Gujarati Video : વ્યાજનું પણ વ્યાજ આપવા છતા વ્યાજખોરો કરતા હતા પરેશાન, આપઘાત કરનાર વેપારીના પરિવારે કરી ન્યાયની માગ
Junagadh News : મૃતક વેપારીએ વ્યાજખોરો પાસેથી રૂપિયા 12 લાખ વ્યાજે લીધા હતા અને તમામ રકમ વ્યાજ સહિત ચૂકવી આપી હતી. પરંતુ વ્યાજખોરોએ વેપારી પાસે વ્યાજનું પણ વ્યાજ લગાવી આકરી ઉઘરાણી શરૂ કરી હતી.
જુનાગઢના કેશોદમાં વ્યાજખોરોના ત્રાસે વધુ એક વેપારીનો ભોગ લેવાયો છે. વ્યાજખોરના ત્રાસથી કેશોદના વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. વેપારીએ સુસાઇડ નોટમાં ચાર વ્યાજખોરના નામ લખ્યા હતા. જે વેપારીને વધારે પૈસા માટે ત્રાસ આપતા હતા. મૃતકના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટમાં કેટલાક વ્યાજખોરોનો ઉલ્લેખ છે. જેમાં એવું લખ્યું છે કે કેટલાક વ્યાજખોરો રૂપિયાની ઉઘરાણી કરીને મારી નાંખવાની સતત ધમકી આપતા હતા.
A trader in Keshod of #Junagadh died by suicide due to harassment of money lender#Gujarat #TV9News pic.twitter.com/OmlX52lH6f
— Tv9 Gujarati (@tv9gujarati) March 15, 2023
વ્યાજે લીધેલા લાખો રુપિયા ચુકવી દીધા હતા
મૃતક વેપારીએ વ્યાજખોરો પાસેથી રૂપિયા 12 લાખ વ્યાજે લીધા હતા અને તમામ રકમ વ્યાજ સહિત ચૂકવી આપી હતી. પરંતુ વ્યાજખોરોએ વેપારી પાસે વ્યાજનું વ્યાજ લગાવી આકરી ઉઘરાણી શરૂ કરી હતી અને વેપારીને મરવા મજબૂર કર્યો હતો. વેપારીની સુસાઈડ નોટમાં પ્રવીણ રબારી, ભાવેશ રબારી, રાજુ રબારી અને અજિત આહિરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે સુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથધરી છે.
પરિવારમાં શોકનો માહોલ
તો બીજી તરફ પરિવારના મોભીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લેતા પરિવાર શોકમગ્ન બન્યો છે. સાથે જ વ્યાજખોરોને ઝડપી તંત્ર ન્યાય અપાવે તેવી માગ કરી છે.
નોંધનીય છે કે રાજ્યમાં ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં વ્યાજખોરો સામે મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી અને નાગરિકોને નિર્ભય બનીને વ્યાજખોરો અંગે જાણ કરવા પણ કહેવામાં આવ્યું હતું. તેમજ સરકાર અને પોલીસ દ્વારા જરૂરિયાતમંદોને લોન આપવાની પહેલ કરી વ્યાજના વિષચક્રમા ન ફસાવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરો સામે લાલ આંખ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું કે વ્યાજખોરોને રાજય બહાર તગેડી મૂકવામાં આવશે.
રાજ્ય વ્યાપી ડ્રાઈવ દરમિયાન 847 FIR દાખલ કરાઈ
ગુજરાત પોલીસે વ્યાજના વિષચક્રને તોડવા ખાસ અભિયાન ચલાવ્યું હતું. રાજ્યભરમાં પોલીસે 3500 જેટલા લોકદરબાર યોજ્યા. આ લોકદરબારમાં 1.29 લાખથી વધુ વ્યક્તિઓ સહભાગી થયા હતા અને પોતાની વેદના રજૂ કરી પોલીસે કરેલી કાર્યવાહીથી હજારો લોકોને વ્યાજના દૂષણમાંથી બચાવાયા પોલીસની રાજ્ય વ્યાપી ડ્રાઈવ દરમિયાન 847 FIR દાખલ કરાઈ હતી.