ખેડા (Kheda)ના નડિયાદમાં આવેલા હિંદુ અનાથ આશ્રમ (Hindu Anath Ashram)નો આઝાદી સાથે ઘણો જુનો નાતો છે. આ આશ્રમ એ સમયે ક્રાંતિકારીઓનું આશ્રય સ્થાન બની રહ્યો હતો. મહાત્મા ગાંધીનો પણ આ આશ્રમ સાથે જૂનો નાતો રહ્યો છે. વર્ષ 1916માં ગાંધીજીએ અહીં ખેડામાં નટભૂમિ પર પગ મુક્યો ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક લોકો ગાંધીજીને લેવા માટે બળદગાડામાં નડિયાદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. એ પ્રસંદની તસ્વીર આજે પણ આ હિંદુ આશ્રમમાં છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલે ખેડા સત્યાગ્રહથી જ આઝાદીની અહાલેક જગાવી હતી. ત્યારે આ દરેક ક્ષણને જીવંત કરતી કૃતિ એટલે હિંદુ અનાથ આશ્રમ.
એ સમયે ગાંધીજી આ આશ્રમમાં 10 દિવસ રોકાયા હતા અને આશ્રમની પ્રવૃતિથી ઘણા પ્રભાવિત થયા હતા. આજે પણ આશ્રમમાં ગાંધી વિચાર અને આચરણની ઝલક અનુભવાય છે. અહીં રહેલી ગાંધીજી અને સરદાર પટેલની ગોષ્ટિ કરતી પ્રતિમા સૌનું ધ્યાન ખેંચે છે.
ગાંધીજીએ આઆશ્રમને ‘સત્યાગ્રહ આશ્રમ’થી બિરદાવ્યો હતો. આશ્રમની સ્થાપનાના સમયે ભયંકર દુષ્કાળ અને રોગચાળાનો ઇતિહાસ પણ જોડાયેલો છે. એ સમયે 15-03-1908માં આશ્રમની સ્થાપના થઈ હતી. ત્યારે કપરા સંજોગોમાં નિ:સહાય અને નિરાધાર અનાથ બાળકો માટે આશ્રમ સેવાતીર્થ બન્યો હતો અને પંજાબના ‘પંજાબ કેસરી’ લાલા લજપતરાયે દુષ્કાળ પીડિત કુટુંબોના નાના ભૂલકાઓને બચાવી લેવા માટે પોતાની પાસેના ‘દુષ્કાળ રાહત ફંડ’માંથી 2500 રૂપિચાની રાશિ મોકલી આશ્રમની સ્થાપનામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આજે આ આશ્રમ વટવૃક્ષની જેમ વિસ્તર્યો છે. 7 એકર જમીનમાં વિસ્તાર સાથે તે સેવાનુ વટવૃક્ષ બની ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતી ત્યારે તેમણે 14-08-2011ના રોજ હિંદુ અનાથ આશ્રમ નડિયાદની પ્રથમવાર મુલાકાત લીધી હતી. આ સમયે તેમના સંબોધનમાં તેમણે જણાવ્યુ હતુ કે “અનાથ આશ્રમની સેવાકીય પ્રવૃતિ તથા સંચાલન પદ્ધતિ જો શીખવી હોય તો આ આશ્રમનાં સંચાલકો પાસેથી શીખવી જોઇએ.” એ સમયે સીએમ મોદીએ સંસ્થાના બાળકો અને તેના સંચાલનને કામને બિરદાવ્યુ હતુ.
આ સંસ્થાને ગુજરાત સરકાર દ્નારા વર્ષ 1984માં બાળકલ્યાણની શ્રેષ્ઠ પ્રવૃતિઓ કરવા બદલ એવોર્ડ મળી ચુક્યો છે. ઉપરાંત વર્ષ 1988માં પણ બાળકલ્યાણની શ્રેષ્ઠ પ્રવૃતિઓ બદલ સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો હતો. જેમા 2 લાખ રૂપિયાની પુરસ્કાર રાશિ આપવામાં આવી હતી, તેમજ રાષ્ટ્રપતિ ભવનમાં તત્કાલિન રાષ્ટ્રપતિ આર. વેંકટરમન દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. વર્ષ 1992માં પણ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માના હાથે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયેલો છે. આ સાથે 21 સપ્ટેમ્બર 2009ના રોજ ગુજરાતનો ગૌરવવંતો ગૌરવ પુરસ્કાર પણ એનાયત થયેલો છે.
આટલુ જ નહીં છેલ્લા 33 વર્ષથી રાજ્ય કક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં આશ્રમની બાળાઓની ટીમ પ્રથમ ક્રમે વિજયી બને છે. જે પરંપરા આજે પણ અકબંધ છે. આ સંસ્થામાં રહી શિક્ષણ મેળવનારા અનેક પ્રતિભાવાન હસ્તીઓમાં બી.વી. કેસકર મુખ્ય છે તેઓએ સંગીતજ્ઞ અને IASની કારકિર્દી બાદ ભારતની પ્રથમ નહેરૂ કેબિનેટ 1950માં માહિતી અને પ્રસારણ વિભાગમાં ઉમદા સેવાઓ બજાવી હતી અને સંસ્થાનું નામ રોશન કર્યુ હતુ.
આ આશ્રમની સ્થાપના 15 માર્ચ 1908માં થઈ હતી અને આ સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થતા તેનો શતાબ્દી મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો. આશ્રમમાં 1 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગાંધી સરદાર સ્મૃતિ ભવનમાં કોમ્પ્યુટર હોલ, સિવણ વર્ગ, રંગમંચ, ગાંધી-સરદાર સંગ્રહાલય તૈયાર કરવામાં આવ્યુ હતુ. આ આશ્રમમાં શરૂ કરવામાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 32 વર્ષથી 5 રૂપિયાના નજીવા દરે દર્દીઓને તપાસવામાં આવે છે અને તેમની સારવાર કરવામા આવે છે. અત્યાર સુધીમાં 4 લાખ 97 હજાર 894 લાભાર્થીઓએ તેનો લાભ લીધો છે.
115 વર્ષ જુની આ સંસ્થામાં અત્યાર સુધી 7000 જેટલા અનાથ દીકરા દીકરીઓ આશ્રમનાં સહારે પોતાનું જીવન શરુ કરી પગભર થયા છે. આશ્રમે સમાજને વકીલ, પ્રાધ્યાપકો, ડોકટર અને સમાજ સેવક આપ્યા છે. ઘણાં અંતેવાસીઓએ પોતાનાં ઉદ્યોગ સ્થાપ્યા છે. 562 જેટલી દીકરીઓના લગ્ન પણ આશ્રમના જ પ્રાંગણમાં જ યોજાયા હતા.
ઈનપુટ ક્રેડિટ- ધર્મેન્દ્ર કપાસી, ખેડા