Jamnagar: આમરા ગામમાં કુવામાં રોટલા મુકીને જોવામાં આવે છે વરસાદનો વરતારો, જુઓ વીડિયો
આમરા ગામના ખેડૂતો (Farmer) માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમાવરે થતી આગાહી જ મહત્વની હોય છે. રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની પ્રથા આમરા ગામમાં છેલ્લા 400 કરતાં વધુ વર્ષથી ચાલી આવે છે.
ચોમાસું (Monsoon 2022) કેવું રહેશે? તેના માટે હવામાન ખાતા દ્વારા ભલે આગાહીઓ થતી હોય, પરંતુ ઘણા ગામડાઓમાં આજે પણ પ્રાચીન પદ્ધતિઓથી વરસાદનો વરતારો નક્કી કરવામાં આવે છે. જામનગર (Jamnagar Latest News) નજીક આવેલા આમરા ગામના ખેડૂતો આજે પણ એક પરંપરાગત રીતથી વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે. અહીં ગામમાં આવેલા એક કુવામાં બે રોટલાઓ ફેંકી રોટલાની દિશા નક્કી કરવામાં આવે છે અને રોટલા જે દિશામાં જાય તેના પરથી નક્કી થાય છે કે વર્ષ કેવું રહેશે.
ન કોઈ જાહેરાત, ન કોઈ આયોજન
જામનગર નજીક આવેલા આમરા ગામે કોઈપણ જાતના આયોજન કે જાહેરાત વગર અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ રીતે ગામ લોકો એકઠા થઈ જાય છે. ચોમાસાને લઈ હવામાન ખાતું જે કંઈ પણ આગાહીઓ કરતું હોય પરંતુ, આમરા ગામના ખેડૂતો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમાવરે થતી આગાહી જ મહત્વની હોય છે. રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની પ્રથા આમરા ગામમાં છેલ્લા 400 કરતાં વધુ વર્ષથી ચાલી આવે છે.
આ પ્રથા મુજબ ગામ લોકો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં એકઠા થાય છે. ત્યારબાદ રોટલા તૈયાર કરી ગામ લોકો વાજતેગાજતે ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરે પહોંચે છે. જયાં જે વ્યકિત રોટલાને કુવામાં પધરાવે છે તે વ્યકિતને સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ રોટલાને ઉપરથી કુવામાં પધરાવવામાં આવે છે. રોટલા કુવામાં પધરાવ્યા બાદ ગામના વડીલો રોટલા કઈ દિશામાં જાય છે તેના પર નજર રાખે છે. ગામના વડીલોનું માનીએ તો જો રોટલા પૂર્વ કે ઈશાન બાજુ જાય તો વર્ષ સારૂ રહે છે અને આથમણી દિશામાં જાય તો વર્ષ થોડું નબળું પડે છે. રોટલાના વરતારો વિશે જાણવા મોટી સંખ્યામાં એકઠા થાય છે.
કેવું રહેશે આ વર્ષ, જુઓ વીડિયો
હાલ જ્યારે વરસાદ ખેંચાયો છે, ત્યારે સૌ કોઈને ઈંતજાર છે કે વરસાદ કયારે આવશે અને વર્ષ કેવું રહેશે. જો આમરાના ગ્રામજનો દ્વારા આજના દિવસે કરવામાં આવેલા વરતારાનું માનીએ તો આજે જે રોટલા ફેંકવામા આવ્યા તેમાં એક રોટલો ઉગમણી દિશામાં ગયો છે. ગામલોકોના મતે આ વર્ષ સારુ રહેશે.
એક સમય હતો કે આમરા ગામમાં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે જ્યારે રોટલાથી વરતારો થતો ત્યારે આસપાસના 20 ગામના લોકો આ વરતારો જાણવા અહીં આવી પહોંચતા. જો કે, આજે વર્ષો બાદ આસપાસના ગામલોકો અહીં નથી પહોંચતા, પરંતુ, આમરા ગામના લોકોએ તો આજે પણ આ પ્રથાને જાળવી રાખી છે. જેઓ આજે પણ જે રીતે વરતારો થાય છે તેના આધારે જ શેની વાવણી કરવી તેનો નિર્ણય કરે છે.