સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસની (Congress Party) મુશ્કેલી અટકવાનુ નામ નથી લઈ રહી. પાટિદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને રાજકીય ભૂકંપ સર્જયો છે. ચૂંટણી પહેલા એક બાદ એક નેતાઓ કોંગ્રેસમાંથી છેડો ફાડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસની હાલ એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ છે. બીજી તરફ કોંગ્રસના નેતાઓ તેના જ પક્ષની વિરુધ્ધ જાહેરમાં બોલતા જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામા આપતા સમયે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ લિસ્ટમાં હવે ગ્યાસુદ્દીન શેખનુ (MLA Gyasuddin Shaikh) નામ પણ જોડાઈ ગયુ છે.
મહેસાણામાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના (Congress) મંથનમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ પક્ષ પર જ આકરા પ્રહારો કર્યા હતા. ગ્યાસુદ્દીન શેખે પ્રહાર કર્યા કે, EVM ના કારણે નહીં પરંતુ ચૂંટણી મેનેજમેન્ટના અભાવથી કોંગ્રેસ ચૂંટણી હારે છે. તેમણે આરોપ લગાવ્યો કે, ચૂંટણીના છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના કાર્યકરો કામ જ નથી કરતા. સભા, રેલી, મિટિંગ કરવાના બદલે પહેલાં કોંગ્રેસે ચૂંટણી મેનેજમેન્ટ(Election Management) કરવાની જરૂર છે.જેથી કોંગ્રેસે આ મુદ્દા પર ધ્યાન આપવા ટકોર કરી હતી.
આ અગાઉ વાવ ખાતે કોંગ્રેસ દ્વારા જન વેદના સભા યોજાઇ હતી. જે દરમિયાન પણ દિયોદર બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય શિવા ભુરિયાએ પણ પક્ષ સામે પ્રહારો કર્યા હતા. સભા સંબોધન વખતે તેણે કહ્યુ હતું કે, ચૂંટણી આવે એટલે બેઠકોનો સિલસિલો શરૂ થઇ જાય છે પરંતુ મતદાન વેળાએ ભાજપનો સિક્કો દબાવતા હોવાથી સરકાર ભાજપની આવે છે. વધુમાં તેણે જણાવ્યુ હતું કે, હારનું ઠીકરું મશીન પર ફોડતા હોઈએ છીએ પણ ચુંટણીમાં EVM મશીન ખોટા નથી હોતા કમળનો સિક્કો દબાવતા હોવાથી સરકાર ભાજપની આવી રહી છે. આથી હવે આગામી ચૂંટણીમાં (Gujarat Election)જાગૃત બનીએ અને દેશમાં લોકશાહી રાખવી હોય તો આ સ્થિતિ બદલવા ટકોર કરી હતી.
હાર્દિક પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દુ:ખ થાય છે જયારે અમારા જેવા કાર્યકરો પોતાની ગાડી લઈને રોજના 500-600 કિમીનો પ્રવાસ પોતાના ખર્ચે કરે છે, લોકોની વચ્ચે જાય છે અને ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે અને માત્ર એ બાબત પર વધારે ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં. હું જ્યારે પણ યુવાનો વચ્ચે જતો ત્યારે બધાએ એક જ વાત કહી કે તમે આવી પાર્ટીમાં કેમ છો, જે દરેક રીતે ગુજરાતીઓનું જ અપમાન કરે છે. પછી ભલે તે ઉધોગ ક્ષેત્રે હોય, ધાર્મિક ક્ષેત્રમાં હોય કે પછી તે રાજકારણના ક્ષેત્રમાં હોય. મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ પણ યુવાનોનો ભરોસો તોડ્યો છે, જેના કારણે કોંગ્રેસ સતામાં આવી રહી નથી.
Published On - 12:51 pm, Tue, 24 May 22