આધુનિક ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો (Technology) ઉપયોગ વધ્યો છે. ત્યારે લોકો ટેલીવિઝન, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ, મોબાઈલ સહિતના ઉપકરણોનો ઉપયોગ કરીને સ્ક્રીનટાઈમ વધુ ફાળવતા થયા છે. ડિજિટલલ માધ્યમમાંથી વાંચન, માહિતી, જ્ઞાન મળી શકે છે. પરંતુ સાથે કેટલાક ગેરફાયદાઓ પણ હોય છે. ત્યારે લોકો પુસ્તકો તરફ વળે અને વાંચન શોખને વધારે તે પ્રયાસો જામનગરની (Jamnagar) રીડિંગ કલબ (Reading Club) દ્વારા કરવામાં આવ્યા છે. જે માટે સ્થાનિક લેખકો, કવિઓને પણ આ પ્રયાસ માટે સાથે જોડવામાં આવ્યા છે.
પાંચ મિત્રોએ મળીને રીડિંગ કલબ 2019માં શરૂ કરવામાં આવી હતી. સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા બંકિમ ભટ્ટને પોતાને વાંચનનો ખૂબ શોખ છો. જો કે હાલના સમયમાં લોકોમાં વાંચનનો રસ છુટતો જતો હોવાનું લાગતા લોકોમાં વાંચનનો શોખ કેળવવા માટેના પ્રયાસ કરવાનો તેમને વિચાર આવ્યો. આ વિચાર તેમણે પોતાના વાંચનના શોખીન મિત્રો સાથે વ્યક્ત કર્યો હતો. જે પછી પાંચ મિત્રોએ એક નવી પહેલ શરુ કરી.આ પાંચ મિત્રોમાં ખાનગી કંપનીમાં કેમિકલ ઈન્જીનીયર મિતેશ મકવાણા, ખાનગી શાળાના સંચાલક નયન પટેલ, શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા રાસીદ ચાકી, સરકારી શાળાના શિક્ષકના ઈશિત ત્રિવેદી અને બંકિમ ભટ્ટ સામેલ છે.
આ પાંચેય મિત્રોએ સાથે મળીને અંદાજે 6 હજારના ખર્ચે કેટલાક પુસ્તકો વસાવીને રીડિંગ કલબની શરૂઆત નવેમ્બર 2019માં કરી હતી. ત્યારથી લોકોમાં વાંચનની ભુખ વધારવા, વાંચન માટેના શોખનો કેળવવા, તેમજ નવી પેઢીને વાંચન તરફ વાળવાના હેતુથી આ કલબ કાર્યરત રહે છે. આ પાંચેય મિત્રોનો વિચાર છે કે વધુ સમય સુધી મોબાઈલનો ઉપયોગ યુવાનો અને વડીલો કરશે તો નવી પેઢીને પણ તેનાથી દુર નહી રાખી શકાય. જો યુવાનો અને વડીલો વાંચનનો શોખ કેળવશે, તો નવી પેઢી તેમને જોઈને શીખશે.
બે વર્ષમાં કલબમાં 1100થી વધુ પુસ્તકોનુ કલેકશન થયુ છે. જે પુસ્તકો વાંચન માટે માત્ર રજીસ્ટ્રેશન કરીને કોઈ પણ શરત કે ફી વગર આપવામાં આવે છે. પુસ્તકાલયમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ત્રણ ભાષાના નવલકથા, વાર્તા, કવિતાસંગ્રહ, નોર્વેલ, સેલ્પ ડેવલોપ્મેન્ટ, ધાર્મિક સહીતના વિષયના પુસ્તકોનો સંગ્રહ થયો છે. અત્યાર સુધીમાં 120 જેટલા વાંચકો નોંધાયા છે. જે નિયમિત આ પુસ્તકાલયમાં આવી પુસ્તકોનો ઉપયોગ વાંચન માટે કરે છે.
આ ક્લબમાં વાચકોની સાથે સ્થાનિક તથા આસપાસના લેખક, કવિઓને પણ પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. રીડિંગ કલબ દ્વારા દર માસના ત્રીજા રવિવારે સત્યમ કોલોનીમાં આવેલા પુસ્તકાલયમાં વિવિધ પ્રવૃતિઓ થતી હોય છે. જેમાં કવિ, લેખક, પ્રોફેસર, શિક્ષકો દ્વારા પોતે લખેલા કે વાંચેલા પુસ્તક વિશેની માહિતી આપવામાં આવે છે. જેમાં વાંચન પ્રેમીઓ આ પ્રવૃત્તિઓમાં જોડાય છે. અત્યાર સુધીમાં આવા કુલ 11 કાર્યકમો યોજાયા છે. કલબ દ્વારા બાળકોને વાંચન તરફ વાળવા માટે વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવે છે.