JAMNAGAR : મુખ્યપ્રધાને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત પ્રથમ અલાયદી પિડીયાટ્રીક કોવિડ હોસ્પિટલનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત 230 બેડની આ હોસ્પિટલ ચિલ્ડ્રન આઇ.સી.યુ નિયો-નેટલ આઇ.સી.યુ અને અત્યાધુનિક સારવાર સુવિધાથી સજ્જ છે.
JAMNAGAR : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત રાજ્યની પ્રથમ અલાયદી પિડીયાટ્રીક કોવિડ હોસ્પિટલનો ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. આ તબક્કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશ અને રાજ્યના ઉજ્જવળ ભાવિ સમાન બાળકોની સંપૂર્ણ આરોગ્ય સુરક્ષા આપણી પ્રાથમિક ફરજ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કોરોનાની બંને લહેરમાં બાળકોને સુરક્ષિત રાખવાના આરોગ્ય સંભાળના પૂરતા પગલાં રાજ્ય સરકારે લીધા છે. એટલું જ નહિ, રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ, આયુષ્યમાન ભારત, મા-કાર્ડ, શાળા આરોગ્ય તપાસણી જેવા કાર્યક્રમોથી બાળ આરોગ્યની વિશેષ ચિંતા પણ કરી છે.
જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતની પ્રથમ અલાયદી પિડીયાટ્રીક હોસ્પિટલનો પ્રારંભ થતાં ગુજરાતમાં ઉપલબ્ધ બાળ આરોગ્ય સુવિધાઓમાં ઉમેરો થયો છે. રિલાયન્સ ફાઉન્ડેશને અનેકવિધ સેવાકાર્યોથી પોતે કમાવું અને બીજાને ખવડાવવું તે ભારતીય સંસ્કૃતિના મંત્રને ચરિતાર્થ કર્યો છે. તેમ મુખ્યપ્રધાને ઉમેર્યુ હતું. મુખ્યપ્રધાને કહ્યું કે, ગુજરાત સરકારે કોરોનાની બંને લહેર દરમિયાન આરોગ્ય સુવિધાઓમાં સતત ઉમેરો કર્યો છે. આઇ.સી.યુ., ઓક્સિજન, બેડ, આવશ્યક દવાઓ અને રસીકરણ માટે પુરતા સાધનો અને માનવ સંશાધન પૂરા પાડ્યા હતા. વિવિધ ઊદ્યોગગૃહો, સેવા સંગઠનો, ધાર્મિક સેવા સંસ્થાએ પણ આ સમયે સાથ આપ્યો છે.
પ્રવર્તમાન વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાને લઈ રિલાયન્સ ફાઉન્ડેશનના સેવાકીય કાર્યો અંતર્ગત જી.જી હોસ્પિટલ,જામનગર ખાતે અત્યાધુનિક સુવિધાથી સજ્જ અને અલાયદા ૨૩૦ બેડની પિડીયાટ્રીક હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું હતું. pic.twitter.com/gzPLTAYLxl
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 1, 2021
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત 230 બેડની આ હોસ્પિટલ ચિલ્ડ્રન આઇ.સી.યુ નિયો-નેટલ આઇ.સી.યુ અને અત્યાધુનિક સારવાર સુવિધાથી સજ્જ છે. અગાઉ રિલાયન્સે માત્ર 10 જ દિવસમાં જામનગરમાં 400 બેડની કોવિડ કેર ફેસીલીટી જી.જી. હોસ્પિટલ ખાતે શરૂ કરી હતી અને હવે જી.જી.હોસ્પિટલના જ ભાગરૂપે જામનગરમાં ગુજરાતની પ્રથમ પિડીયાટ્રીક કોવિડ હોસ્પિટલના પ્રારંભ સાથે રિલાયન્સે બાળ આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં એક નવી હેલ્થ ફેસેલિટીનો આરંભ કરી જનસેવામાં મોટું યોગદાન આપ્યું છે તેની મુખ્યપ્રધાને પ્રસંશા કરી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન હંમેશા લોકો સાથે જોડાયેલું છે, લોકો સાથે રિલાયન્સ સરકાર સાથે મળી હંમેશા પરિવારજન સમાન કામ કરતું રહ્યું છે અને કરતું રહેશે તેવી પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
જામનગર ખાતે ઉપસ્થિત રહેલા સાંસદ પૂનમબેન માડમે જામનગરમાં આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધુ એક મોરપંખ ઉમેરવા બદલ અને જામનગરના નાગરિકોની ચિંતા કરવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા. રિલાયન્સે કોરોનાના સમયમાં પરિવારજનની જેમ સમગ્ર જામનગરને હૂંફ આપી તાત્કાલિક દરેક વ્યવસ્થાઓમાં સાથ આપ્યો છે તેમ જણાવી સાંસદે ઉમેર્યું હતું કે, કોવિડની બીજી લહેર દરમિયાન રિલાયન્સે ચારસો બેડની હોસ્પિટલ, ઓક્સિજન સપ્લાયની સુવિધા પૂરી પાડી જામનગર માટે પરિવારના સભ્યની જેમ ઊભું રહ્યું હતું. હવે 230 બેડની આ નવી પિડીયાટ્રીક હોસ્પિટલ સુવિધા સાથે રિલાયન્સ હેલ્થ કેર ફેસિલીટીનો ઉત્તમ લાભ જામનગર અને તેની આસપાસના વિસ્તારોના બાળકોને મળશે.