Mehsana: બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે વિરલ પારિવારિક શાંતિ અભિયાન યોજાયું
બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ સંસ્થાના 72,000 થી વધુ સ્વયંસેવકોએ 24,00,000 થી વધુ ઘરોમાં નિઃસ્વાર્થ ભાવે ઘૂમીને પારિવારિક શાંતિનાં અમૃત ઘુંટાવ્યાં. ‘બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ.’ આ જીવનમંત્ર હતો, પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ પાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો.
Mehsana: નિસ્વાર્થભાવે લોકસેવામાં આખું આયખું સમર્પિત કરનાર આ વિરલ સંતવિભૂતિએ અસંખ્ય લોકોને સાચો રાહ ચીંધીને સુખી અને સ્વસ્થ સમાજ-પરિવાર-જીવનની એક અનોખી કેડી રચી છે. સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પ્રમુખસ્વામી મહારાજે (Pramukhswami Maharaj) પોતાના 95 વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતાં બચાવ્યાં હતા, પરિવારોને સુગ્રથિત કર્યા હતા. તેઓના અનેક શાસ્વત કાર્યો પૈકીનું એક મહાન કાર્ય એટલે પારિવારિક શાંતિ અભિયાન. લાખો ઘરોમાં રુબરુ જઈને, લાખો પરિવારોને રુબરુ મળી મળીને તેમણે પારિવારિક શાંતિનાં જે અમૃત પાયાં હતાં, તેની આજે મધુર ફળશ્રુતિઓ એ અસંખ્ય લોકો માણી રહ્યા છે, અને આભારની લાગણી સાથે તેઓનું મનોમન સ્મરણ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે પાયેલાં એ પારિવારિક શાંતિનાં અમૃતને, તેઓના શતાબ્દી પર્વે બીજાં અસંખ્ય પરિવારોમાં વિસ્તારવા માટે, તેઓના આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજે પ્રેરણા આપી, જેના પરિણામે તાજેતરમાં ભારત અને વિદેશોમાં પણ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ (BAPS Swaminarayan) સંસ્થા દ્વારા એક અનોખું પારિવારિક શાંતિ અભિયાન યોજાઈ ગયું.
પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે વિરાટ પાયા પર આ જનસંપર્ક કરવાનું નક્કી થયું. 2019 ના શરદપૂર્ણિમાના પર્વે ગોંડલ ખાતે યોજાયેલ સંસ્થાની સંયોજન સમિતિમાં આ અિભયાન અંગે વિશદ ચર્ચા-વિચારણા થઈ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ અભિયાનનું નામાભિધાન કર્યું, પારિવારિક શાંતિ અભિયાન. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે આ અભિયાન હોવાથી આ સેવામાં જોડાનાર પુરુષ-મહિલા હરિભક્તોને શતાબ્દી સેવકની ઓળખ આપવામાં આવી. સંપર્ક દરમ્યાન સૌ કોઈ તેમને પ્રથમ નજરે ઓળખી શકે, તે માટે ઓળખપત્ર વગેરે તૈયાર કરવામાં આવ્યા. સ્ત્રી-પુરુષ શતાબ્દી સેવકો પારિવારિક શાંતિનો સંદેશ લઈને ઘરોઘર ઘૂમવાના હતા, એટલે તેમનો ગણવેશ પણ એવો સૌમ્ય નક્કી કરવામાં આવ્યો. સંપર્ક દરમિયાન દરેક ઘરે આપવામાં આવનાર સાહિત્ય, પારિવારક શાંતિનાં પ્રમુખસ્વામી મહારાજનાં પ્રેરણાસૂત્રોને આલેખતું આકર્ષક પોસ્ટર, પોકેટ કેલેન્ડર, પધરામણીની મૂર્તિ, સાહિત્ય રાખવા માટે શતાબ્દી બેગ તથા કાપડની હેન્ડ બેગ વગેરે સામગ્રીથી પણ તેમને સજ્જ કરવામાં આવ્યા.
