Jamnagar: સેવાભાવી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા જીલ્લાના 421 તળાવોને પુન:જીવિત કરવાની પહેલ
ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લાઓ પૈકી જામનગર જિલ્લાના તળાવોને પુનજીવિત કરવા માટે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કલેક્ટર સાથે એમ.ઓ યુ. કરાયા છે.

Jamnagar: રાજ્યના ત્રણ જિલ્લાઓમાં તળાવોને પુન:જીવિત કરવા માટેની જવાબદારી ખાનગી સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવી છે. જેને લઈ જામનગરની જૈન સંગઠન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જામનગર જિલ્લાના 421 ગામોમાં તળાવને પૂન: જીવિત કરવા માટેની જવાબદારી સ્વીકારવામાં આવી છે અને જામનગરના જિલ્લા કલેકટર સાથે તે અંગેના એમઓયુ પણ કરી લેવામાં આવ્યા છે.
ભારતીય જૈન સંઘઠન પુના દ્વારા મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજયમાં ગત વર્ષોમાં જળસંચયના કાર્યોથી પ્રભાવિત થઈ કેન્દ્ર સરકારના નીતિ આયોગ અને જળશકિત મિનિસ્ટ્રી દ્વારા સમગ્ર દેશમાં 100 જીલ્લાઓને પાણીદાર બનાવવા માટે જન-જાગૃતિનું કાર્ય કરવાની જવાબદારી ત્રણ વર્ષ માટે સોંપીહતી. તેનું એમ.ઓ.યુ. કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ત્રણ જીલ્લાઓ આ પ્રવૃતિ માટે પસંદ કરવામાં આવેલ છે અને જામનગર જીલ્લો તે ત્રણ જીલ્લાઓ પૈકીનો એક છે. જેના અનુસંધાને જૈન સંઘઠન ફાઉન્ડેશન જામનગર દ્વારા જીલ્લા કલેકટર બી.એ. શાહ સાથે ગત તા. 16 મે 2023ના રોજ એમ.ઓ.યુ. સહી કરવામાં આવ્યું હતું જે બાદ હવે જામનગર જીલ્લાના 421 ગામોમાં જન-જાગૃતિ લાવી જળ-આંદોલન શરૂ કરવામાં આવશે.
દેશભરમાં પાણીની કટોકટી દિવસે-દિવસે વધી રહી છે. પાણી એ જીવન છે. દરેક ગામને પીવા માટે, ખેતી તેમજ પ્રાણીઓને સતત પાણીની જરૂર પડે છે. મહત્વનુ છે કે હાલમાં આબોહવા ઝડપથી બદલાઇ રહી છે. વરસાદ અનિયમિત બની ગયો છે. આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે દરેક ગામ પાણી માટે સ્વાવલંબી બને તેવું આયોજન કરવું જરૂરી છે.
દરેક ગામ અને તાલુકામાં પાણીના સંગ્રહ માટે કુવાઓ, ગામ-તળાવો, તેમજ નાના-મોટા તળાવો અને ડેમ છે. ઘણી જગ્યાએ તળાવોમાં કાંપ ભરાઇ ગયો છે. જોકે આ કાંપ ભરાવાથી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટે છે. ગામને “જળ સક્ષમ” કરવા આ તમામ જળાશયોમાંથી ખોદકામ કરી કાંપ દુર કરવો, તેમની કાયમી જાળવણી કરવી, પાણીનો બગાડ ટાળવો વગેરે જેવી વિશેષ જાણકારી અને જાગરુકતા કેળવવી અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો : જામનગરના એક વેપારીએ 2 હજારની નોટ સ્વીકારવા અપનાવી અનોખી ઓફર
આવતા શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાણીનું જીવનમાં મહત્વ, તેનો યોગ્ય ઉપયોગ કરવા અંગે અને પાણીનો બગાડ કેમ અટકાવવો તે વિષે જાગૃત કરી આવનારી પેઢીને પણ જળ-અંદોલનમાં સામેલ કરવામાં આવશે. આમ જનતાના ભવિષ્યને સુરક્ષિત કરવાના આ ઉમદા કાર્યમાં જૈન સમાજ જોડાયો તે અન્ય દરેક સમાજ માટે પ્રેરક છે અને જામનગર જૈન સમાજ માટે ગૌરવની વાત છે કે બીજેએસ જામનગર ચેપ્ટર – જૈન સંઘઠ્ઠન ફાઉન્ડેશન જામનગરના સભ્યોએ આ જવાબદારી સ્વીકારી છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો