Mehsana : હર ઘર તિરંગા અભિયાનને વ્યાપક પ્રતિસાદ, પોલીસે પણ ત્રિરંગા પદ યાત્રાનું આયોજન કર્યું
મહેસાણા(Mehsana) શહેર અને સમગ્ર જિલ્લો ત્રિરંગામય છે. પ્રત્યેક નાગરિકે પોતાના નિવાસ્થાન પર, પોતાના વાહન પર, પોતાના કાર્યાલય પર; હર એક જગ્યાએ ગૌરવભેર ત્રિરંગો લહેરાવ્યો છે.
મહેસાણા (Mehsana) જિલ્લો ત્રિરંગામય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત વર્ષની(Azadi Ka Amrit Mahotsav) ઉજવણીના ભાગરૂપે તા. 13,14 અને 15 ઓગસ્ટ દરમિયાન દરેક ઘર, દરેક કાર્યાલય, દરેક ઈમારત દરેકજગ્યાએ ત્રિરંગો ફરકાવવાનું આહવાન કર્યું. મહેસાણા જિલ્લાના પ્રત્યેક નાગરિકે પ્રધાનમંત્રીના આ આહવાનને પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે.રાષ્ટ્રધ્વજ લહેરાવીને નાગરિકો આઝાદીના સંગ્રામ માટે જેમણે પોતાનું બલિદાન આપ્યું છે એ વીર સપૂતોનું સ્મરણ કરી રહ્યા છે. સાથે સાથે ભારતની ઉજવળ આવતીકાલ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે. મહેસાણા શહેર અને સમગ્ર જિલ્લો ત્રિરંગામય છે. પ્રત્યેક નાગરિકે પોતાના નિવાસ્થાન પર, પોતાના વાહન પર, પોતાના કાર્યાલય પર; હર એક જગ્યાએ ગૌરવભેર ત્રિરંગો લહેરાવ્યો છે.
રાષ્ટ્રીય પર્વની ઉજવણી પૂર્વે જિલ્લાવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો તિરંગાની આન,બાન અને શાન જાળવી પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજને સન્માન સાથે લહેરાવીને આ ઉત્સવમાં સહભાગી બની રહ્યાં છે. શાળાઓમાં બાળકોએ વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કર્યું છે. કાર્યાલયોમાં લોકોએ સ્વયંભૂ ધ્વજવંદન કર્યું છે. ‘હર ઘર તિરંગા અભિયાન’ને લોકોએ ચળવળની જેમ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે.
મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા ત્રિરંગા પદ યાત્રાનું આયોજન
આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ યાત્રામાં મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા ત્રિરંગા પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિસ્તબધ્ધ પોલીસ કર્મયોગીઓ દ્વારા મહેસાણા શહેરમાં પોલીસ પદયાત્રા જોડાઇ હતી. મહેસાણા પોલીસ કર્મીઓની તિરંગાયાત્રાથી મહેસાણાવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા હતા
દેશની આઝાદીના 75 વર્ષ પુરા થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ દેશભરમાં યોજાઇ રહેલાં “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ યોજાયેલી તિરંગા યાત્રાને મહેસાણા ખાતે યોજાઇ હતી. આ યાત્રા શહેરના માર્ગો પર ફરી દેશભક્તિના સુરે પદયાત્રા કરી હતી.જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના વડપણ હેઠળ યોજાયેલ તિંરગા યાત્રામાં હજારો પોલીસ કર્મયોગીઓ જોડાયા હતા.