આ અભિયાન દરમિયાન જેમનો સંપર્ક કરવામાં આવ્યો હોય તેવા સદભાવીને સંપર્ક બાદ પણ પારિવારક શાંતિની પ્રેરણા સતત પ્રાપ્ત થતી રહે તે માટે, બે નૂતન મોબાઈલ ફોન એપ્લીકેશન – ‘પ્રમુખસેતુ એપ્લિકેશન’ અને ‘પ્રેરણાસેતુ એપ્લીકેશન’ તૈયાર કરવામાં આવી. આ અભિયાનને અમલમાં મૂકતાં પહેલાં, યોગ્ય કાર્યવાહીની ચકાસણી માટે ચાર શહેરી અને પાંચ ગ્રામ્ય ક્ષેત્રોમાં પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવ્યો. 10/11/19 થી 17/11/19 એટલે કે એક સપ્તાહ દરમિયાન યોજાયેલ આ પાયલોટ પ્રોજેક્ટમાં 150 પુરુષ-મહિલા શતાબ્દી સેવકોએ સદભાવીઓનો સંપર્ક કર્યો. આ પાયલોટ પ્રોજેક્ટમાં જોડાનાર શતાબ્દી સેવકોનાં અનુભવો તથા સૂચનોના આધારે અભિયાનની અંતિમ સ્તરની કાર્યવાહી નિર્ધારિત કરવામાં આવી.
પારિવારિક શાંતિ અભિયાનની પ્રાથમિક સમજૂતી તેમજ શતાબ્દી સેવકોની નોંધણી અંગેની માહિતી, પ્રતિ વર્ષ યોજાતી ડિસેમ્બર – 20191ની કાર્યકર શિબિરમાં 18,000 પુરુષ-મહિલા કાર્યકરોને આપવામાં આવી. કાર્યકર શિબિર બાદ શતાબ્દી સેવકોને જ્યાં સંપર્ક કરવા માટે જવાનું હતું, તે સંપર્કનાં ગામો તથા શહેરોમાં સંપર્ક પરિસરોની પસંદગી અને સોંપણી કરવાની કાર્યવાહી શરૂ થઈ. ચાર મહિનાના આ અભિયાનમાં દરેક શતાબ્દી સેવકના વૃંદે 300 ઘરનો સંપર્ક કરવાનો હતો. શહેર વિસ્તારમાં બે શતાબ્દી સેવકોનું એક વૃંદ અને ગ્રામ્ય વિસ્તારમાં ચાર શતાબ્દી સેવકોનું એક વૃંદ બનાવવામાં આવ્યું. ગ્રામ્ય વિસ્તારમાં દરેક શતાબ્દી વૃંદને સંપર્ક કરવા માટે બે નવા સંપર્ક ગામ સોંપવામાં આવ્યાં. પુરુષોની જેમ મહિલા તથા યુવતીઓની પણ શતાબ્દી સેવક તરીકેની નોંધણી થઈ અને તેમને પણ સંપર્ક પરિસર તથા સંપર્ક ગામ સોંપવામાં આવ્યા.
શતાબ્દી સેવકોએ આ અભિયાન દરમિયાન તદ્દન અજાણ્યા ઘરે સંપર્ક માટે જવાનું હતું. એટલે તે માટે જરૂરી હતી, યોગ્ય તાલીમની. તે માટે સૌપ્રથમ શતાબ્દી સેવક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી, જેમાં સંપર્ક કરવા અંગેની દરેક ઝીણી-ઝીણી વિગતો સમાવવામાં આવી. વળી, શતાબ્દી સેવકો મોટી સંખ્યામાં નોંધાયા હતા એટલે તેમને તાલીમ આપવા માટે મોટી સંખ્યામાં ટ્રેઈનર્સની જરૂર ઊભી થઈ. સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયના સંતોએ પાંચ અલગ-અલગ સ્થળે 290 જેટલાં સંતો-કાર્યકરોને ટ્રેઈનર્સ તરીકેની ચાર કલાકની ટ્રેનિંગ આપી, તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન પણ આપ્યું. હવે તાલીમબદ્ધ થયેલ ટ્રેઈનર્સ સંતો-કાર્યકરો શતાબ્દી સેવકોને તાલીમ આપવા પૂર્ણ સજ્જ થઈ ગયા અને શતાબ્દી સેવક તાલીમનો વિગતવાર કાર્યક્રમ ઘડાયો. આ તાલીમમાં મુખ્યત્વે પ્રત્યેક ઘરના આશરે 20-25 મિનિટના સંપર્ક દરમ્યાન કરવાની પ્રત્યેક કાર્યવાહીનું સૂક્ષ્મ નિદર્શન દર્શાવવામાં આવ્યું. આવી શતાબ્દી સેવક તાલીમો સમગ્ર ભારતમાં જુદી જુદી કુલ 304 જગ્યાઓ પર યોજાઈ.
