ભાજપ દ્વારા લોકસભા સાથે યોજાનારી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી ચૂંટણી જીતેલા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને કેસરિયા કર્યા હતાં.
માણાવદર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી જીતીને આવ્યા બાદ ધારાસભ્ય પદ પરથી થોડા દિવસ પૂર્વે જ અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યુ હતુ. રાજીનામું આપનાર અરવિદ લાડાણીને ભાજપે માણાવદર વિધાનસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે. અરવિંદ લાડાણી 14 માર્ચે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.
લાડાણી માણાવદરમાં ખેડૂતોમાં લોકપ્રિય નેતા છે. તેઓ હંમેશા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા જોવા મળ્યા છે. વર્ષ 2019માં અરવિંદ લાડાણી પેટા ચૂંટણીમાં ભાજપના નેતા જવાહર ચાવડા સામે હારી ગયા હતા, જો કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં લાડાણીએ જવાહર ચાવડાને 3453 મતથી હરાવ્યા હતા.
અરવિંદ લાડાણી 1997થી કોંગ્રેસના પાયાના કાર્યકર રહ્યા છે. તેઓ 1989માં પહેલાવીર કોડવાવ ગામના સરપંચ તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ બે વખત જિલ્લા પંચાયત સભ્ય રહ્યા હતા. આ સિવાય ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે પણ તેમણે જવાબદારી સંભાળેલી છે. તેમની ગણતરી છબી સ્વચ્છ નેતાઓમાં થાય છે. જો કે હવે તેઓ ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસમાંથી આવેલા તમામ પૂર્વ ધારાસભ્યોને ભાજપે પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. જેમાં માણાવદર વિધાનસભા બેઠક ઉપર અરવિંદ લાડાણીને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે હજુ સુધી પેટાચૂંટણી માટે એક પણ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી, ત્યારે જોવાનું રહેશે કે હવે આ બેઠક પર કોંગ્રેસ કયા ઉમેદવારને ટિકિટ આપે છે.
આ પણ વાંચો- સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજનો વિરોધ, જુઓ વીડિયો
મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તમામ ઉમેદવારને ઈનામ મળ્યું છે આ માટે પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ઉમેદવાર, માણાવદરથી અરવિંદ લાડાણી ઉમેદવાર, ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ, વિજાપુરથી સી.જે.ચાવડાને ટિકિટ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે.
Published On - 1:04 pm, Wed, 27 March 24