાલીમ દ્રારા પ્રાકૃતિક ખેતી કરતા થયા છે..સાણંદ , બાવળા, અને વિરમગામ તાલુકાના નળસરોવર ની આજુબાજુના ગામોમાં જ્યાં સિંચાઇની સુવિધા નથી એટલે કે વરસાદ આધારિત ખેતી કરે છે તે ખેડુતો મિલેટસ્ એટલે કે મોરૈયો અને બંટી ની ખેતી કરે છે.