Independence day : ગુજરાતનુ એક ગામ જ્યાં રોજ થાય છે ધ્વજવંદન, જાણો કેટલા વર્ષથી ચાલતી આવે છે આ પરંપરા
સામાન્ય રીતે દેશભરમાં 15મી ઓગષ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે ધ્વજવંદન (flag hoisting) કાર્યક્રમ કરવામાં આવે છે. જો કે ગુજરાતમાં એક એવુ અનોખુ સ્થળ છે. જયા દૈનિક ધ્વજવંદન થાય છે.
![Independence day : ગુજરાતનુ એક ગામ જ્યાં રોજ થાય છે ધ્વજવંદન, જાણો કેટલા વર્ષથી ચાલતી આવે છે આ પરંપરા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/Jamnagar-flag-hosting.jpg?w=1280)
Jamnagar : સામાન્ય રીતે દેશભરમાં 15મી ઓગષ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે ધ્વજવંદન (flag hoisting) કાર્યક્રમ કરવામાં આવે છે. જો કે ગુજરાતમાં એક એવુ અનોખુ સ્થળ છે. જયા દૈનિક ધ્વજવંદન થાય છે. જામનગરના ફલ્લા ગામના લોકોમાં દેશ પ્રત્યે અનોખો પ્રેમ છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ગામમાં દૈનિક ધ્વજવંદન થાય છે. ફલ્લા ગામમાં રોજ સવારે ધ્વજવંદન કર્યા બાદ જ લોકો પોતાના દૈનિક કામોમાં જોતરાય છે.
ફ્લ્લા ગામમાં આશરે 6 હજારથી વધુ લોકો રહે છે. અહીં ગ્રામજનો એક પરીવારની જેમ સાથે રહે છે. ફલ્લા ગામને લોકો રાષ્ટ્રપ્રેમી ગામ તરીકે પણ ઓળખતા થયા છે. જામનગર નજીક ખાનગી કંપનીમાં ઉંચાઈ પર તિરંગો લહેરાતો જોઈને ગામના આગેવાનોએ પોતાના ગામમાં પણ આ પ્રકારે તિરંગો લહેરાય તેવી ઈચ્છા વ્યકત કરી હતી. ત્યારે ગામના આગેવાનોએ સાથે મળીને નિશ્ચય કર્યો કે માત્ર બે દિવસ નહી પરંતુ નિયમિત રીતે ગામમાં ધ્વજવંદન કરવામાં આવશે.
14 ડીસેમ્બર 2020થી ચાલે છે પરંપરા
દૈનિક રાષ્ટ્રધ્વજના આયોજન માટે ફલ્લા ગામના દાતા સ્વર્ગસ્ત જેન્તી ધમસાણિયાએ દોઢ લાખની રોકડનુ દાન આપ્યુ હતુ. જેનાથી 9 મીટર ઉચો સ્થંભ પંચાયત કચેરી બહાર મુકવામાં આવ્યો છે. 14 ડીસેમ્બર 2020થી પંચાયતની કચેરીમાં આવેલા મૈદાનમાં દૈનિક ધ્વજવંદન કરવામાં આવે છે. ધ્વજવંદનમાં ગામના આગેવાનો, હોદ્દેદારો, પંચાયતના કર્મચારીઓ, યુવાનો, શાળાના બાળકો સહીત અનેક લોકો જોડાય છે.
ધ્વજવંદનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાય છે
ધ્વજવંદન અને રાષ્ટ્રગાન ગામમાં નિત્યક્રમ બન્યો છે. પંચાયતના પટાંગણમાં દૈનિક ધ્વજવંદનમાં પંચાયત નજીક આવેલા સરકારી શાળાના બાળકો, શિક્ષકો પણ જોડાય છે. શાળામાં પ્રાર્થનાની સાથે ધ્વજવંદન નિયમિત બાળકો જોડાય છે. રાષ્ટ્રપ્રેમીઓ યુવાનો દ્વારા શરૂ થયેલી આ પહેલ અવિરત છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે અને નવી પેઢીમાં રાષ્ટ્રભાવના જગાવે છે.
ફલ્લા ગામના લોકો દૈનિક ગામમાં તિરંગાને સલામી આપીને પોતાના વેપાર-ધંધાની શરૂઆત કરે છે. આ દૈનિક પરંપરા અને ગ્રામજનોની એકતા અને રાષ્ટ્રપ્રેમના કારણે ગામને અલગ ઓળખ મળી છે. રાજકોટ-જામનગર હાઈવે પર આવેલુ ફલ્લા ગામમાં 9 મીટરની ઉચાઈ તિરંગો દિવસભર લહેરાતો હોય છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો