જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધી જંગી જનસભા, કહ્યું જામનગરને જાહોજલાલીની નવી ઉંચાઈએ લઈ જવુ છે
PM Modi Gujarat Visit: વડાપ્રધાને જામનગરમાં જંગી જનસભા સંબોધી જેમા જામનગરને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવાનું પીએમએ જણાવ્યુ. જામનગરમાં અઢી દાયકા પહેલા પાણી માટે ખેડૂતોને વલખા મારવા પડતા હતા, ત્યાં આજે મા નર્મદા સ્વયં પરિક્રમા કરી આશીર્વાદ આપી રહ્યા હોવાનુ તેમણે જણાવ્યુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે (10 ઓક્ટોબર 2022) જામનગર (Jamnagar)ને 1448 કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપી. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યુ કે ભૂપેન્દ્ર-નરેન્દ્રની ડબલ એન્જિન (Double Engine) સરકારે ગુજરાતમાં માળખાગત વિકાસ સાથે ખેડૂતોના કલ્યાણ માટે અવિરત ગતિએ વિકાસના કામો કર્યા છે. પીએમએ ઉમેર્યુ કે સૌની યોજના દ્વારા મા નર્મદા આજે સ્વયં પરિક્રમા કરી આશિર્વાદ આપી રહી છે. આ સાથે વડાપ્રધાને જામનગરમાં રોડ શો દરમિયાન મળેલા પ્રચંડ પ્રતિસાદ અને મોટી સંખ્યામાં પીએમના ઓવારણા લેવા માટે આવેલી માતાઓ અને બહેનાનો આશિર્વાદનો ઋણ સ્વીકાર કર્યો. છોટા કાશી એવા જામનગરથી મળેલા સત્કારનો પીએમએ હ્રદયપૂર્વક આભાર પ્રગટ કર્યો હતો.
હાલારવાસીઓને એકવાર સ્મૃતિવન જવા કરી અપીલ
પીએમ મોદીએ તાજેતરમાં કચ્છમાં ભુજિયા ડુંગર ખાતે નિર્માણ પામેલા સ્મૃતિવનની મુલાકાત લેવા જામનગરવાસીઓને અપીલ કરી. પીએમએ કહ્યું ત્યાં વિનાશક ભૂકંપમાં શહીદ થયેલા જામનગરવાસીઓનો પણ ઉલ્લેખ કરાયો છે. અન્ય વૈશ્વિક સ્મારકોની સમકક્ષ બનાવાયેલુ આ સ્મૃતિવન ગુજરાતની ખમીરવંતી જનતાની ગૌરવપૂર્ણ ખુમારીનું પ્રતિક છે, તેમ પીએમએ ઉમેર્યુ હતુ.
પીએમએ જામસાહેબના દયાળુ સ્વભાવને કર્યો યાદ
વડાપ્રધાને જામનગરના રાજવી જામસાહેબ દિગ્વિજયસિંહને પણ યાદ કર્યા. તેમણે કહ્યુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના રાજવી દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના નાગરિકોને આશ્રય આપ્યો હતો. યુક્રેનમાં યુદ્ધ ચાલતુ હતુ ત્યારે પોલેન્ડ સરકારે ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં જે મદદ કરી તે જામ દિગ્વિજય સાહેબના દયાળુ સ્વભાવની મૂડી હતી. આ તકે પીએમએ જામનગરના હાલના રાજવી શત્રુશલ્ય મહારાજના દીર્ઘાયુ માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.
અંગ્રેજોના સમયના 2000 જેટલા કાયદાને ખતમ કર્યા-PM
વડાપ્રધાને કહ્યું પહેલા અંગ્રેજોના જમાનાના કાયદા ચાલતા હતા. પરંતુ અમે ગુલામીની માનસિક્તામાંથી મુક્તિ અપાવવાનું અભિયાન ચલાવ્યુ છે. પીએમએ કહ્યુ અમે વેપારીઓને નડતા આવા 2000 જેટલા કાયદાઓ ખતમ કર્યા છે અને જેમ ધ્યાનમાં આવશે તેમ અમારુ આ સ્વચ્છતા અભિયાન શરૂ જ રહેશે. પીએમએ કહ્યુ “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ”ની નીતિને વરેલી રાજ્ય સરકાર વેપારી આલમને મદદરૂપ થવા આ પગલું ભર્યું છે જેનાથી ગુજરાતની ખમીરવંતી પ્રજાને મોટો ફાયદો થશે.
