વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં PM મોદી આપશે હાજરી, જાણો શું છે મંદિરની ખાસિયત
વડાપ્રધાનની ઉપસ્થિતિમાં તરભ ગામેવાળીનાથ મહાદેવ મહાશિવલીંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

22 ફેબ્રુઆરી એટલે કે આજે મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર પૂર્ણ રીતે તૈયાર થઇ ચૂક્યું છે.
તરભ વાળીનાથની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ
વડાપ્રધાનની ઉપસ્થિતિમાં તરભ ગામેવાળીનાથ મહાદેવ મહાશિવલીંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં 5 લાખથી વધુ શ્રધ્ધાળુઓ એકઠા થવાની સંભાવના છે.
રાજ્યનું બીજું સૌથી મોટું મહાદેવ મંદિર !
ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ એમ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવનું મંદિર અહિંયા બની ચુક્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા 10-12 વર્ષથી થયેલું જે હવે પૂર્ણ થયું છે.
મંદિરમાં નાગરશૈલીની ખાસ કોતરણી
લોકવાયકા પ્રમાણે વાળીનાથ મંદિરમાં મહાભારતકાળથી પૂજા થતી આવી છે. અહિંયા દરેક જાતિ અને સમુદાયના લોકો મંદિરમાં દર્શન કરવા આવે છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે, જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે. વર્તમાન યુગમાં બંસીપહાડ પથ્થર અને નાગરશૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.
મંદિર પરિસરમાં લગાવાયુ વિશેષ ઝુમ્મર
શિવ મંદિર પરિસરમાં વિશાળ ઝૂમર લગાવવામાં આવ્યું. આ ઝૂમરનું વજન 400 કિલોથી વધુ છે અને તે 18 ફૂટ જેટલું લાંબુ છે. તેમાં 2 લાખથી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડનો ઉપયોગ કરાયો છે. તો મંદિરના ગર્ભગૃહમાં વિશેષ 12 જ્યોતિર્લિંગ કોતરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોનાના દ્વાર પણ બનાવવામાં આવ્યા.
મોટી હસ્તીઓના આગમનને લઇ વાળીનાથ મંદિરમાં વિશેષ તૈયારી કરાઇ છે. વડાપ્રધાન મોદીના સંબોધન માટેનો સભાસ્થળ પણ તૈયાર કરી દેવાયો છે. વડાપ્રધાન મોદી હેલિપેડ પર ઉતર્યા બાદ મંદિર સુધી રોડ શો કરશે અને પછી ખુલ્લી જીપમાં બેસીને સભાસ્થળે પહોંચશે અને લોકોનું અભિવાદન ઝીલશે. તે માટે ડોમ વચ્ચે ખાસ પેસેજ પણ તૈયાર કરાયો છે. આ દરમિયાન વડાપ્રધાન 8 હજાર કરોડથી વધુના કેન્દ્ર અને ગુજરાતના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરવાના છે.
મહત્વનું છે, 22 ફેબ્રુઆરીના કાર્યક્રમ માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ, ભક્તો દર્શનાર્થે સરળતાથી પહોંચી શકે તે માટે 400 સરકારી બસો અને 100 ખાનગી બસોની વ્યવસ્થા કરાઇ છે. 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પ્રાણ પ્રતિષ્ઠા 22 ફેબ્રુઆરી સુધી ચાલશે.