અમૃતસર-જામનગર ઇકોનોમીક કોરીડોરના સાંચોર-સાંતલપૂરના 125 કિ.મી માર્ગની 6 લેન નિર્માણ કામગીરીનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું
ભારતમાલા પ્રોજેક્ટનો (Bharatmala Project) ઉદેશ્ય દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોના પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટીવીટી વધારવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Cm Bhupendra Patel) ભારત સરકારની ભારતમાલા પરિયોજના (Bharatmala project) અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપૂર માર્ગના 6 લેન રૂપાંતરણ કામગીરીની નિરીક્ષણ મુલાકાત બનાસકાંઠાના થરાદ ખાતે લીધી હતી. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયા અંદાજે 125 કિ.મી ની લંબાઇનો આ માર્ગ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે તરીકે 6 લેન રોડ દ્વારા નિર્માણ કરી રહી છે. કેન્દ્ર સરકારના સડક પરિવહન મંત્રાલય દ્વારા ભારતમાલા પરિયોજના અન્વયે અમૃતસર-જામનગર વચ્ચે આશરે 1256 કિલોમીટરનો ઇકોનોમીક કોરિડોર નિર્માણ થવાનો છે.
આ કામગીરી 2023 સુધીમાં થશે પૂર્ણ
આ સાંચોર-સાંતલપૂર વચ્ચેનો 125 કિ.મી. માર્ગ તે ઇકોનોમીક કોરિડોરના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે 4 પેકેજમાં કુલ 2030.44 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે. પ્રત્યેક પેકેજમાં 30 કિ.મીનો માર્ગ અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે 6 લેન તરીકે કાર્યરત કરવાની કામગીરી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તબક્કાવાર હાથ ધરીને 2023 સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ રાખવામાં આવેલો છે.
કનેક્ટીવીટી વધારવાનો છે હેતુ
ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ્ય દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોના પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટીવીટી વધારવાનો છે. એટલું જ નહિ, જામનગર, કંડલા અને મૂંદ્રા જેવા પોર્ટસ પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાની નેમ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સવારે થરાદ નજીક આ 6 લેન માર્ગ નિર્માણ સાઇટની મુલાકાત બનાસકાંઠાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ પરબતભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી અને પૂર્વમંત્રી રજનીભાઇ પટેલ તથા બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયાના વરિષ્ઠ અધિકારીઓને સાથે રાખીને લીધી હતી અને વિગતો મેળવી હતી.
ગ્રીનફિલ્ડ કોરિડોર અંગે મંત્રી નિતીન ગડકરીએ આપી આ માહીતી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે NHAI દ્વારા વિકસાવવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ કોરિડોર પૈકી એક અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર સંપૂર્ણ ક્ષમતામાં બનાવવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ કોરિડોર સપ્ટેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
ફ્લેગશિપ 1,224 કિલોમીટર લાંબો અમૃતસર-ભટિંડા-જામનગર કોરિડોર NHAI દ્વારા 26,000 કરોડ રૂપિયાના કુલ મૂડી ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે. ગડકરીએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, બિકાનેરથી જોધપુર 277 કિમીના સેક્શનને આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરીને જાહેર જનતા માટે ખોલવાનું લક્ષ્ય છે.