બ્રિટનને પાછળ છોડી દઈ ભારત ઈકોનોમીમાં પાંચમાં સ્થાને પહોંચ્યુ
વડાપ્રધાને જણાન્યુ કે અઢીસો વર્ષ સુધી દેશને ગુલામ રાખનાર બ્રિટનને વૈશ્વિક અર્થતંત્રમાં છઠ્ઠા સ્થાનેથી પરાજિત કરી ભારતને પાંચમા સ્થાને પહોંચાડવાનુ શ્રેય સ્થિર અને મક્કમ ગતિથી આગળ વધતા ભારતીય અર્થતંત્ર અને દેશના શ્રમિકો-વેપારીઓ અને ખેડૂતોને જાય છે. પીએમએ કહ્યુ ગુજરાતમાં તાજેતરમાં અમલી બનાવેલી નવી ઓદ્યોગિક નીતિ થકી રાજ્યમાં નવા સ્ટાર્ટઅપ અને MSME સેક્ટરને ફાયદો થશે.
પીએમએ જૈન વિવિધથાથી ભરેલા જામનગરના દરિયાઈ વિસ્તારને સંરક્ષણ અને ઈકો ટુરિઝમના વિકાસ માટે મુખ્યમંત્રીના પ્રયત્નોની સરાહના કરી. તેમણે આ સંદર્ભમાં દરિયાઈ પટ્ટી પર બાંધવામાં આવેલા ગેરકાયદે બાંધકામોની સફાઈ બદલ પણ મુખ્યમંત્રીની કામગીરીને બિરદાવી હતી. પીએમએ જણાવ્યુ કે છેલ્લા 20 વર્ષમાં કોઈએ કર્ફ્યુ શબ્દ સુદ્ધા સાંભળ્યો નથી.
વડાપ્રધાને કહ્યુ સૌરાષ્ટ્રમાં 20-25 વર્ષ પહેલા પાણી માટે વલખા મારવા પડતા. બહેનોને બેડા લઈને ત્રણ ત્રણ કિલોમીટર દૂર જવુ પડતુ હતુ અને આજે મા નર્મદા સ્વયં ગુજરાત-સૌરાષ્ટ્રની પરીક્રમા કરી ખેડૂતોને સમૃદ્ધિના માર્ગે લઈ જવા આશિર્વાદ આપી રહી છે. પીએમએ જણાવ્યુ કે સૌની યોજના ડબલ એન્જિનની સરકારે સાકાર કરી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ જામનગરની જાહોજલાલીને નવી ઉંચાઇ સુધી લઇ જવી છે. 36 હજાર કરોડના ખર્ચે જામનગર, અમૃતસર, ભટીન્ડા કોરિડોરનું નિર્માણ થઈ રહ્યુ છે. આ કોરિડોરથી જામનગરના વેપાર ધંધા ઉત્તર ભારત સાથે જોડાશે અને જામનગરને વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનશે.
જામનગરને સૌભાગ્ય નગરી પણ કહેવાય છેઃ PM
વડાપ્રધાને કહ્યુ દેશની ઓઈલ રિફાઈનરીમાં જામનગરનો 35 ટકા હિસ્સો છે. વડાપ્રધાને કહ્યુ જામનગરને સૌભાગ્યનગરી કહેવાય છે. અહીંના કંકુ, ચુડી, ચાંદલા અને બાંધણીને કારણે તે સૌભાગ્યનગરી ગણાય છે. અહીની હસ્તકલા, બ્રાસ, બાંધણી, કંકુ, ચુડી સહિત નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહક સહાય આપી ગુજરાત સરકારે ગુજરાતને વધુ તેજ દિશામાં આગળ વધવા વિકાસલક્ષી ઉદ્યોગનીતિ અમલમાં મુકી છે.
ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસની નવી મિસાલ કાયમ કરી છે તેમ જણાવી જામનગર–રાજકોટનો એન્જીનીયરીંગ સ્પેર પાર્ટસના ઉદ્યોગો પીનથી માંડીને એરક્રાફટના સ્પેર પાર્ટસ બનાવે છે અને હવે ઇકો-ટુરીઝમથી ઉદ્યોગ સાહસીકોને નવી તકો મળશે તેમ વડાપ્રધાને જણાવ્યુ હતુ.
જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન સાથે આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્થાન મળી રહ્યું છે તેમ જણાવી જામનગરની ઉદ્યમશીલતા ભારતના ખૂણે-ખૂણે સ્થાપિત થશે તેમ વડાપ્રધાન સરકારની વિકાસલક્ષી નીતિઓના સંદર્ભમાં કહ્યું હતું.