Kutch: ગૃહમંત્રી હર્ષ સંઘવી કચ્છના પ્રવાસે, વડાપ્રધાનનું સંબોધન સાંભળી વેપારી-ઉદ્યોગપતીઓ સાથે યોજી બેઠક
કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ સાથે ખાસ ઉપસ્થિત રહેલા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઝુંપડા કે કાચા ઘરમાં રહેનાર અને પોતાના ઘરનું સપનું જોનાર માટે તેમજ ગુજરાત (Gujarat) માટે આજનો દિવસ ઐતિહાસિક છે કારણકે, આજે 1 લાખ 41 હજાર પરિવારોને ઘર મળશે.

ગુજરાતના ગૃહમંત્રીએ ભુજ ટાઉનહોલ ખાતે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી હતી. વડાપ્રધાને (PM Narendra Modi) ફરી એકવાર કચ્છને યાદ કર્યુ હતુ. કચ્છની (Kutch News) ખેતપેદાશો રેલવે દ્વારા ભારતના ખૂણે ખૂણે પહોંચે તે માટેનું આજે કામ કરાયું છે તેમ જણાવી કચ્છમાં દેશના એક માત્ર રૂ.220 કરોડના ખર્ચે નિર્મિત રેલવે એન્જિન જાળવણી કેન્દ્ર ગાંધીધામ રેલવે સ્ટેશનના લોકોમોટીવ મેઈન્સટેશનનું ઈ-લોકાર્પણ કર્યુ હતું.
કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ સાથે ખાસ ઉપસ્થિત રહેલા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઝુંપડા કે કાચા ઘરમાં રહેનાર અને પોતાના ઘરનું સપનું જોનાર માટે તેમજ ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે કારણકે, આજે 1 લાખ 41 હજાર પરિવારોને ઘર મળશે. ભારતના દરેક નાગરિકને ઘર આંગણે તમામ સુવિધાઓ પુરી પાડવાનો પ્રયાસ કરનાર વડાપ્રધાન દ્વારા આજે રૂ.21 હજાર કરોડના વિવિધ લાભો રાજયવાસીઓને અર્પણ કરવામાં આવ્યા. રાજયની દરેક મહિલાઓ માટે મુખ્યમંત્રી માતૃશકિત યોજના અને બાળકો માટે પણ પોષણ સુધા યોજનાનો પ્રારંભ થઇ રહ્યો છે. મા-બાળક બંનેને તંદુરસ્ત રાખવાનો આ આવકારદાયક પ્રારંભ છે.
કચ્છ જિલ્લામાં પણ 5 હજાર જેટલા લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી પોતાનું ઘર મેળવશે. તેમજ રાજયની મહિલા અને બાળકો પોષણ મેળવી સ્વસ્થ બનશે. જરૂરતમંદો માટે આજનો દિવસ સોનાનો બની રહેશે. વિવિધ યોજનાઓના લાભ લઇ સૌ સર્વાંગી વિકાસ કરીએ ગુજરાત ગૌરવના ભાગીદાર બનીએ.
વેપારીઓ સાથે ભુજ-ગાંધીધામમા મંથન
ગૃહરાજ્યમંત્રી એ આજે કચ્છની સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગકારો તથા વેપારીઓ સાથે ભુજમાં સંવાદ કર્યો હતો. જેમાં વેપાર-ધંધામાં કોઇપણ પ્રકારની સમસ્યા ન ઉદ્ભવે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા રાજયસરકાર કટિબધ્ધ હોવાનું જણાવી જિલ્લાના વેપારીઓના અન્ય રાજયો સાથેના ચીટીંગ સહિતના કેસોને ઉકેલવા “સીટ”ની રચના કરી ખાસ ડ્રાઈવ કરવા ગૃહરાજ્યમંત્રીએ પોલીસને સુચન કર્યુ હતુ.
ભુજ કલેકટર કચેરીના સભાખંડમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, વેપારી એસોસિએશન તથા ઉદ્યોગકારો સાથે આત્મીય સંવાદ સાધતા ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સામાજિક વિષય હોય કે વેપારધંધાને લગતા કોઈપણ પ્રશ્નોને મુક્ત મને રજુઆત કરવા વેપારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે વેપારીઓને કચ્છમાં કાયદા- વ્યવસ્થાની સુચારૂતા અંગે પણ પૃચ્છા કરી હતી. કોઈપણ સમસ્યા હોય વગર હિચકિચાટે અડધી રાત્રે પણ ફોન કરવા વેપારીઓને જણાવ્યું હતું.