Kheda: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાલ્લા ગામે 111 ચોરસ ફુટની 3D રંગોળી બનાવવામાં આવી
Kheda: રંગોળી દ્વારા જનજાગૃતિ માટે વાલ્લા પ્રાથમિક શાલા રાજ્યભરમાં જાણીતી છે. જેમા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વાલ્લા ગામે 111 ચોરસ ફુટની 3D રંગોળી કરવામાં આવી છે.
દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav)ની ઉજવણી ચાલી રહી છે. આ ઉજવણી અંતર્ગત PM મોદીના આહ્વાનથી દેશભરમાં હર ઘર ત્રિરંગા (Har Ghar Tiranga) અભિયાન ચાલી રહ્યો છે. જેના દરેક દેશવાસી ત્રિરંગો લહેરાવી પોતાની દેશભક્તિ વ્યક્ત કરી રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે ખેડા(Kheda)ના વાલ્લા ગામે 111 ચોરસ ફુટની 3D રંગોળી દ્વાર દેશભક્તિનો પ્રેરક સંદેશ આપવામાં આવ્યો છે. આ રંગોળી સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થિનીઓ પણ જોડાઈ હતી જેમા વિવિધ ઘર પર ત્રિરંગા લહેરાતા દેખાય છે. અન્ય એક રંગોળીમાં એક બાળક મોટો ત્રિરંગો લઈને દોડતો નજરે પડે છે. આઝાદી કા અમૃત મહોત્સવનું પ્રતિક પણ સોનારી રંગમાં ઝગમગ થાય છે.
નડિયાદ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી આર.આર. પરમારે ખાસ મુલાકાત લઈને આ શાળાને અભિનંદન પાઠવ્યા હતા. વાલ્લા ગામની શાળામાં 75 ફુટ લાંબા ત્રિરંગાની વિશાળ યાત્રા નીકળી હતી. જેમા દરેક ગ્રામવાસીના ચહેરા પર દેશભક્તિનો ઉત્સાહ ઝળક્તો હતો. ગાંધીવાદી શિક્ષકે 200 ત્રિરંગા તૈયાર કરી વાલ્લા ગામમાં ઘરે ઘરે વહેંચ્યા હતા.
વાલ્લા ગામે નીકળી 75 ફુટ લાંબા ત્રિરંગાની યાત્રા
નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળામાં આઝાદીના 75માં અમૃત પર્વ નિમિત્તે 75 ફૂટ લાંબા ત્રિરંગાની યાત્રા યોજાઈ હતી. શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે નડિયાદના દરજી અલ્પેશભાઈની મદદથી 75 ફૂટ લાંબો ત્રિરંગો બનાવી તેની વિશાળ તિરંગા યાત્રા યોજી હતી. આ યાત્રાને નડિયાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.આર. પરમાર સાહેબે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ તિરંગા યાત્રામાં ભારતમાતા, ગાંધીજી, ઝાંસી કી રાની, સૈનિકો અને પોલીસ જવાનની વેશભૂષા સાથેના બાળકો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ દરમિયાન ભારત માતા કી જય, શહીદો અમર રહોના ગગન ભેદી નારા સાથે ત્રિરંગા રેલી સમગ્ર વાલ્લા ગામમાં ફરી હતી. 75 ફૂટ લાંબી ત્રિરંગા યાત્રાનું સંપૂર્ણ આયોજન ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે કર્યું હતું.
ગામના ગાંધીવાદી શિક્ષકે 200 ત્રિરંગા તૈયાર કરી વિદ્યાર્થીઓને વહેંચ્યા
સરકારના હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત હિતેશકુમાર બ્રહ્મભટ્ટે જાતે 200 ત્રિરંગા તૈયાર કરીને શાળાના તમામ વિદ્યાર્થીઓને અર્પણ કર્યા છે જે ગામના 200 પરિવારમાં લહેરાશે. 75 ફૂટ લાંબા ત્રિરંગા તથા 200 ત્રિરંગાના દાતા તરીકે સારસાના નિત્યાનંદ ગોરધનભાઈ પટેલે ખાસ સહયોગ આપ્યો છે. શાળાના એક ગાંધીવાદી શિક્ષકના તન, મન, ધન તથા સમયના બલિદાન રૂપી આઝાદીનો અમૃત મહોત્સવ શોભી ઉઠ્યો હતો અને ગામમાં દેશભક્તિનું વાતાવરણ સર્જાયું છે.
ઈનપુટ ક્રેડિટ- ધર્મેન્દ્ર કપાસી- ખેડા