જામનગર (Jamnagar)નજીક આવેલા લાખાબાવળમાં ખાનગી નર્સિંગ કોલેજ (Nursing College)માં વિદ્યાર્થિનીઓ અને વાલીઓએ હંગામો કર્યો હતો. વિદ્યાર્થિનીઓની ફરિયાદ છે કે તેમના એડમિશન લીધાના 8 મહિના થયા. પરંતુ છેલ્લા 6 મહિનાથી કોલેજમાં તેમને અભ્યાસ કરાવવામાં આવતો નથી. અનેકવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા છતા કોલેજના સત્તાધિશોએ આ અંગે પગલા ન લેતા વિદ્યાર્થિની(Students)ઓનો રોષ ભભુકી ઉઠ્યો અને કોલેજ સામે હોબાળો કર્યો હતો. ચાલુ વર્ષે કોલેજમાં 21 જેટલી વિદ્યાર્થિનીઓએ નર્સિંગમાં પ્રવેશ લીધો છે. લાખાબાવળમાં આવેલી ક્રિષ્ના એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દયામન નર્સિંગ કોલેજમાં જાન્યુઆરીથી કોલેજ શરૂ બાદ માત્ર બે મહિના જ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. છેલ્લા 6 મહિનાથી કોલેજમાં ટ્યુટર ન હોવાથી અભ્યાસ બરાબર ચાલતો ન હોવાની વિદ્યાર્થિનીઓની ફરિયાદ છે. આ મુદ્દે વખતોવખત રજૂઆત કરવા છતા કોઈ પગલા ન લેવાતા કોલેજનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.
કોરોનાકાળ બાદ નર્સિંગ વિભાગમાં નોકરી મળવાની શક્યતા વધતા અનેક વિદ્યાર્થિનીઓએ નર્સિંગનો કોર્ષ પસંદ કર્યો હતો. જેમાથી 21 વિદ્યાર્થિનીઓ કોલેજમાં અડધા લાખથી વધુની તગડી ફી ભરીને પ્રવેશ મેળવ્યો છે. ખાનગી કોલેજમાં સારુ શિક્ષણ મળવાની આશાએ વાલીઓ તગડી રકમ ચુકવી પરંતુ છ મહિનાથી યોગ્ય શિક્ષણ ન મળતા અને વારંવાર રજૂઆત કરવા છતા કોઈ પરિણામ ન મળતા શનિવારે વિદ્યાર્થિનીઓએ વાલીઓ સાથે કોલેજનો ઘેરાવ કર્યો હતો.
આ દરમિયાન કોલેજમાં ઈન્સપેક્શન હોવાથી કોલેજના સંચાલકોએ વિદ્યાર્થિનીઓને કે વાલીઓનો કોલેજમાં પ્રવેશતા ગેઈટ પરથી જ અટકાવી દેવાયા હતા અને ઈન્સપેક્શન કરવા આવેલી ટીમને વાલીઓને મળવા દેવાયા ન હતા. જો વાલીઓ ઈન્સપેક્શન કરનાર ટીમને મળે તો કોલેજની પોલ ખૂલવાનો ભય સંચાલકોને હોવાથી દરવાજા પર જ અટકાવી દીધા હતા. જેને પગલે વાલીઓએ કોલેજ બહાર જ પોતાનો રોષ ઠાલવ્યો હતો. વાલીઓએ તગડી રકમની ફી ભર્યા બાદ પણ વિદ્યાર્થિનીઓને શિક્ષણ ન મળતા નર્સિંગ કાઉન્સિલમાં રજૂઆત કરી હતી. આખરે નર્સિંગ કાઉન્સિલની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો. જેમા કોલેજ સંચાલકોએ આ મુદ્દે 10 દિવસમાં એટલે કે 24 ઓગષ્ટ સુધીમાં ફેકલ્ટી લાવવાની ખાતરી આપી છે.
એકતરફ ખાનગી કોલેજો કોર્ષના નામ આપીને કોલેજ તો શરૂ કરી દે છે પરંતુ શિક્ષણ અને ફેકલ્ટીની ભરતી યોગ્ય સમયે ન કરતા હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે. વિદ્યાર્થિઓની ફરિયાદની પણ કોઈ દરકાર ન કરતા હોવાથી વાલીઓમાં પણ રોષની લાગણી ફેલાય છે. હાલ તો વર્ષ પૂર્ણ થાય તે પહેલા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળે તેવી માગ વાલીઓ દ્વારા કરાઈ છે.
Published On - 3:08 pm, Tue, 9 August 22