Mahashivratri 2022: જાણો ભવનાથ મહાદેવની સ્થાપનાનું રહસ્ય, કોણે કરી ભવેશ્વર લિંગની સ્થાપના
જૂનાગઢમાં સાક્ષાત શિવજી અહીં અનાદિકાળથી વસ્યાં છે. જેમાં સ્કંદપુરાણમાં જણાવ્યા અનુસાર એકવાર માતા પાર્વતી મહાદેવને ભવનાથનો ઇતિહાસ પૂછે છે ત્યારે મહાદેવ તેમને જણાવે છે કે સૌરાષ્ટ્ર દેશમાં વસ્ત્રાપથ નામની એક જગ્યા છે.
ગુજરાતમાં જૂનાગઢમાં(Junagadh)ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રિની(Mahashivratri)ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. જેમાં ભવનાથની તળેટીનું મુખ્ય આરાધ્ય સ્થાન ભવનાથ મહાદેવનું(Bhavnath)મંદિર સ્થિત છે. ભગવાન શિવના આરાધ્ય સ્થળ અંગે અનેક દંતકથાઓ સંકળાયેલી છે. જેમાં જૂનાગઢમાં સાક્ષાત શિવજી અહીં અનાદિકાળથી વસ્યાં છે. જેમાં સ્કંદપુરાણમાં જણાવ્યા અનુસાર એકવાર માતા પાર્વતી મહાદેવને ભવનાથનો ઇતિહાસ પૂછે છે ત્યારે મહાદેવ તેમને જણાવે છે કે સૌરાષ્ટ્ર દેશમાં વસ્ત્રાપથ નામની એક જગ્યા છે. જ્યાં બિલિપત્રના ઝાડની મધ્યમાં મારું લિંગ છે. જેમાં મહાશિવરાત્રિના દિવસે અજાણતા જ એક પારધી આવે છે અને તે લિંગની પૂજા કરે છે.તેમજ તે આખી રાત જાગરણ કરીને પૂજા-અર્ચના કરે છે.
આ લિંગ ભવેશ્વર તરીકે સ્થાપિત
જેમાં પારધીએ બીલીના વૃક્ષ નીચે બેસીને આખીરાત બીલીપત્રો તોડી તોડીને અપૂજ શિવલિંગ મૂક્યા અને ભવ તરી ગયો. તેમજ મહાશિવરાત્રિ તરીકે જ આ જ કથા પ્રચલિત છે. તેમજ લોકવાયકા મુજબ મહા વદ ચૌદશને દિવસે પારધી અને ઇન્દ્રદેવે પણ આ લિંગની પૂજા કરી હતી. ત્યારથી જ આ લિંગ ભવેશ્વર તરીકે સ્થાપિત થાય છે. જે હાલ ભવનાથ તરીકે ઓળખાય છે.ભવનાથ શબ્દનો અર્થ થાય છે ભવનો નાશ કરનારો. ભવનાથ મહાદેવના પ્રાંગણમાં પગ મૂકતાંની સાથે જ વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે. હાલનું ભવ્ય મંદિર વર્ષ 2000માં નવનિર્મિત થયું છે.
જીવ અને શિવનું મિલન
આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે ભવનાથ મહાદેવના દર્શન કરવાથી સાત જન્મોનું પાપ ધોવાઈ જાય છે.ભવનાથ મહાદેવના દર્શન કરવાથી આત્મા શુદ્ધ અને પવિત્ર થાય છે. મહાશિવરાત્રીના મેળાને જીવ અને શિવનું મિલન કહેવાય છે.આ મેળાને મિની કુંભ પણ કહેવામાં આવે છે.અહીં દેશભરમાંથી સાધુ સંતો ઉપસ્થિત રહે છે.અહીં તેઓ પાંચ દિવસ સુધી રાવટી બનાવે છે અને તેમાં ધુણો ધખાવે છે,નાગા સાધુઓના દર્શન માટે અલગ અલગ વિસ્તારોમાંથી લોકો ઉમટી પડે છે.મહાશિવરાત્રીએ રવાડી નિકળે છે જેમાં નાગા સાધુઓ ભભુત લગાવીને નીકળે છે અને અંતે મૃગીકુંડમાં સ્નાન કરે છે .એવી લોક વાયકા છે કે આ દિવસે શિવ જીવ બનીને આવે છે અને મૃગીકુંડમાં સ્નાન કરીને તેઓ અદ્રશ્ય થઇ જાય છે.
શ્રધ્ધાળુઓને ભભૂતિને પ્રસાદીરૂપે આપવામાં આવે છે
મહાશિવરાત્રીના મેળામાં દૂરથી સાધુ સંતો અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો જૂનાગઢ આવી પહોંચે છે અને સતત પાંચ દિવસ સુધી અહીં રહી ધૂણાઓ બનાવવામાં આવે છે. માટી અને ઈંટો દ્વારા આ ધુણાઓ બનાવવામાં આવે છે.ધુણામાં સતત અગ્નિ પ્રજ્વલિત રાખી અને અગ્નિદેવની સાક્ષીમાં શિવ આરાધના સતત પાંચ દિવસ સુધી કરતા રહે છે અને આ ધુણાની ભભૂતિ શરીર પર લગાવી અલખની હેલી જગાવે છે. તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓને ભભૂતિને પ્રસાદીરૂપે આપવામાં આવે છે અને લોકોનું કલ્યાણ થાય તે માટે સતત સાધુ સંતો પ્રાર્થના કરતા રહે છે. ધુણાએ સાધુ સંતોની ઓળખ છે અને ધુણામાં જ રસોઈ બનાવી અને ભોજન આરોગે છે. શિવરાત્રીનું સ્નાન પૂર્ણ કરી અને ધુણાનું વિસર્જન કરવામાં આવે છે.
આ પણ વાંચો : Surat : ઐતિહાસિક હોપ પુલનો એક સ્પાન જોવા મળશે પાલના લેક ગાર્ડનમાં, લોકો જોઈ રહ્યા છે આતુરતાથી રાહ