Monsoon 2021: વરસાદની સિઝનમાં આકાશી વીજળીથી સાવધાન રહેવા તંત્રએ બહાર પાડી માર્ગદર્શિકા, જાણો શું કરવું અને ન કરવું
આકાશી વીજળીનાં પગલે વધુ નુક્શાન ન થાય તે માટે જનતાની તરફેણમાં આ પગલા લેવામાં આવ્યા
Monsoon 2021: વર્ષાઋતુમાં વીજળી (Lightning) પડવાના કારણે માનવ કે પશુના મૃત્યુના બનાવ બનવા લાગતા સ્થાનિક તંત્ર (Local Administration) દ્વારા લોકોને જાગૃત કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આકાશી વીજળીનાં પગલે વધુ નુક્શાન ન થાય તે માટે જનતાની તરફેણમાં આ પગલા લેવામાં આવ્યા છે.
જ્યારે ઘરની અંદર હોવ ત્યારે
વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણા અને છતથી દુર રહેવું, વીજળીના વાહક બને તેવી કોઈ પણ ચીજવસ્તુથી દુર રહેવું, ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેઝીન વગેરેના સંપર્કથી દુર રહેવું.
આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો
ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંધવાનું ટાળવું, આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું, ટોળામાં રહેવાના બદલે છુટા છવાયા વિખેરાઈ જવું, મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવવો, મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો, પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાઓ, ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દુર રહો.
વીજળી પડવાની શક્યતા
જો તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહી અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.
વીજળી/ઈલેક્ટ્રીકથી શોક લાગ્યા પછી
લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યક્તિને વીજપ્રવાહથી દુર ખસેડી દેવા, મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો, કરંટ લાગનાર વ્યક્તિ દાજી ગયેલ હોય તો ઠંડુ પાણી રેડવું, કરંટ લાગનાર વ્યક્તિના શ્વાસોશ્વાસ તપાસી સીધા ડોક્ટરને જાણ કરવી, દાઝેલા ભાગ ઉપર ચોટી ગયેલા કપડાંને ઉખાળવું નહીં, આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે, કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઈએ.
આકાશી વીજળી થતી હોય તે દરમ્યાન રાખવાની સાવચેતી
વીજળીની સલામતી માર્ગદર્શિકાએ ૩૦-૩૦નો નિયમ છે, વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી, જો તમે ૩૦ નાં પહોંચતા પહેલા ગાજવીજ – સાંભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ સુધી પ્રવૃતિઓ સ્થગિત કરો, ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થીંગ રાખો, વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા, ઈલેક્ટ્રીકના ઉપકરણો પાણીની લાઈન તથા ભેજથી દુર રાખવા.
વીજળીના વાહકો વડે ઘરને આકાશી વીજળીથી સુરક્ષિત બનાવવું, તંત્રની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું, શોર્ટસર્કીટથી વીજપ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચ વાપરવી, ઘરમાં દરેકને મેઈન સ્વીચની જાણ હોવી જોઈએ, ઈલેક્ટ્રીક કામના જાણકાર પાસે જ ઈલેક્ટ્રીક કામ કરાવવું, ઈલેક્ટ્રીક કામ કરતી વખતે વીજળીની અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું, ભયાનક આકાશી વીજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતું રહેવું, ભયાનક વીજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવું, તમામ ઈલેક્ટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવા, ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહીં અને ઈલેક્ટ્રીક થાંભલા/ટેલીફોન થાંભલાને અડકવું નહીં.