Jamnagar News : જામનગરમાં ગાયમાં (Cow) લમ્પી વાયરસના (lumpy virus) કેસ જોવા મળ્યા બાદ નિયત વિસ્તારોમાં ગાયના મોત થઈ રહ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે 90 જેટલી ગાયના મોત થયા છતાં જાણે તંત્ર ખો-ખોની રમત રમી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે, કારણ કે મહાનગર પાલિકા(Jamnagar Municipal Corporation) અને પશુપાલન વિભાગ એકબીજા પર જવાબદારી થોપવાના પ્રયાસ કરે છે. કોરોના વાઈરસ જેવી રીતે લોકો માટે જીવલેણ સાબિત થયો. તેવી રીતે જામનગરમાં પશુમાં લમ્પી વાયરસ જીવલેણ જોવા મળ્યો છે.
શહેરમાં 202 ગાયમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. 9 મે બાદ આ વિસ્તારમાંથી ગાયના ટપોટપ મોત થઈ રહ્યા છે. લમ્પી વાયરસમાં ગાયને શરીરના ભાગે ફોડલા થવા, તાવ આવવો સહિતના લક્ષણો જોવા મળે છે. જેની સારવાર સમયસર ના થાય તો જીવલેણ સાબિત થઈ શકે છે. છેલ્લા 20 દિવસમાં કુલ આ વિસ્તારોમાંથી 90 ગાયના એક બાદ એક મોત થયા છે. નવાઈ વાત છે. મહાનગર પાલિકાને ગાયના મોતની જાણ થતા ગાય મૃતહેદને નિકાલ કરવાની કામગીરી કરી છે.
પરંતુ ગાયના મોતના કારણ જાણવા જરા પણ તસ્તી ન લઈ રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે. બીજી તરફ કોંગેસના કાર્પોરેટરે ગાયના મોતને લઈને તંત્રને આડેહાથ લીધુ છે. મૃત ગાયના શરીર પર લમ્પી વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે, ત્યારે તંત્ર આ મુદ્દે બેદરકારી રાખી હોવાના આક્ષેપ કર્યા છે.
જામનગર મહાનગર પાલિકાની સોલિટ વેસ્ટ શાખાને ગાયના મોત અંગે જાણ થતા તેના નિકાલની કામગીરી કરવામાં આવે છે. પરંતુ થોડા સમયમાં નિયત વિસ્તારોમાં ગાયના મોતની સંખ્યા વધ્યા બાદ પણ તંત્ર અન્ય વિભાગને જાણ કરવાની કે ગાયના મોતનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો નથી અને આ જવાબદારી પશુપાલન વિભાગની હોવાનું કહી છટકવાનો પ્રયાસ કરે છે. નવાઈની વાત એ છે, કે સોલીડ વેસ્ટ શાખાને ગાયના મોત અંગે જાણ થતા તેના મૃતહેદના નિકાલની કામગીરી કરવામાં આવે છે, પરંતુ ન તો પશુપાલન વિભાગને જાણ કરવામાં આવે છે કે ન તો ઉચ્ચ વિભાગને ધ્યાને મુકવામાં આવે છે.
પશુપાલન વિભાગ દ્વારા લમ્પી વાયરસ જામનગરમાં જોવા મળતાની સાથે વેકસીનેશન સહિતની કામગીરી શરૂ કરી છે. જેમાં અત્યાર સુધીમાં જામનગરમાં કુલ 1874 ગાયને રસી મૂકવામાં આવી છે મહાનગર પાલિકાના જે વિસ્તારમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. તે જ વિસ્તારોમાંથી બે સપ્તાહમાં 90 ગાયના મોત થયા છે. પરંતુ જાણ મહાનગર પાલિકા દ્વારા પશુપાલન વિભાગને ના કરાતા, ગાયના મોતના કારણ વિશે પશુપાલન વિભાગ પણ અજાણ છે.
તમને જણાવી દઈએ કે શહેરમાં નિયત વિસ્તારમાં લમ્પી વાયરસના 202 કેસ નોંધાયા છે. તે વાયરસના કેસ આવ્યા બાદ આ વિસ્તાર એક-બાદ એક ગાયના ટપોટપ મોત થઈ રહ્યા છે. જેની જાણ મહાનગર પાલિકાને છે. પરંતુ મોતનું કારણ જાણવા માટે કોઈ પગલા લેવાયા નથી, ત્યારે સરકારી વિભાગો પોતાની જવાબદારી સંકલનથી સાથે મળીને વાયરસને ફેલાવતો અટકાવવાની જરૂર છે.
Published On - 12:32 pm, Sat, 21 May 22