પારિવારિક શાંતિ અભિયાન માટે સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા કુલ 21 પ્રકારની સામગ્રી તૈયાર કરવામાં આવી હતી, જે આયોજનબદ્ધ રીતે ઠેરઠેર શતાબ્દી સેવકો સુધી પહોંચાડવામાં આવી. 1 લી માર્ચ, 2020 અભિયાનના પ્રારંભનો દિવસ નક્કી કરવામાં આવ્યો. તે પૂર્વે તા.18/2/2020 ના રોજ અટલાદરા ખાતે પારિવારિક શાંતિ અભિયાનના પ્રેરણાદાતા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં અભિયાનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ ઉદ્ઘાટન સમારોહથી તમામ શતાબ્દી સેવકોમાં દિવ્ય ચેતનાનો સંચાર થયો. સૌ શતાબ્દી સેવકો સંપર્ક કરવા માટે જવા થનગની રહ્યા હતા. આ તમામ શતાબ્દી સેવકોને તેમના સ્થાનિક મંડળમાં સેવાના આ મંગલકાર્ય માટે શુભેચ્છા પણ પાઠવવામાં આવી. 1 માર્ચ 2020 ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આણંદ ખાતે પ્રાતઃકાળે દીપ પ્રગટાવીને પારિવારિક શાંતિ અભિયાનનો વિધિવત પ્રારંભ કર્યો. પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક શાંતિ માટેના સંદેશને અનેક પરિવારો સુધી પહોંચાડવા માટે સૌ શતાબ્દી સેવકો ગામડે – ગામડે અને શહેરી વિસ્તારોમાં ઘૂમવા મંડ્યા.
પ્રત્યેક ઘરના સંપર્ક દરમ્યાન શતાબ્દી સેવકોએ પ્રમુખસ્વામી મહારાજે આપેલ પારિવરિક શાંતિ માટેનાં ત્રણ આયોજનો (1) ઘરસભા (2) સમૂહ ભોજન (3) સમૂહ આરતી-પ્રાર્થના અંગે નિઃસ્વાર્થ ભાવે પ્રેરણાઓ આપી અને કેટલાંયને વ્યસનો પણ છોડાવ્યાં. પ્રત્યેક મુલાકાતને અંતે સદભાવીના પરિવારમાં સર્વપ્રકારે સુખ-શાંતિ રહે તે માટે શતાબ્દી સેવકો હૃદયપૂર્વક પ્રાર્થના કરીને વિદાય લેતા હતા ત્યારે સંપર્ક માટે સમય આપવા બદલ આભાર માનવાનું ચૂકતા નહીં. આ અભિયાન માત્ર 12 દિવસ ચાલ્યું ત્યાં અચાનક કોરોના મહામારીનું આક્રમણ થયું અને જાહેર જનજીવનની સુરક્ષાને લક્ષમાં લઈને સંસ્થા દ્વારા આ અભિયાન તા.13/3/2020 થી થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્યું. મહામારીના લગભગ પોણા બે વર્ષ બાદ પુનઃ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું. જો કે વચ્ચે ઘણો સમય પસાર થઈ જવાથી બધા જ શતાબ્દી સેવકોને ફરીથી તાલીમ આપવામાં આવી. ફરી એકવાર પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષે તેમનો પારિવારિક શાંતિનો સંદેશ પ્રસરાવવા સૌ શતાબ્દી સેવકો તાલીમ અને ઉપયુક્ત સામગ્રીઓ સાથે સેવામાં સુસજ્જ થઈ ગયા અને એ હજારો શતાબ્દી સેવકો સાથે તા. 31/1/2022 ના દિનથી પુનઃ આ અભિયાન સતત અઢી મહિના સુધી વણથંભ્યું દોડતું રહ્યું.
