Jamnagar: ગોજારા અકસ્માતમાં સ્વજનને ગુમાવનારા પરિવારની દિલેરી, બ્રેઈનડેડ સ્વજનના અંગોનું કર્યુ દાન
Jamnagar: વિક્ટોરિયા પૂલ નજીક ત્રણ દિવસ પહેલા બનેલી અકસ્મતાની ઘટનામાં બ્રેઈન ડેડ થયેલા મહિલાના પરિવારે દિલેરી બતાવતા અન્યોને મદદરૂપ થવાની ઈચ્છા દર્શાવી. પરિવારે બ્રેઈન ડેડ તૃષાબેન શૈલેષભાઈ મહેતાના અંગોનુ દાન કરવાનો નિર્ણય લઈ અન્ય લોકોને નવજીવન આપવાનો ઉમદા નિર્ણય કર્યો અને અંગદાનની સહમતી દર્શાવી.
જામનગર (Jamnagar)માં વિક્ટોરિયા પુલ નજીક ત્રણ દિવસ પહેલા ગોજારા અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં પરિણિત મહિલાને અકસ્માતમાં ભારે ગંભીર ઈજા પહોંચી હતી. તબીબોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. બ્રેઈન ડેડ (Brain Dead) થયેલ તૃષાબેન શૈલેષભાઈ મહેતાના 20 વર્ષના લગ્ન જીવનમાં 15 વર્ષ બા સંતાન સુખ પ્રાપ્ત થયુ હતુ. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેમ પાંચ વર્ષનું બાળક મા વિનાનુ બન્યુ છે. જો કે આટલા દુ:ખના પહાડ વચ્ચે પણ ભોઈ સમાજના મહેતા પરીવારે પોતાના દુ:ખના સમયે બીજાને મદદરૂપ થવા પહેલ કરી અને સમગ્ર મહેતા પરિવારે સમાજને ઉપયોગી થવાની ઈચ્છા શક્તિ દર્શાવી. પોતાના સ્વજનને ગુમાવવાની સાથે કેટલાક લોકોને નવજીવન આપવાનો ઉમદા નિર્ણય કર્યો અને અંગદાન (Organ Donate) જેવા મહાકાર્ય માટે સહમતી દર્શાવી.
આ નિર્ણયને પગલે આજ રોજ અમદાવાદથી ડોક્ટરની ટીમો રવાના થઈ હતી અને લગભગ રાત્રીના 9:00 વાગ્યા આસપાસ આ ટીમો જામનગર પહોંચી અંગોને લઈ જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગરના સાત રસ્તા નજીક આવેલ યુનિક હોસ્પિટલ અને આઈ.સી.યુ ના ડોક્ટર એ.ડી રૂપારેલીયાની દેખરેખ હેઠળ સમગ્ર અંગદાનનું મહા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ. જેમાં મહિલાની કિડની, લીવર, આંખ અને જો શક્ય હશે તો મહિલાની ચામડીનું પણ દાન કરવા માટે પરીવારે તૈયારી બતાવી છે.
અકસ્માતની ઘટના સાંભળીને કદાચ કોઈનું પણ કાળજુ કંપી જાય અને આંખોમાં આંસુ આવી જાય. જેમાં નશામાં ધુત ફોર વ્હીલર ચાલક દ્વારા ડૉ.તૃષાબેન શૈલેષભાઇ મહેતાની સ્ફુટીને પાછળથી ઠોકર મારી નાસી ગયાની ઘટનામાં ડોક્ટર દ્વારા તૃષાબેન ને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. આ સમગ્ર ઘટનામાં શૈલેષભાઈ મહેતાના પરિવાર દ્વારા તમામ મીડિયા કર્મીઓ પાસે એક આશા રખાઈ રહી છે કે, પોતાના સ્વજનને તો પરત નહીં મેળવી શકે પણ તૃષાબેનના આત્માને શાંતિ મળે તે માટે પોલીસ વિભાગ અને સરકાર આ ગુનામાં દાખલા સ્વરૂપ કાર્યવાહી હાથ ધરે, જેથી કરી ભવિષ્યમાં કોઈ નિર્દોષ માણસનો હસતો રમતો પરિવારનો માળો ન વીખાઈ જાય.
કારચાલક સામે કડક પગલા લેવાની ભોઈસમાજની માંગ
જામનગરમાં વિકટોરીયા પુલ પાસે હિટ એન્ટ રનનો બનાવ બન્યો હતો. આ અકસ્માત બાદ કારચાલાક નાસી ગયો હતો. તેની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પરીવારજનો અને ભોઈ સમાજ દ્રારા કરવામાં આવી છે. વાહનચાલકને પકડી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક સજા આપવાની માગ સાથે સમાજના આગેવાનોએ પોલીસે આવેદનપત્ર આપ્યુ હતુ.