ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામા ભૂગર્ભ જળની સ્થિતી જાણવા વિશેષ પ્રકારના મીટર ગોઠવાયા, હવે પાણીની સમસ્યા પહેલા પાળ બાંધી શકાશે
સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના 27 તાલુકાઓ માટે નક્કિ કરવામાં આવ્યા છે. જ્યાં પસંદ કરવામાં આવેલા ગામડાઓમાં મીટર ગોઠવી વરસાદ અંગેની વિગતો એકત્ર કરાશે.
અટલ ભૂજલ યોજના (Atal Bhujal Yojana) અંતર્ગત હવે ઉત્તર ગુજરાતમાં પ્રથમ તબક્કાની કામગીરી શરુ કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાત (North Gujarat) ના ચાર જિલ્લાઓમાં વરસાદી પાણીના સંગ્રહ તેમજ આવક અને વપરાશ સહિતનો ડેટા મેળવવા માટે મીટર ગોઠવવામાં આવી રહ્યા છે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના 27 તાલુકાઓ માટે નક્કિ કરવામાં આવ્યા છે. જ્યાં પસંદ કરવામાં આવેલા ગામડાઓમાં મીટર ગોઠવી વરસાદ અંગેની વિગતો એકત્ર કરાશે. જેનાથી જે તે વિસ્તારમાં ભૂગર્ભ જળની સ્થિતી સુધારવા માટે મહત્વનો ડેટા પ્રાપ્ત થશે.
જે ગામડાઓમાં વરસાદી પાણી અંગેનો ડેટા એકઠો કરવા માટે મીટર ગોઠવવામા આવી રહ્યા છે. તે દરેક ગ્રામપંચાયતોને પિવાના પાણીની શુદ્ધતા ચકાસવા માટે ખાસ કીટ પણ આપવામાં આવી રહી છે. જેનાથી પંચાયત દ્વારા તેમના દ્વારા વિતરણ કરાતા પિવાના પાણીની શુદ્ધતા સરળતાથી માપી અને જાણી શકાશે.
વરસાદી પાણી અને ભૂગર્ભ જળનો ડેટા તૈયાર થશે
ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં પસંદ કરવામાં આવેલા 27 તાલુકાઓમાંથી 1599 ગામડાઓને નક્કિ કરવામાં આવ્યા છે. જ્યા વરસાદ અને વરસાદી પાણીની આવકને નોંધવામાં આવશે. આ માટે 13562 જેટલા મીટર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મીટર લગાવ્યા બાદ જેતે ગામમાં કેટલો વરસાદ વરસવા ઉપરાંત કેટલી વરસાદી પાણીની આવક થઈ તે અંગેનુ પ્રમાણ નોંધવામાં આવશે. આ ઉપરાંત ગામમાં પાણીનો કેટલો વપરાશ થઈ રહ્યો છે, તેનો પણ ડેટા નોંધવામાં આવશે. સાથે જ જે તે ગામમાં વરસાદી પાણીનો કેટલો સંગ્રહ થઈ રહ્યો છે. તેવા તમામ મહત્વના ડેટા વરસાદ અને વરસાદી પાણીને લગતા નોંધાશે.
કયા કયા મીટર ગોઠવવામાં આવશે
પસંદ કરવામાં આવેલા તમામ ગામોમાં એક એક રેઈન ગેજ મીટર મુકવામાં આવશે. પાતાળ કૂવા વડે ભૂગર્ભ જળના વપરાશને માપવા માટે 11193 ફ્લોમીટર મુકવામાં આવશે. વર્ષ દરમિયાન કઈ સિઝનમાં ભૂગર્ભ જળની કેવી સ્થિતી છે તેના ડેટા માટે પીઝો મીટર લગાડવામાં આવશે. આ મીટર દ્વારા વરસાદ, વરસાદી પાણી, ભૂગર્ભ જળની સિઝન વાર સંગ્રહ અને વપરાશ સહિતની વિગતો એકઠી થશે. જેના થી જે તે ગામની પાણીની સમસ્યાને હલ કરવા અને ભવિષ્યમાં પાણીના સંકટને નિવારવા માટે આગોતરુ આયોજન કરી શકાશે.
કયા જિલ્લાના કેટલા ગામ પસંદ કરાયા
સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકાઓના 257 ગામોને પસંદ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લાના 10 તાલુકાના 493 ગામો પસંદ કરાયા છે. જ્યારે પાટણ જિલ્લાના 291 ગામોને આવરી લેવામાં આવ્યા છે. સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના 09 તાલુકાના 558 ગામમાં આ અંગેના મીટર લગાડવામાં આવી રહ્યા છે. આ ગામો અને તાલુકાઓમાં પીઝો મીટર 770, રેઈન ગેજ મીટર 1599 અને ફ્લો મીટર 11,193 જેટલા ગોઠવવામા આવી રહ્યા છે.