આ અભિયાન દરમ્યાન સૌ શતાબ્દી સેવકોના ઉત્સાહને વેગ આપતું દૃશ્ય-શ્રાવ્ય-પ્રિન્ટ સાહિત્ય મધ્યસ્થ કાર્યાલય દ્વારા સમયાંતરે ઠેરઠેર વહેતું રહ્યું. સમયે સમયે પ.પૂ.મહંતસ્વામી મહારાજ પોતાનાં પ્રેરણાવચન દ્વારા સૌમાં શક્તિસંચાર કરતા રહ્યા અને તેમણે દરેક શતાબ્દી સેવક વૃંદ 200 ઘરનો સંપર્ક કરે જ, એવો લેખીત ધ્યેય બાંધી આપ્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ સાથે, પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈને નિઃસ્વાર્થભાવે ઘરોઘર ઘૂમતા આ શતાબ્દી સેવકોને સૌ તરફથી અણધાર્યો આવકાર અને પ્રતિસાદ મળવા લાગ્યો. આ શતાબ્દી સેવકો તો કેટલાકને ભગવાનના સાક્ષાત્ દૂત સમાન લાગ્યા, ભગવાને જ તેમને પોતાના ઘરે મોકલ્યા હોય તેવો કેટલાયને અનુભવ થયો. ઠેરઠેર શાંતિનાં વાવેતર કરીને પ્રમુખસ્વામી મહારાજનો સંદેશ પ્રસરાવતા આ શતાબ્દીસેવકો પણ તેના મધુર પરિણામો પામીને ગદગદ થઈ જતા હતા.
આમ સતત અઢી મહિનાના પ્રચંડ અભિયાનના અંતે જે આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ તે એક ફળશ્રુતિરૂપે આમ રજૂ કરી શકાયઃ
• આ પારિવારિક શાંતિ અભિયાન અભિયાનમાં કુલ 72,806 પુરુષ-મહિલા શતાબ્દી સેવકો સેવામાં જોડાયાં હતાં. • ભારતનાં કુલ 17 રાજ્યોનાં કુલ 10,012 જેટલાં શહેર-ગામડાંઓમાં પરિભ્રમણ કરીને સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો. • કુલ 24,00,052 જેટલાં પરિવારોમાં જઈને 60,57,635 વ્યક્તિઓને પારિવારિક શાંતિની પ્રેરણા આપવામાં આવી. • આ વિરાટ અભિયાન દરમિયાન દરેક શતાબ્દી સેવકે સરેરાશ 100 થી વધુ કલાકનો સમય પારિવારિક સંપર્કમાં વિતાવ્યો. પરિણામે તમામ
શતાબ્દી સેવકોએ કુલ 72,00,000 થી વધુ માનવ કલાકોનું સમયદાન કરીને એક ઉમદા સેવાકાર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું.
• તેના ફળસ્વરૂપે અસંખ્ય પરિવારોમાં પારિવારિક એકતાનો મંત્ર ઘુંટાયો અને – 4,24,696 પરિવારોએ ઘરસભા કરવાનો સંકલ્પ કર્યો. – 10,28,560 પરિવારોએ ઘરમાં સમૂહ આરતી-પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો. – 19,38,375 પરિવારોએ દિવસમાં એકવાર સમૂહ ભોજન કરવાનો સંકલ્પ કર્યો. જેમાં મહેસાણા શહેરમાં યોજાયેલ પારિવારિક શાંતિ અભિયાનમાં 450 થી વધુ પુરુષ – મહિલા, યુવક- યુવતી મળી ને છેલ્લા અઢી મહિના માં મહેસાણા શહેર ના 21000 થી વધુ ઘરો નો સંપર્ક કરી પારિવારિક શાંતિ નો સંદેશો આપ્યો જેમાં સમૂહ ભોજન, સમૂહ પ્રાથના, ઘરસભા ના નિયમો લેવા અંગે પ્રેરણા કરી. પોતાની શારીરિક અવસ્થા કે પીડાઓને અવગણીને, ધંધા-વ્યવહારની ચિંતાને ફગાવીને, ભૂખ-તરસની વ્યથાને વિસારીને કેવળ સમાજમાં સુખ-શાંતિ પ્રસરાવવા માટે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે આયોજિત પારિવારિક શાંતિ અભિયાનમાં નિઃસ્વાર્થભાવે ઉમંગભેર સેવા બજાવનાર તમામ શતાબ્દી સેવકોને શત શત અભિનંદન પાઠવીને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે સૌને પોતાના અંતરના આશીર્વાદથી અભિષિક્ત કર્યા છે.
આ પણ વાંચો: ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આઇ-ક્રિયેટ અને CSIR વચ્ચે એમ.ઓ.યુ સંપન્ન
આ પણ વાંચો: Surat માં ગ્લોબલ પાટીદાર સમિટ યોજાશે , પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવશે